ઇન્ડિયાની સૌથી પહેલી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંધા ખંભાના સાંધા બદલવાની સફળ સર્જરી કરાઇ

  • March 05, 2025 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગની સાથે સાથે ઓર્થોપેડિક, ઇએનટી સહિતના વિભાગોમાં તબીબો દ્વારા દર્દીઓની સફળ સર્જરી કરી ફરી જીવન જીવવા માટે આશાનું કિરણ જગાવી રહ્યાં છે. સરકારી આરોગ્ય ક્ષેત્રે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ઇન્ડિયાની સૌ પ્રથમ ઊંધા ખભાના સાંધાની નિ:શુલ્ક સફળ સર્જરી કરવામાં આવતા મહિલા દર્દીને જીવન જીવવા માટેની આશા જગાવી હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં 6 થી 7 લાખ રૂપિયામાં થતી સર્જરી ગરીબ પરિવાર માટે શક્ય ન હોવાથી સરકારી સહાય યોજના હેઠળ આ સર્જરી નિ:શુલ્ક કરવામાં આવતા દર્દી માટે સિવિલ હોસ્પિટલ આર્શિર્વાદ રૂપ બની છે.

સફળ સર્જરીની વિગત જોઈએ તો રાજકોટમાં રહેતા મંજુલાબેન ડાંગરને એકાદ વર્ષથી ખભાનો દુઃખાવો થતો હોવાથી દવા લઈને ચલાવ્યું હતું પરંતુ તકલીફ વધતા જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે જતા સાંધાની તકલીફ હોવાનું નિદાન થયું હતું. ધીમે ધીમે મહિલા દર્દીનો હાથ કામ કરવાનું બંધ થઇ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો અને મહિલાને અસહ્ય પીડા પણ થઇ રહી હતી. પરિવારજનોએ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિદાન કરાવતા

ચારકોટ શોલ્ડર રોગ (ખંભાનું પેરેલિસિસ) હોવાનું સામે આવ્યું હતું અને આ રોગમાં સાંધાઓ બદલવાની સર્જરી કરવાનું જણાવ્યું હતું આ માટે રૂ.6 થી 7 લાખનો ખર્ચનું કહેતા ગરીબ પરિવાર આટલો ખર્ચ કરી શકે તેમ ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં મહિલા આ ગંભીર રોગની સારવાર માટે આવ્યા હતા અને તેમનું ઓર્થોપેડિક વિભાગમાં નિદાન કરવામાં આવતા મહિલાનો શોલ્ડર સંપૂર્ણ પણે હલન ચલન કરતો ન હોવાનું જોવા મળ્યું હતું. દર્દીના જણાવ્ય મુજબ છેલ્લા નવ મહિનાથી ખંભો કામ કરતો ન હોવાથી અનેક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિદાન કરવાયું હતું પરંતુ સર્જરી માટેનો ખર્ચ પણ પરવડે એમ ન હોવાથી પોતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેની આશા સાથે આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે સિવિલના ઓર્થોપેડિક વિભાગના એચઓડી ડો.શૈલેષ રામાવત હેઠળ યુનિટમાં ફરજ બજાવતા સાંધાના નિષ્ણાત ડો.જય તુરખીયાએ મહિલાની તપાસ કરી જરૂરી ડાયગ્નોસિસ કરાવ્યુ હતું અને જેમાં દર્દીને સાંધો બદલવાની જરૂર જણાતા પરિવારને સાંત્વના આપી સર્જરી સિવીલમાં જ થઇ જશે તમે જણાવતા દર્દી અને પરિવારમાં ખુશી છલકાઈ હતી. ડો.જય તુરખીયા અને તેમની ટીમે મહિલા દર્દીની ખુબ જટિલ ગણાતી સર્જરી કલાકો બાદ પૂર્ણ કરી બે દિવસ બાદ ડિસ્ચાર્જ કરવામાં આવનાર છે. હાલ મહિલાનો સોલ્ડર ફરી પહેલાની જેમ જ હલન ચલન કરવા લાગતા પરિવારએ ડો.જાય તુરખીયા અને સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો.


સરકારી યોજનાની સહાય દર્દી માટે આશાવાદ બની

આ જટિલ સર્જરીનો અંદાજિત 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે પરંતુ મહિલા દર્દીના પતિ રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી આ ખર્ચને પહોંચી શકે એમ ન હોવાથી ડો.જય તુરખીયાએ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો,મોનાલી માકડીયાને સરકારી આરોગ્ય સહાય માટે જણાવતા સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જરૂરી પ્રોસિઝર તાકીદે પૂર્ણ કરી સરકારમાંથી સહાય અપાવી આ સફળ સર્જરી કરાવી હતી. આમ વધુ એક વખત સરકારી આરોગ્ય લક્ષી સહાય ગરીબ પરિવાર માટે આશારૂપ બની હતી


સર્જરીમાં 5 સેમી પણ ફેરફાર થાય તો દર્દીનો હાથ કપાવો પડે: ડો.જય તુરખીયા

સિવિલના ઓર્થોપેડિક વિભાગના સાંધાના નિષ્ણાંત ડો.જય તુરખીયાએ જણાવ્યું હતું કે, આ ખુબ જટિલ સર્જરી છે, ચાર કોટ સોલ્ડરના રોગમાં ઊંધા ખભાનો સાંધો બદલવો એ દર્દી માટે છેલ્લી સર્જરી હોય છે અને આવી સર્જરીમાં સ્નાયુનો સપોર્ટ હોતો નથી.સર્જરી દરમિયાન 5 સેમી પણ ફેરફાર રહી જાય તો હાથની ધોરી નસ કપાઈ જવાની શક્યતા રહે છે અને જો આવું થાય તો દર્દીનો હાથ કાપવો પડે એ સ્થિતિ આવી શકે પરંતુ ખુબ ધ્યાનપૂર્વક આ સર્જરી કરવામાં આવતા સફળ બની છે. અને આ પ્રકારની જટિલ સર્જરી સિવિલમાં ની:શુલ્ક કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application