કલ્યાણપુરની પરિણીતાને સાસરીયાઓનો સિતમ

  • April 10, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં હાલ રહેતી અને ઈમરાનભાઈ બ્લોચની 21 વર્ષની પરિણીત પુત્રી સિમરનબેન મહમદસોહિલને તેણીના લગ્ન જીવન દરમિયાન થયેલા ત્રણેક વર્ષથી તેણીના જામનગર ખાતે રહેતા પતિ મહમદસોહીલ એજાજભાઈ દરજાદા, સાસુ કુલસમબેન એજાજભાઈ, નણંદ આશિયાનાબેન મેમુદભાઈ દરજાદા, નણંદોયા મેમુદ હનીફ અને તેમજ સબાનાબેન ફેજલભાઈ શેખ નામના સાસરિયાઓ દ્વારા અવારનવાર મેણા ટોણા મારી શારીરિક તેમજ માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


એકલવાયા જીવનથી કંટાળીને જામગઢકાના યુવાને જિંદગી ટૂંકાવી

કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા મહેશનાથ સુરેશનાથ ગોસાઈ નામના 25 વર્ષના યુવાનના લગ્ન થયા ન હતા. આ વચ્ચે તે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બીમાર રહેતા હોય અને આ રીતના એકલવાયા જીવનથી કંટાળીને તેમણે ગત તારીખ 1 ના રોજ દેવળિયા ગામના મહાદેવના મંદિરે જઈને પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અને હાલ જામનગર ખાતે રહેતા જયસુખનાથ સુરેશનાથ ગોસાઈ દ્વારા કલ્યાણપુર પોલીસને કરવામાં આવી છે. 


ખંભાળિયામાં બુઝુર્ગને મારી નાખવાની ધમકી સબબ ત્રણ સામે ફરિયાદ

ખંભાળિયામાં સલાયા ફાટકની બાજુમાં આવેલા હનુમાન મંદિર પાસે રહેતા લગધીરભાઈ સામાભાઈ રૂડાચ નામના 64 વર્ષના વૃદ્ધને અગાઉની પોલીસ ફરિયાદ બાબતનું મન દુઃખ રાખી, અત્રે શક્તિનગર વિસ્તારમાં રહેતા દેવુ ખીમા રૂડાચ, વેરશી દેવુ રૂડાચ અને સતીશ દેવુ રૂડાચ નામના ત્રણ શખ્સોએ તેમને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી, બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ વૃદ્ધને મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ખંભાળિયા નજીક કારની અડફેટે વૃદ્ધ ઇજાગ્રસ્ત

ખંભાળિયા તાલુકાના ફોટ ગામે રહેતા દેવાભાઈ પિંડારિયા નામના વૃદ્ધ રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી રાજકોટ પાસિંગની નિશાન મોટરકારના ચાલક કનુભાઈ જગદીશભાઈ રાવલીયા (રહે. ભાણવડ) એ દેવાભાઈને અડફેટે લેતા તેમને માથાના ભાગે હેમરેજ અને ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે સંજયભાઈ દેવાભાઈ પિંડારિયા (રહે. ફોટ) ની ફરિયાદ પરથી કનુભાઈ જગદીશભાઈ રાવલીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


સલાયાના વધુ એક માછીમાર સામે કાર્યવાહી

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા અકબર સાલેમામદ ભાયા નામના 32 વર્ષના યુવાને તેની જીલાણી 2 નામની ફિશિંગ બોટને દરિયામાં માછીમારી માટે લઈ જતા તેણે આ બોટમાં જરૂરી બેરોમીટર અને હોકાયંત્ર જેવી વ્યવસ્થા નહીં રાખીને ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમનું ઉલ્લંઘન કરતા તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application