આવો સુંદર ભાવ અને આટલી ઉર્જા હશે તેની કલ્પના નો'તી

  • January 18, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યા પહોંચેલા ટીવીના રામ-સીતાએ આપી પ્રતિક્રિયા


રામાનંદ સાગરની પોપ્યુલર ટીવી સીરયલ ‘રામાયણ’માં રામ, લક્ષ્મણ અને સીતાની ભૂમિકા ભજવીને રાતોરાત લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી અયોધ્યા પહોંચ્યા છે . આ દરમિયાન એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ કહ્યું કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે, લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. આવો જ પ્રેમ રામાયણના પાત્રોને મળતો રહે .

અરુણ ગોવિલે કહ્યું કે અયોધ્યાનું રામ મંદિર રાષ્ટ્ર મંદિર સાબિત થશે. આખી દુનિયા એ સંસ્કૃતિ વિશે જાણશે જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં લુપ્ત થઈ ગઈ હતી, જે આપણી સંસ્કૃતિનો વારસો છે. આ મંદિર પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તે આપણી આસ્થાનું કેન્દ્ર છે અને તે આપણું ગૌરવ હશે. આ આપણી ઓળખ બનશે.

ગોવિલે વધુમાં કહ્યું, ‘એવું માનવામાં આવતું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનશે, પરંતુ એવી આશા નહોતી કે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આ રીતે થશે, આટલી મોટી ઇવેન્ટ હશે તેનો અંદાજ ન હતો. આ મારા જીવનની સૌથી મોટી ઘટના છે.


‘રામ મંદિરને લઈને આટલો ભાવ હશે તેની કલ્પના નહોતી.’

મૂળ મેરઠના રહેવાસી ગોવિલે કહ્યું, ‘આટલો ભાવ હશે, આટલી ઉર્જા હશે, આખો દેશ રામમય બની જશે, જ્યાં-જ્યાં લોકો ભગવાન રામમાં માને છે ત્યાં ખુશીનો માહોલ હશે, તેની કલ્પના નહોતી , એટલે જ આની અનુભૂતિ ખૂબ જ સુખદ છે. અમે એક એવી ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, જેના વિશે અમે વિચાર્યું પણ ન હતું.


લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લહેરીએ કહ્યું, ‘હું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છું. હું ખૂબ જ ભાગ્યશાળી છું, મને તે જાણવાનો મોકો મળી રહ્યો છે જે હું જાણતો ન હતો. દેશમાં જે માહોલ બન્યો છે તે ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ સકારાત્મક છે. આ વિશ્વને ખૂબ જ સકારાત્મક ભાવના આપશે.


રામાયણના પાત્રોને પ્રેમ મળતો રહેશે

રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ કહ્યું, ‘અમારી છબી લોકોના દિલમાં વસી ગઈ છે, રામ મંદિરના નિર્માણ પછી પણ મને નથી લાગતું કે તેમાં કોઈ પરિવર્તન થશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. રામાયણના પાત્રોને પણ એવો જ પ્રેમ મળતો રહેશે.

નાદાન છે તે લોકો જે લોકો રામને નકારે છે

રામને નકારનારાઓને સુનીલ લહેરીએ જવાબ પણ આપ્યો. કહ્યું કે ‘નાદાન છે તે લોકો જે લોકો રામને નકારે છે. તેઓ જાણતા નથી કે રામ શું છે. જ્યાં સુધી કોઈ રામાયણ નહીં વાંચે ત્યાં સુધી ભગવાન રામ વિશે કોઈ જાણકારી નહીં મળે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. રામાયણ પણ આપણને શીખવે છે કે આપણે મર્યાદામાં રહેવું જોઈએ. આ ઉપદેશ તેઓ નથી જાણતા જે રામને નકારે છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application