ITનું જામનગરના દેવ ગ્રુપ પર મેગા ઓપરેશન, સોલ્ટ ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે દરોડા, માલિકો ગુજરાતના મોટા રાજકીય માથાના સંબંધી હોવાની ચર્ચા

  • February 07, 2025 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના જાણીતા દેવ સોલ્ટ ગ્રુપ પર આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. દેવ ગ્રુપના ડી.એસ. ઝાલા અને એચ.ડી ઝાલાની કોર્પોરેટ ઓફિસોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપની દેવ સોલ્ટ નામની ફેક્ટરી હરીપર મિયાણા ખાતે આવેલી છે. ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દેવ સોલ્ટ ગ્રુપ સાથે સંકળાયેલા રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામના જથ્થાબંધ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપની અમદાવાદની કોર્પોરેટ ઓફિસમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આ કાર્યવાહીમાં અમદાવાદ, રાજકોટ અને સુરતની ઇન્કમટેક્સ વિભાગની ટીમ કામે લાગી છે.


25 જેટલી ટીમના 100 અધિકારીઓ જોડાયા
દેવ સોલ્ટ ગ્રુપ પર દરોડાની કાર્યવાહીમાં ઇન્કટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 અધિકારીઓ જોડાયા છે. ઇન્કમટેક્સ વિભાગનું આ મેગા ઓપરેશન હોવાથી જામનગર ખાતે ટીમોને બોલાવવામાં આવી છે. સર્ચ ઓપરેશનની પહેલી એક કલાકમાં જ તપાસ દરમિયાન અનેક દસ્તાવેજી પૂરાવા મળ્યા છે. દેવ ગ્રુપના માલિકો ગુજરાતના મોટા રાજકીય માથાના સંબંધી થતા હોવાની ચર્ચા ચાલી રહી છે. મોટી કરચોરી પકડાવાની શક્યતા છે.


અમદાવાદમાં કંપનીના કોર્પોરેટ હાઉસમાં 30 અધિકારીનું સર્ચ ઓપરેશન
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી દેવ ગ્રુપ ઓફ કંપનીના કોર્પોરેટ હાઉસમાં સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના 30 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં આવેલી દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવ જેવા પોસ્ટ વિસ્તારમાં મોટા કોર્પોરેટ હાઉસમાં રેડ પડતા સન્નાટો છવાયો છે.


મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતા 
દેવ ગ્રુપની અનેક સાઇટ અને ઓફિસોમાં ઇન્કટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુંછે. કરચોરીના શંકાના આધારે રાજકોટ, અમદાવાદ , જામનગર અને ગાંધીધામમાં મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, તેના પગલે મીઠાના વેપારીઓ સહિત અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે આ દરોડામાં મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતા છે.


દેવ સોલ્ટનો દેશભરના મીઠાના વ્યવસાયમાં નોંધપાત્ર હિસ્સો
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જામનગરની દેવ સોલ્ટ નામની કોઈ પેઢી મોરબીના માળિયામાં પણ બિઝનેસ હાઉસ ધરાવતી હોય ઇન્કમટેક્સ વિભાગે જામનગર, માળિયા તથા અમદાવાદના મીઠાના મોટા બિઝનેસ હાઉસ પર આ કામગીરીઓ શરૂ કરી છે. માર્ચ અંત પહેલાં આ વ્યવસાયમાં ચોક્કસ પ્રકારની હલચલ શરૂ થઈ હોવાની બાતમી અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી, જે અનુસંધાને દરોડાની આ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે આવકવેરા વિભાગે આ કામગીરીઓ અંગે કોઈ જ જાહેરાત કરી ન હોવાનું સૂત્ર કહે છે. ઉલ્લેખનીય છે કે, જામનગર, કચ્છ અને ગુજરાત દેશભરના મીઠાના વ્યવસાયમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application