ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ ,ઉદ્ધવની પાર્ટીએ PM મોદીને લખ્યો પત્ર

  • June 13, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​શિવસેના-યુબીટીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતને ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ન રમવાની અપીલ કરી છે. શિવસેના-યુબીટી નેતા આનંદ દુબેએ કહ્યું કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા, બીસીસીઆઈ પ્રમુખને પત્ર લખ્યો છે.


તેણે કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ. એક તરફ પાકિસ્તાન આપણા લોકોને મારી રહ્યું છે તો બીજી તરફ તેની સાથે ક્રિકેટ રમવું આપણા માટે યોગ્ય નથી. જ્યાં સુધી પાકિસ્તાન ઘૂંટણિયે નહીં આવે ત્યાં સુધી તેની સાથેના દરેક સંબંધો તોડી નાખવા જોઈએ.


આનંદ દુબેએ પત્રમાં લખ્યું કે આજે હું તમને ખૂબ જ દુઃખી હૃદય સાથે લખી રહ્યો છું કારણકે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના રિયાસી, ડોડા અને કઠુઆમાં થયેલી દુ:ખદ ઘટનાઓએ દેશને આંચકો આપ્યો છે. જ્યાં આતંકવાદી ઘટનાઓ વધી રહી છે જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ પણ દુઃખની વાત છે કે આપણી ગુપ્તચર પ્રણાલી મજબૂત હોવા છતાં પણ આવી જઘન્ય હિંસા થઈ રહી છે. આવી નાપાક પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનની સતત સંડોવણી ગંભીર ચિંતાનો વિષય છે.


તેમણે કહ્યું કે આ નાજુક પરિસ્થિતિમાં, અમે દેશની સાથે મજબૂતીથી ઉભા છીએ અને આ પરિસ્થિતિનો સામનો કરવા સરકારની સાથે છીએ. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને  હું તમને આ હિંસાના વિરોધમાં વર્લ્ડ કપ ક્રિકેટ T-20માં આગામી ભારત-પાકિસ્તાન મેચને રદ કરવા વિનંતી કરું છું. અમે માનીએ છીએ કે અમારા લોકોની સુરક્ષા કોઈપણ રમતગમતની ઘટના કરતાં વધુ મહત્વપૂર્ણ છે. હું આશા રાખું છું કે તમે આ બાબત પ્રત્યે ધ્યાન આપશો.


આતંકવાદીઓએ સતત ત્રણ હુમલા કર્યા


ગયા રવિવારે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શિવ ખોડીથી પરત ફરી રહેલા તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી બસ ડ્રાઈવરને વાગઈ અને બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 યાત્રાળુઓના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા. આ પછી કઠુઆમાં આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં CRPFના એક જવાન શહીદ થયા હતાં. જો કે સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓએ મંગળવારે રાત્રે ડોડામાં પોલીસ ચોકી પર હુમલો કર્યો. તેઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.  જેમાં 6 જવાનો ઘાયલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application