જામનગરની ક્રેડિટ બુલ્સ કંપનીના સંચાલકોના કરોડોના કૌભાંડમાં પકડાયેલા આરોપીની ધર- બેંક ખાતા- લોકર સહિતની તપાસ

  • April 01, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિતના રોકાણકારોના નિવેદનમાં કરોડોનું ચિટિંગ કર્યા નું સામે આવ્યું: અન્ય જિલ્લાઓમાં પણ બ્રાન્ચ ખોલી હતી: અન્ય ત્રણ આરોપીઓ દુબઈ તરફ ભાગી ગયા હોવાનું અનુમાન: મોબાઈલ ફોન ના લોકેશન ના આધારે તપાસ


 જામનગર તા ૩૧, જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ પર એક બિલ્ડિંગમાં આવેલી ક્રેડિટ બુલ્સ કંપની ના સંચાલકોએ જામનગર સહિતના સંખ્યાબંધ લોકોની કરોડોની રકમ રોકાણના બહાને મેળવી લઈ ચીટીંગ કરવા અંગેના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે, જેના રહેણાક મકાન, બેન્ક એકાઉન્ટ, લોકર સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત પોલીસ દ્વારા અન્ય ભોગ બનનારના નિવેદનો નોંધવાનું શરૂ કરાયું છે, જેમાં ચીટીંગ નો આંકડો કરોડોમાં થવા જાય છે. અન્ય ત્રણ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાનું અનુમાન લગાવાયું છે, અને મોબાઈલ ફોનના ટાવર લોકેશનના આધારે તપાસ ચલાવાઈ રહી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર ન્યુ એટલાન્ટિક બિલ્ડિંગમાં ક્રેડિટબુલ્સ નામની કંપની સંચાલકોએ જુદા જુદા અનેક લોકોને જુદી જુદી સ્કીમમાં નાણાનું રોકાણ કરાવી માસિક ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. અને છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન સંખ્યાબંધ લોકો ના નાણા નું રોકાણ કરાવ્યું હતું, જે રકમ કરોડોમાં થવા જાય છે. છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોના નાણાંનું રોકાણ કરાવ્યા પછી પેઢીને તાળા મારી બારોબાર રફુચક્કર થઈ ગયા હતા.


રોકાણકારો પૈકીના જામનગરના એક વેપારી કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયાએ પોતાની રૂપિયા પાંચ લાખની રકમ રોકાણના બહાને મેળવી લઇ છેતરપિંડી કરવા અંગે ક્રેડિટ બુલ્સ કંપનીના સી.ઇ.ઓ. અને ફાઉન્ડર જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ માં રહેતા ધવલ દિનેશભાઈ સોલાણી" ક્રેડિટબુલ્સ કંપનીના પાર્ટનર મુંબઈના ફર્જાના ઈરફાન અહેમદ શેખ, ક્રેડિટ બુલ્સ કંપનીના રિઝનલ હેડ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતા પંકજ પ્રવીણભાઈ વડગામા, અને ક્રેડિટ બુલ્સ કંપનીના હ્યુમન રિસોરસિંગ રિઝનલ જામનગરમાં પટેલ કોલોની માં રહેતા યશ દિનેશભાઈ સોલાણી સામે ફરિયાદ નોંધાવી હતી.


જે ફરિયાદના અનુસંધાને પોલીસે કુલ ૩૭ જેટલા રોકાણકારોના નિવેદનો નોંધ્યા છે, અને તમામની કેટલી રકમ ગઈ, તે અંગે નો તાળો મેળવવામાં આવી રહ્યો છે. જેમાં એક લાખ રૂપિયાથી માંડીને ૨૪ લાખ રૂપિયા સુધીની રકમ રોકાણના બહાને મેળવી લીધી છે, અને તેનો આકડો કરોડો રૂપિયામાં થવા જાય છે. તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવાયું છે.


જામનગરમાં કંપનીની ઓફિસ હતી, જેની બ્રાન્ચ અન્ય જિલ્લાઓમાં પણ ખોલવામાં આવી હોવાનું અને ત્યાં પણ રોકાણકારોની મોટી રકમ મેળવી લીધા પછી આરોપીઓ ભાગી છૂટયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે  સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.


આ પ્રકરણમાં પંકજ વડગામા નામના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જેના રેહેણાક મકાન તેમજ બેંકના ખાતા અને બેંક લોકર્સ વગેરેની તપાસણી કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધીમાં પોલીસને ઉપરોક્ત આરોપી પાસેથી કોઈ રકમ અથવા અન્ય સાહિત્ય મળ્યું નથી, પરંતુ સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત તેના અન્ય ત્રણ ભાગીદારોની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે. તેઓ પોતાના પરિવાર સાથે અગાઉથી પ્લાન બનાવ્યા મુજબ ઘર છોડીને દુબઈ તરફ ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

સમગ્ર બનાવની તપાસ સિટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા ના માર્ગદર્શન હેઠળ હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ જે.પી. સોઢા દ્વારા ચલાવવામાં આવી રહી છે, અને ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓના મોબાઇલ ફોન કે જે સ્વીચ ઓફ થઈ ગયા હોવાથી તેના ટાવર લોકેશન ના આધારે તેમજ તેઓએ છેલ્લે કોની સાથે વાતચીત અથવા વોટ્સએપ ચેટ કોલિંગ વગેરે માધ્યમ થી વાતચીત કરી છે, તેની કોલ ડીટેઇલ કઢાવીને તપાસનો દોર તે દિશામાં પણ આગળ ધપાવવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application