કોઠારીયામાં રસ્તા, દબાણો, ગેરકાયદે બાંધકામોના પ્રશ્ને ધબધબાટી

  • August 13, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના વિવિધ બોર્ડના પ્રશ્નો જાણીને તેનો સ્થળ ઉપર જ નિકાલ લાવવાના હેતુથી પદાધિકારીઓ દ્રારા અધિકારીઓની ઉપસ્થિતિમાં વોર્ડ વાઇઝ લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે જેનો આજે છેલ્લો દિવસ હતો અને વોર્ડ નં.૧૮ કોઠારીયામાં લોક દરબાર યોજાયો હતો, દરમિયાન કોઠારીયામાં ખરાબ રસ્તા, દબાણો અને ગેરકાયદે બાંધકામોના પ્રશ્ન રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટ શહેરમાં ભળ્યાને નવ નવ વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઠારીયા વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહ્યો હોવાનો આક્રોશ લોક દરબારમાં ઉપસ્થિત નાગરિકોએ ઠાલવ્યો હતો. રાજકોટ શહેરના એક પણ લોક દરબારમાં જેટલા નાગરિકો ઉપસ્થિત રહ્યા ન હતા તેટલા સૌથી વધુ નાગરિકો કોઠારીયાના લોક દરબારમાં એકત્રિત થયા હતા. આ ઉપરાંત સૌથી વધુ ૧૮૪ પ્રશ્નો પણ આ વોર્ડમાં રજૂ થયા હતા જેમાં મુખ્યત્વે ગામડાથી પણ બદત્તર રસ્તા, બેફામ દબાણો અને ગેરકાયદે બાંધકામો સમાવિષ્ટ્ર છે. એક મહિલાએ લોક દરબારમાં રોષભેર એવી રજૂઆત કરી હતી કે કોઠારીયા વિસ્તારમાં ખરાબ રસ્તાના કારણે હવે આ વિસ્તારમાં કોઈના ઘરે મહેમાનો પણ આવતા નથી.
વોર્ડ નં.૧૮માં યોજાયેલ મેયર તમારા દ્રારે લોક દરબારમાં વોર્ડ નં.૧૮ના નાગરિકો દ્રારા કનૈયા ચોક વિસ્તારમાં કાયમી પાણી ભરાયેલું રહે છે, રોડ–રસ્તા બનાવવા અને રસ્તા પરનું દબાણ દુર કરવા બાબત, સોલવન્ટ વિસ્તારમાં ગેસ કનેકશનની લાઇન નખાવી આપવા, સોલવન્ટથી કોઠારીયા ગામ સુધીના રોડનું કામ સત્વરે પૂર્ણ કરવા બાબત, સદભાવના સોસાયટીમાં અવર–જવર માટે રસ્તો ખુલ્લો કરવા બાબત અને વરસાદી પાણીના નિકાલ માટે, દબાણ દૂર કરવા બાબત, જે. કે. પાર્કના કોમન પ્લોટમાં દબાણ દૂર કરવા બાબત, સ્ટોર્મ વોટર લાઈનમાં ડ્રેનેજ લાઈનનું કનેકશન આપેલ છે જે બધં કરાવવું, કોઠારીયા વિસ્તારમાં ૪૦ ફટ, ૮૦ફટ , ૧૦૦ ફટના રોડ પર સીસી ટીવી ફિટ કરવા બાબત, કોઠારીયા વિસ્તારમાં નવી આંગણવાડી બનાવવા બાબત, કોઠારીયા વિસ્તારમાં પાણી વિતરણ સિસ્ટમ ચેકીંગ કરવા બાબત, વોર્ડ નં.૧૮માં રેસિડેન્ટ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા કલાસીસ સામે સઘન ચકાસણી કરવા બાબત, વોર્ડ નં.૧૮માં મેઇન રોડ, શેરીઓમાં રોડ, રસ્તા બનાવવા બાબત, મેઇન રોડ પરનું દબાણ દૂર કરવા બાબત, સોસાયટીમાં રસ્તા બધં કરેલ, સોસાયટીમાં દબાણ દૂર કરવા બાબત, સોસાયટીમાં રાખેલ છાપરાનું દબાણ દૂર કરવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો આવી હતી.
ઉપરોકત લોક દરબાર કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, કોર્પેારેટરો સંજયસિંહ રાણા, ભારતીબેન પરસાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરે, સહાયક કમિશનર બી. એલ. કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જીનીયર પી.ડી. અઢિયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, રોશનીના સીટી એન્જીનીયર બી.ડી. જીવાણી, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રેજેશ સોલંકી, એ.ટી.પી. આર.જી.પટેલ, રોશનીના ડેપ્યુટી એન્જીનીયર પ્રફુલ વેકરીયા, વોર્ડ એન્જીનીયર નિકેશ મકવાણા, વોર્ડ ઓફિસર નીતિન ચૌધરી, ગાર્ડન સુપરવાઈઝર કણજારીયા, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.૧૮ના પ્રભારી ગેલાભાઈ રબારી, પ્રમુખ શૈલેશભાઈ બુસા, મહામંત્રી દિનેશભાઈ કીડીયા, મિતેશભાઇ દાસોટીયા તથા વોર્ડ નં.૧૮ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application