ભારતની એરલાઈન્સે 2023 અને 2024માં 1359 વિમાનના ઓર્ડર આપ્યા

  • March 25, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યારે દેશમાં 680 વિમાન કાર્યરત છે અને 133ને વિવિધ એરલાઈને ગ્રાઉન્ડેડ કર્યા છે: 105 વિમાન 15 વર્ષ કરતા જૂના  છે જ્યારે 435 વિમાન 5 વર્ષથી ઓછી વયના છે: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી

 

ભારતની વિવિધ એરલાઈન્સે અગાઉના બે વર્ષમાં 1359 નવા વિમાનના ઓર્ડર આપ્યા છે- જેમાંથી 999 નવા વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન ઉતારુઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ગ્રાઉન્ડેડ છે. અત્યારે દેશમાં 105 વિમાનો એવા પણ છે કે જે 15 વર્ષ કરતા પણ જૂના છે, અને આમાંના 43 વિમાન એર ઈન્ડિયા લિ.ના તેમજ 37 વિમાન એર ઈન્ડિયા એક્સપ્રેસ લિ.ના છે. જ્યારે કે હાલ સેવારત 680 વિમાનમાંથી, 319 વિમાન ઈન્ટરગ્લોબ એવિયેશન લિ.ના (ઈન્ડિગો),198 એર ઈન્ડિયા અને 101 એર ઈન્ડિયા એક્સપ્રેસના તેમજ બાકીના અન્ય એરલાઈન્સના વિમાન છે. રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહોલે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઈન્સ સંબંધે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં આ તમામ માહિતી આપી હતી.


મંત્રીશ્રીએ જણાવેલી વિગતો અનુસાર, ભારતમાંથી છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં વિમાનના ઓર્ડર ઈન્ડિગોએ આપ્યા છે, જેમાંથી 2023માં 500 એ3208 નિઓ ફેમિલિ એરક્રાફ્ટના તેમજ 2024માં 10 એ320 નિઓ ફેમિલી એરક્રાફ્ટના ઉપરાંત એ350 એરક્રાફ્ટના 30 ફર્મ ઓર્ડર્સ તથા 70 નંગ એ350 એરક્રાફ્ટના પર્ચેઝ રાઈટ્સનો સમાવેશ થાય છે. આ બે વર્ષમાં નવા એરક્રાફ્ટના ઓર્ડર આપવામાં બીજા સ્થાને એર ઈન્ડિયા રહેલી છે (જેની વિગતો નીચે કોષ્ટકમાં અપાયેલી છે). તાજેતરમાં જ લોંચ કરાયેલી અકાસા એરે 2023માં ફક્ત 4, પરંતુ 2024માં 150 જેટલા નવા બોઈંગ બી737-8/-8200 એરક્રાફ્ટનો મસમોટો ઓર્ડર આપ્યો છે.


મંત્રીશ્રીના ઉત્તરમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, ભારતની વિવિધ એરલાઈન્સ પાસે હાલ કુલ 813 વિમાનનો કાફલો છે, જેમાંથી 133ને ગ્રાઉન્ડેડ કરાયેલા છે. જ્યારે આમાંથી 435 વિમાન 5 વર્ષથી ઓછી વયના, 185 વિમાન 5-10 વર્ષની વચ્ચેની વયના, 88 વિમાન 10-15 વર્ષની વચ્ચેની વયના, જ્યારે 105 વિમાન 15 વર્ષથી પણ જૂના છે. ઈન્ડિગોના કાફલામાં રહેલા કુલ 319 કાર્યરત વિમાનમાંથી 283 વિમાન એવા છે કે જે 5 વર્ષ કરતા પણ ઓછી વયના છે.


વિમાનને વધુમાં વધુ કેટલા સમય સુધી ઉડ્ડયન માટે મંજૂરી આપી શકાય તેના નિયમન અંગે મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા ભારતમાં કોઈ વિમાન માટે આવરદા નિર્ધારિત કરતી માર્ગદર્શિકા ઘડાઈ નથી. આમ છતાં ઉત્પાદકે નિર્ધારિત કરેલા અને મંજૂર કરાયેલા શિડ્યુલ મુજબ મેન્ટેનન્સ કરાતું રહે તો વિમાનને ઉડ્ડયન લાયક ગણવામાં આવે છે. ભારતમાં રજિસ્ટર્ડ વિમાનનું ટાઈપ સર્ટિફિકેટ જ્યાં સુધી ટાઈપ ઓફ એરક્રાફ્ટને માન્ય રહે અને વિમાનના સતત

ઉડ્ડયન માટે ઉત્પાદક તરફથી પૂરી પડાતી ઉત્પાદન/ મેન્ટેનન્સ સહાયતા હેઠળ વિમાનને એવરી લેવાય ત્યાં સુધી તે ઓપરેટ કરી શકે છે. કોઈ સંજોગોમાં વિમાનમાં આર્થિક રીતે પોષાય તેવી મરામત શક્ય જ ન હોય અથવા તો પાર્ટ્સ ઉપલબ્ધ ન હોવા જેવા કારણોથી તેને ‘કાયમી ધોરણે ઉપયોગમાંથી પાછું ખેંચી લેવાય’ તો જે-તે વિમાનને ઉડ્ડયન કામગીરીમાંથી પાછું ખેંચી લેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application