જામનગરવાસીઓ માટે આનંદના સમાચાર: અંબર ચોકડીનો રસ્તો શરુ

  • January 05, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્ગ શરુ..
અંબર ચોકડીનો માર્ગ આખરે શરુ થઇ ગયો છે, લોકોને રાહત થઇ છે, અત્રે નોંધનીય છે કે, તા.૩-૧ના રોજ આજકાલ દ્વારા આ આનંદના સમાચારો આપી દેવામાં આવ્યા હતાં, જે તસવીરમાં જોઇ શકાય છે, બાકીની બે તસવીરમાં અંબર ચોકડી પર પૂર્વવત થયેલ વાહન વ્યવહાર નજરે પડે છે.
***
‘આજકાલ’ દ્વારા તા.૩ના રોજ અપાયેલાં  અહેવાલને આજે સચોટ સમર્થન મળ્યું: તા.૧૮.૧રથી બંધ થયેલો રસ્તો ૧૧ જાન્યુઆરીએ ખૂલવાનો હતો પરંતુ ઝડપી કામગીરી થવાના ફળસ્વરુપે માર્ગ વહેલો ખૂલવાના સંજોગો બન્યાં: હવે ગુરુદ્વારા-સાત રસ્તા સર્કલે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાશે નહીં: લોકોને મળશે રાહત

જામનગરવાસીઓ માટે આજે આનંદદાયક સમાચાર એ છે કે, અંબર ચોકડીનો રસ્તો આજથી રાબેતા મુજબ શરુ થઇ ગયો છે, આજે વહેલી સવાર સુધી ડામરની કામગીરી ચાલી હતી, આજકાલ દ્વારા બુધવારે અપાયેલા સચોટ અહેવાલને પુરેપુરુ સમર્થન મળ્યું છે અને રસ્તો ચાલુ થઇ જતાં લોકોની સમસ્યા હળવી થઇ છે.
અંબર ચોકડી પાસે તા.૧૮ ડીસેમ્બરના રોજ એક જાહેરનામું બહાર પાડીને કેનાલ, કેબલ ટ્રાન્સફર અને અન્ય કામગીરીના કારણે તા.૧૦ જાન્યુઆરી સુધી રસ્તો બંધ કરવા જાહેરનામું બહાર પાડયું હતું, તા.૩ના રોજ પ્રોજેકટ પ્લાનીંગના નાયબ ઇજનેર રાજીવ જાનીએ આજકાલને જણાવ્યું હતું કે, આ રસ્તો શુક્રવારથી રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવશે, આ અંગેનો અહેવાલ પ્રસિઘ્ધ થયો હતો અને ૨૧ દિવસ બાદ આ રસ્તો આજથી શરુ થઇ જતાં ગુરુદ્વારા સર્કલ, સાતરસ્તા સર્કલ, અંબર ચોકડીથી ગુરુદ્વારા તરફના માર્ગમાં અને ગલીઓમાં જે ચકકાજામ જેવી પરિસ્થિતિ થતી હતી તેમાં હવે રાહત થઇ છે.
કોર્પોરેશન દ્વારા રુા.૧૯૬ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, ડીસેમ્બર ૨૦૨૪માં આ કામ પૂર્ણ થઇ જશે અને લોકો માટે રસ્તો ખુલ્લો મુકાશે ત્યારે કેનાલ રિપેરીંગ, થાંભલા હટાવવા અને અન્ય અડચણો દુર કરવા કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે, બંધ થયેલા રસ્તાને શરુ કરવા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા અને સ્ટે.ચેરમેન નિલેશ કગથરાએ આ રસ્તાની રુબરુ મુલાકાત લઇને લોકોને ઓછી તકલીફ પડે તે માટે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું, સીટી ઇજનેર ભાવેશ જાનીએ કહ્યું હતું કે, સમય મર્યાદા પહેલા આ રસ્તો ઝડપથી શરુ થઇ જશે અને તે માટે સતત રાત-દિવસ કામગીરી ચાલું રહી છે.
બપોરે અને સાંજના સમયમાં અંબર ચોકડી અને ગુરુદ્વારા સર્કલ પાસે સતત ટ્રાફિક જામ થતો હતો જેના કારણે વાહન ચાલકોને ૨૫ થી ૩૦ મીનીટ સુધી ઉભા રહેવું પડતું હતું, આજથી આ સમસ્યા દુર થઇ ગઇ છે અને કોર્પોરેશનની ઝડપભેર કામગીરીના કારણે લોકો માટે ૨૧ દિવસમાં જ આ રસ્તો ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આ રસ્તો ઝડપથી પૂર્ણ થાય અને ફરીથી ટ્રાફિક શરુ થઇ શકે તે માટે સતત વોચ રાખી હતી, જેના પરીણામે કોર્પોરેશને નિયત સમય કરતા વહેલો આ રસ્તો ખુલ્લો કરી દીધો હતો અને આજથી જ રસ્તો શરુ થઇ જતાં હવે ટ્રાફિક સમસ્યા હળવી બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application