પંચદિવસીય પંચરંગી લોકમેળાની મજા માણવા પોરબંદરીઓમાં ભારે ઉત્સાહ

  • August 22, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી બીજા ક્રમે આવતા પોરબંદરના જન્માષ્ટમીના પંચદિવસીય પંચરંગી મેળાને માણવા માટે પોરબંદરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. 
પાંચ દિવસીય આયોજન
પોરબંદરમાં નગરપાલિકાના તંત્ર દ્વારા તા. ૨૫ થી ૨૯ ઓગસ્ટ સુધી ચોપાટીના મેળા મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજવામાં આવશે. આ મેળામાં માત્ર પોરબંદરના જ નહી પરંતુ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના લોકો પણ મજા માણવા માટે ઉમટી પડશે. કારણકે પોરબંદરનું મેળામેદાન ખૂબજ વિશાળ  છે. અને નજીકમાં જ ઘુઘવતો સાગરકાંઠો છે તેથી મેળાની અને દરિયાની મજા માણવા  માટે લોકો થનગની રહ્યા છે. 
૨૧ રાઇડસ



પોરબંદરમાં ગત વર્ષ કરતા આ વર્ષે રાઇડસની સંખ્યા ઓછી રાખવામાં આવી છે. લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇને આ વખતે ૨૧ રાઇડસને મંજૂરી મળી છે જેમાં ઝુલા, બે્રકડાન્સ, ચકડોળ, ટોરાટોરા, ડ્રેગન, હોળી, મોતનોકુવો સહિતની નાની મોટી રાઇડસના ધંધાર્થીઓ પોરબંદર આવી પહોંચ્યા છે અને તેને ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન



પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં તા.૨૫-૮ રવિવારે ઉદઘાટનના પ્રથમ દિવસે પોરબંદરના કરાટેવીર કેતનભાઇ કોટીયા અને તેમની ટીમ કરાટેના દિલધડક દાવપેચ રજૂ કરશે તો સાથોસાથ પોરબંદરનો સુપ્રસિધ્ધ મહેર સમાજનો મણીયારો રાસ સૌને મંત્રમુગ્ધ કરશે. લીરબાઇ ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીત અને નૃત્યો રજૂ થશે. તા. ૨૬ને જન્માષ્ટમીના દિવસે પાયલબેન વખારીયા અને તેમના ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તા. ૨૭ના રાજુ સોનપાલના જલસાના ગ્રુપ દ્વારા જલસો કરાવવામાં આવશે. તો ૨૮ તારીખે હાસ્યકલાકાર ધીરુભાઇ સરવૈયા ઉપરાંત વીજુડી અને તેમની ટીમ સૌને હાસ્યરસમાં તરબોળ કરશે. તો અંતિમ દિવસે જયદેવ ગોસાઇ અને તેમની ટીમ દ્વારા લોકસંસ્કૃતિ અને સાહિત્ય પીરસવામાં આવશે.આમ પાંચેપાંચ દિવસ જન્માષ્ટમીના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે
સુરક્ષા વ્યવસ્થા
પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વમાં જબરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળા દરમિયાન છેડતી, ચીલઝડપ સહિતના  કિસ્સાઓને અટકાવવા અને આવારાતત્વોને કાબુમાં રાખવા ઠેર ઠેર ઉંચા વોચીંગ ટાવર ફીટ કરવામાં આવ્યા છે તો સી.સી.ટી.વી. કેમેરા દ્વારા પણ બાજનજર રાખવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મેળામાં છ ગેટ પરથી એન્ટ્રી થઇ શકશે તેમજ એક એકસ્ટ્રા ઇમરજન્સી ગેટ પણ રાખવામાં આવ્યો છે. 


આમ, પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહયો છે અને પોરબંદરવાસીઓ મેળાની મજા માણવા થનગની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application