શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ, ભાવનગર, શિહોર, માળિયા-મિયાણા માટે 247.92 કરોડના વિકાસ કાર્યોને મળી મંજૂરી

  • June 28, 2024 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં રૂ. 185 કરોડના ખર્ચે 4 નવા ફ્લાય ઓવર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નિર્માણ થશે.


આ ઉપરાંત ભાવનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૪૫.૬૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શિહોરમાં ટાઉનહોલ નિર્માણ માટે રૂ. ૮.૩૧  કરોડ અને ગોંડલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા રૂ. ૬.૯૨ કરોડના કામોની સૈદ્ધાંતિક અનુમતિ તેમજ માળિયા-મિયાણા નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે સી.સી રોડ નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોના લોકોના જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂ.૧૮૫ કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ રૂ.૨૪૭.૯૨ કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટક અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 


તદઅનુસાર, કુલ રૂ. ૧૮૫.૭૯ કરોડના અંદાજિત ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-૨ નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.


મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.


આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના ૩૧ અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે ૪૫.૬૯ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.


એટલું જ નહીં, નગરોમાં આગવી ઓળખના કામો પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે. 


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિહોર નગરપાલિકામાં આવા આગવી ઓળખના કામ તરીકે ટાઉનહોલ બનાવવાના હેતુસર રૂ. ૮ કરોડ ૩૧ લાખ ૫૦ હજારના કામોની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે ગોંડલ નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ માટે રૂ. ૬ કરોડ ૯૨ લાખ ૮૪ હજારના કામો મંજૂર કર્યા છે.


‘ડ’ વર્ગની નગરપાલિકા માળિયા-મિયાણાને આઉટ ગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાના ચાર કામ માટે બે કરોડ રૂપિયાના કામોની અનુમતિ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરોની માળખાકીય સુવિધાઓને પરિપૂર્ણ કરવાના હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી બનાવેલી છે.


વર્ષ ૨૦૦૯-૧૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૫૫ હજાર કરોડની બજેટ જોગવાઈઓ આ યોજના અન્વયે કરવામાં આવી છે. આ બજેટ ફાળવણી અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો, મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા, રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ નિર્માણ સહિતના જન સુખાકારીના કામો રાજ્યના નગરો-મહાનગરોમાં હાથ ધરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application