વીજશોક લાગતા દ્વારકાના પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

  • March 18, 2024 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહાર રાજ્યના મનીહારી જિલ્લાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા મોહમદ સંજર મોહમદ અલીમુદીન સલામા નામના આશરે ૨૨ વર્ષના યુવાન થોડા દિવસો પૂર્વે દ્વારકા નજીકના ઓખા મઢી ગામની સીમમાં આવેલી વિન્ડ વર્લ્ડ કંપનીના ટાવર નંબર ૬ ની બાજુમાં આવેલા ઈલેક્ટ્રીક લોખંડના થાંભલા ઉપર તાર બદલવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેની બાજુમાંથી પસાર થતી ૩૩ કે.વી. લાઈનના ઇલેક્ટ્રીક પ્રવાહના વિસ્તારમાં આવતા ઈલેક્ટ્રીક ઇન્ડકશનને અડકી જતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મોહમદ સલામાનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ જામનગરના રહીશ અમિતકુમાર દ્વિવેદી (ઉ.વ. ૪૫)એ દ્વારકા પોલીસને કરી છે.
***
જામનગરના શિવનગર વિસ્તારમાં રહેતો ૧૦ વર્ષનો બાળક વીજ આંચકા થી દાજી ગયા પછી સારવાર દરમિયાન દમ તોડ્યો

જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગર શેરી નંબર ૮ માં રહેતો ૧૦ વર્ષનો બાળક પખવાડિયા પહેલાં પોતાના ઘેર ઈલેક્ટ્રીક થાંભલા માં વિજવાયરને અડી જતાં વીજ આંચકો લાગ્યો હતો, અને સારવાર માટે જામનગર અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગર શેરી નંબર આઠમાં રહેતા રામજીભાઈ હલદરભાઈ રાય નામના પરપ્રાંતિય શ્રમિકનો ૧૦ વર્ષનો પુત્ર મનીષ કે જે ગત ૩.૩.૨૦૨૪ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની અગાસી પર રમતો હતો, જે દરમિયાન તેને ઇલેક્ટ્રિક લાઈન માંથી વીજ આંચકો લાગ્યો હતો, અને ગંભીર સ્વરૂપે દાજી ગયો હતો.
જેથી તેને સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ  નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા રામજીભાઈ હલદરભાઈએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. બી. સદાદીયાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
***
આરંભડાના મહિલાનું બીમારી સબબ મૃત્યુ
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા જેતુબેન હુસેનભાઇ સહિયા નામના ૬૩ વર્ષના મહિલાને ડાયાબિટીસ અને શ્વાસની બીમારી હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ ઈકબાલભાઈ ભટ્ટી (રહે. ઓખા ભુંગા) એ મીઠાપુર પોલીસને કરી છે.
***
અકળ કારણોસર રાજપરાના આધેડે ઝેરી દવા પીધી: મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા બાલુભાઈ રામાભાઈ કેશવાલા નામના ૫૩ વર્ષના આધેડે ગત તારીખ ૧૬ મીના રોજ ચપર ગામે આવેલા એક મંદિર પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મૃતકના પુત્ર સંજયભાઈ બાલુભાઈ કેશવાલાએ સ્થાનીક પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application