અગ્નિકાંડ: જો સરકારી બાબુઓ જવાબદાર તો શાસકો કેમ નહીં

  • June 27, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નીકાંડને બીજા માસનો બેસી ગયો  આમ છતાં હજી માત્રને માત્ર મહાપાલિકાના અધિકારીઓ (ટીપી અને ફાયર વિભાગ) જ પકડાયા અને પૂરાયા છે. સરકારી બાબુઓને ખોટું કરતા અટકાવવા કે પગલાં લેવાની જવાબદારી શાસકો પદાધિકારીઓની હોય છે. જો સરકારી બાબુઓ (અધિકારીઓ) અિકાંડમાં બેજવાબદાર તો શાસકો (પદાધિકારીઓ) કેમ નહીં? શું ચાર–ચાર વર્ષથી મહાપાલિકાના શાસકો પણ આંધળા ભીત બન્યા હતા અને બધુ ચાલવા દીધું હતું? તેવો જનરોષ વ્યાપ્યો છે.

રાજકોટ મહાપાલિકામાં ભાજપનું એકચક્રી શાસન છે તેઓને કોઈ પ્રજાકીય નિર્ણયો કે હિતકારી કામોમાં વિપક્ષ પણ અટકાવી શકે તેમ નથી. જયાં અિકાંડ સર્જાયો એ વોર્ડના ચારેય નગરસેવકો પણ ભાજપનાં જ છે. અગ્નિકાંડમાં ૨૭ માનવ જિંદગીઓ હોમાયા બાદ મહાપાલિકા અને અત્યાર સુધી મૌનીબાબાની ભૂમિકામાં રહેલી રાજકોટ શહેર પોલીસને ખ્યાલ આવ્યો કે આ ગેમઝોન તો સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતો.

અગ્નિકાંડ તપાસમાં ત્રણ–ત્રણ સીટ રચાઈ, અત્યાર સુધી તો હલકુ લોહી હવાલદારનું કહેવતની માફક માત્ર ભોગ બન્યા સરકારી અધિકારીઓ કોઈ સસ્પેન્ડ થયા તો કોઈ જેલમાં પુરાયા. લોકશાહી જનહીત સુખાકારી વ્યવસ્થામાં સરકાર બાબુઓ, વિભાગો, તત્રં પર લગામ રાખવા પ્રજાના પ્રતિનિધિઓ તરીકે નગર સેવકોથી લઈ સાંસદ સુધી ચૂંટાતા હોય છે અને તેઓને તેમની ક્ષમતા, વફાદારીઓ મુજબ પદાધિકારીઓ, શાસક વહીવટકર્તાના હોદાઓ ઉચ્ચ ખુરશીઓ સોંપાય છે.

અગ્નિકાંડમાં સીધી જ રાજકોટ મહાપાલિકા બેજવાબદાર ઠરી છે. કદાચ ભ્રષ્ટ્રાચાર આચરીને મહાપાલિકાની ટીપી તથા ફાયર બ્રિગેડના અધિકારીઓએ ગેમઝોન ચાલવા દીધો હશે. ત્રણ માળ સુધીનું ગેરકાયદે બાંધકામ ખડકાયેલું રહેવા દીધું હશે. મહાપાલિકાના દરેક વિભાગોના કર્મચારીઓથી લઈ અધિકારીઓ પર કાબુ રાખવા કે પ્રજાહિતમાં કામ લેવા માટે અલગ–અલગ કમિટી અને તે વિભાગના ચેરમેન કે ચેરપર્સન પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનિધિ શાસકો બને છે.

રાજકોટ મહાપાલિકાની ફાયર વિભાગ, ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન ભાજપના જ નગરસેવકો છે આ બધી કમિટી પરના મુખ્ય પદાધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ડેપ્યુટી મેયર, મેયર બની રહે છે. જો જેતે વિભાગના અધિકારીઓ સાથે એ કમિટીના પદાધિકારી આખં મિંચામણા કે મીલી ભગત કરી લે તો આખરે સ્ટેન્ડિંગ કમિટી કે મેયર તેમનો સૂપર પાવર યૂઝ કરીને પણ પગલાં લઈ શકે અને લેવડાવી શકે.

ગેમઝોન ચાર–ચાર વર્ષથી ગેરકાયદે રીતે ધમધમતો રહ્યો મહાપાલિકાની વહીવટી પાંખના વડા મ્યુ.કમિશનર તો અજાણ રહ્યા પરંતુ આખરે પ્રજાએ જેમના પર વિશ્ર્વાસ મુકીને પદ આપ્યા એ પ્રજાના પ્રતિનિધિઓ આંધળાભીત બનીને કેમ રહ્યા? શું આ પદાધિકારીઓને પ્રજાએ એસી ચેમ્બરોમાં બેસવા, સરકારી લાખેણા વાહનોમાં પ્રજાના ખર્ચે લાખોનું ઈંધણ ફંકીને છાંકો પાડવા જ બેસાડયા હતા? શું તેઓના જ અંગત હિતોના કામો પાર પાડવા ચૂંટયા હતા? કે પછી બધા જ મેરી ભી ચૂપ તેરી ભી ચૂપની માફક એકબીજામાં ફસાયેલા હતા?

ચાર–ચાર વર્ષ સુધી પદાધિકારીઓ, શાસકો પણ ગેમજોન પ્રત્યે અભિભૂત રહ્યા હતા કે રતાંધણાપણું હતું? સાવ અજાણ હતા? જો કોઈનું પણ જમીર, હીર જાગેલું રહ્યું હોત તો આ અિકાંડ સર્જાયો નહોત. એક માસ વિત્યા બાદ પણ અત્યાર સુધીમાં એકપણ નગર સેવકથી લઈ પદાધિકારીઓનું રૂવાળું પણ પોલીસ ખાંડુ કરી શકી નથી. તપાસના નામે માત્ર અધિકારીઓ જ સરકારી બાબુઓ જ ફસાયા જેલમાં ગયા તો કેટલાંક ઘરે બેઠા, એક પણ રાજકીય હોદ્દેદાર, પદાધિકારી સામે નથી તો પોલીસે એકસન લીધા કે નથી ગાંધીનગરથી એકસન લેવાયા.

શું પોલીસ અને ગાંધીનગરના આકાઓ દોષનો ટોપલો બધો છીંડે ચડયો ચોરની માફક સરકારી વિભાગો, કર્મચારીઓ, અધિકારી પર જ ઢોળી દઈને પોતાના નગરસેવકોથી લઈ ઉચ્ચ પદાધિકારીઓને દૂધે ધોયેલા હોવાનું પ્રમાણીત કરવા માગે છે જો શાસક પક્ષના કોઈ પ્રતિનિધિઓ પર એકસન લેવાય તો સીધી શાસકોની નાલેસી કે બેજવાબદારી દેખાય એટલે પોતાનું દામન શુધ્ધ રહે માટે અધિકારીઓને જ બલીનો બકરો બનાવી દેવાયા હશે કે શું? આવા સવાલો જનમાનસમાં ઉઠી રહ્યા હશે. આખરે તો તપાસમાં જે નીકળી રહ્યું છે તપાસ ઓન પેપર ચાલી રહી છે એ જ સત્ય માનવી રહી

નગરસેવક રામાણી ગેરકાયદે બાંધકામથી વાકેફ હતા છતાં પોલીસની નજરમાં શુધ્ધ?
અગ્નિકાંડમાં ગેમઝોનનું બાંધકામ પડતું બચાવતા એક નગર સેવકે ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું ને અને અંતે આ બાબતે વોર્ડ નં.૧૩ના ભાજપ શાસક પક્ષના નગરસેવક નીતિન રામાણીનું નામ બહાર આવ્યું હતું. ખુદ રામાણીએ મીડિયા સમક્ષ કથન કયુ હતું કે હા મે ઈમ્પેકટ ફી હેઠળ બાંધકામ રેગ્યુલાઈઝ થાય તે માટે આકિર્ટેકટને કામ સોંપ્યું હતું. જેમ ટીપી શાખા જાણતી હતી ગેમઝોન ગેરકાયદે તેમ નગરસેવક રામાણી પણ બાંધકામ ગેરકાયદેનું જાણતા હતા. તેમણે નૈતિક ફરજ મુજબ આ ગેમઝોન ગેરકાયદે છે તેવું તેમના ઉપરી મહાપાલિકાના પદાધિકારીઓના ધ્યાન પર મુકવાનું હતું કે જો બાંધકામ નહીં હટે તો દુર્ઘટના થશે એના બદલે પોતે જ રેગ્યુલાઈઝ કરાવવા મથ્યા, મીડિયા સમક્ષ રામાણી આવતા પોલીસે ના છૂટકે તેમનું નિવેદન લેવુ પડયું હતું. આથી વિશેષ પોલીસ કશું કરી શકી નથી તે સૌ કોઈ જાણે છે

પોલીસના હાથ કંપી રહ્યા છે કે પછી ઉજળા ભવિષ્યની આશ?
રાજકોટ શહેર પોલીસની ઉચ્ચ અધિકારીઓના વડપણ હેઠળની સીટ દ્રારા ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધી માત્ર નાના અધિકારીઓ જ ફસાયા–પકડાયા છે. એકપણ રાજકીય માથુ પોલીસના હાથમાં આવી શકયું નથી. અધિકારીઓની બેજવાબદારી ગણીને પકડીને પુરી દેવાયા તો તેમને કંટ્રોલમાં રાખવાની જીમ્મેદારી પદાધિકારીઓની છે ત્યાં સુધી કે તેમની ગીરેબાન સુધી પહોંચતા કદાચ પોલીસના હાથ કંપતા હશે. પકડવાની વાત તો જોજનો દૂર રહી પરંતુ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી મહાપાલિકામાં રહેલા પદાધિકારીઓને પૂછતાછ કે નિવેદન માટે પણ પોલીસે તસ્દી લીધી નથી. શું હાથ કંપી રહ્યા છે કે પછી ઉપરના ઈસારે તપાસ ચાલી રહી છે? કહ્યાગરી તપાસ કરી આપે તો સારા પોષ્ટ્રિંગ, ઉજળા ભવિષ્યની આશ હશે? અથવા તો જો કોઈ શાસક પર હાથ નાખે તો સાઈડલાઈન થવાનો ડર હશે? કે સત્ય રાહે જ તપાસ ચાલી રહી છે? એવી ચર્ચા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application