ઉનાળાની ઋતુ દરમિયાન હિટ વેવની સંભાવનાઓને જોતાં લૂ લાગવાથી તકેદારી રાખવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શક સૂચનો અપાયા
જામનગર સહિત સમગ્ર હાલારમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બપોરના ૧૨ થી ૪ દરમ્યાન કામ સિવાય બહાર ન નીકળવું ઉપરાંત બાંધકામ સાઇટ પર પણ મજૂરોને આ સમયમાં આરામ આપવું જો તમને ચક્કર આવે તેવુ લાગે કે બેચેની લાગે તો તાત્કાલિક અસરથી નજીકના સરકારી કે ખાનગી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. અને લોકોએ પાણી, લીંબુ પાણી, નાળિયેર પાણી પીતા રહેવું જોઇએ.
વહીવટી તંત્ર દ્વારા કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેમાં માથું ઢંકાઈ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. સીધા સુર્યપ્રકાશથી બચવું. ભીના કપડાથી માથું ઢાંકી રાખો અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછો વારંવાર ઠંડુ પાણી પીવું,લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ, તથા ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમા પીવા. બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો, ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ ન્હાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી, દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામા રહેવું. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહી, બજારમા વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહી. ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન ૧૨:૦૦ વાગ્યા સુધીમાં લઇ લેવું, ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું, હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું.
લૂ લાગવા (હીટ વેવ)ના લક્ષણો...
માથું દુખવું, પગની પીંડીઓમા દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી શરીરમાંથી પાણી ઓછુ થઇ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી (મૂંઝવણ), અતિ ગંભીર કિસ્સામા ખેંચ આવવી. ગરમીની ઋતુમાં વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું સરબત લઈ શકાય રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમા પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.
ઉપરાંત, લુ લાગવાના કિસ્સામાં જો તાત્કાલિક તબીબી સારવાર લેવામાં ન આવે તો હિટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે. જેથી માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ જ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા કે આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી, અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.