ખંભાળિયામાં હરિયાળી ક્રાંતિ અર્થે વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ માટે વિદ્યાર્થીઓ, વેપારીઓનો પણ મહત્તમ સહયોગ

  • June 27, 2024 11:31 AM 

"ગ્રીન ખંભાળિયા" ગ્રુપ અને વિજય સ્કૂલ દ્વારા આવકારદાયક નક્કર પગલાઓ



ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારો ગ્લોબલ વોર્મિંગનો ભોગ ન બને તે હેતુથી અહીં "ગ્રીન ખંભાળિયા" ગ્રુપના નિર્માણ તેમજ વૃક્ષારોપણ સહિતની થતી વ્યાપક કાર્યવાહી સાથે અહીંની જાણીતી વિજય ચેરીટેબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ વૃક્ષારોપણના કાર્યક્રમોથી અનેક લોકોને વધુમાં વધુ પ્રેરણા મળી રહી છે અને સ્વૈચ્છિક રીતે નગરજનો, વેપારીઓ વિગેરે આ હરિયાળી ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે.


ગ્રીન ખંભાળિયાના કાર્યકરો દ્વારા નવતર અભિગમ દાખવીને વૃક્ષો અંગે માવજત અને જતન અંગેની કાર્યવાહીને વેગ મળે તે માટે આ વિસ્તારના લોકો પાસે પ્રત્યેક ઝાડ માટે રૂપિયા 1,500 આપવાની ટહેલ નાખી છે. આ રકમથી સંસ્થાના કાર્યકરો દ્વારા આ વૃક્ષોના વાવેતર સાથે સંપૂર્ણપણે ઉજરે (વિકાસ પામે) તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ વૃક્ષ પર દાતાના નામની તકતી પણ લગાવવામાં આવશે.


આ ઝુંબેશને સર્વત્ર વ્યાપક સહકાર સાંપળ્યો છે. ગ્રીન ખંભાળિયા અભિયાનના કાર્યકરોએ ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સાથે મુલાકાત લઈ, અને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. જેને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ ટ્રેડર્સ એસોસિએશન તરફથી સારો એવો સહકાર મળ્યો હતો અને 50 થી વધુ વૃક્ષોના વાવેતરની નોંધણી પણ અહીં કરાઈ હતી.


આ ઉપરાંત ગ્રીન ખંભાળિયા મિશન - 2000 અંતર્ગત સોના-ચાંદી એસોસિયેશનના આગેવાનો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. તેઓએ પણ આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી અને શહેરને રળિયામણું બનાવવા માટે તેમનો સહયોગ જાહેર કર્યો હતો. અહીંના એલ.આઈ.સી. એજન્ટો પોતે જોડાઈને તથા તેમના ગ્રાહકોને પણ આ ઝુંબેશમાં સહભાગી કરવા માટે કામગીરી કરશે. 


વિજય સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકોની અવીરત રીતે ચાલતી નોંધપાત્ર જહેમત

ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય ચેરીટેબલ હાઈસ્કૂલમાં છેલ્લા આશરે સાડા ત્રણેક દાયકાથી અવિરત રીતે વૃક્ષારોપણની સરાહનીય કામગીરી કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવે છે. વર્ષ 1987માં વિજય ચેરીટેબલ સ્કૂલના સ્થાપક હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા દર વર્ષે ટ્રેક્ટર ભરીને ખૂબ મોટી સંખ્યામાં જંગલ ખાતા પાસેથી વૃક્ષોના રોપાની મદદ મેળવી અને સરકારી નર્સરીમાંથી પણ વિદ્યાર્થીઓને મનગમતા વૃક્ષ વાવી અને જુદા જુદા સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ માટે વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કામગીરીમાં છેલ્લા આશરે 37 વર્ષ દરમિયાન આશરે 80 હજારથી વધુ વૃક્ષોના રોપાનું વિતરણ કરી અને આ શાળાના છાત્રો દ્વારા પોતાના ઘરે બે થી પાંચ રોપા વાવી અને અનેક બાળકોએ પોતાના વાડી-ખેતરમાં વાવેલા રોપા એકથી દોઢ દાયકામાં ઉછેર થતા અંદાજિત સર્વેમાં આશરે 15,000 જેટલા રોપા હાલ વૃક્ષો બનીને ઊભા હોવાનું જોવા મળ્યું હતું.

આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા છાત્રો પાંચ વર્ષ દરમિયાન તેમના ઘરે પાંચથી દસ સુધીના વૃક્ષો વાવી ચૂક્યા છે. આ સાથે તાજેતરમાં શાળાની સેવાકીય પ્રવૃત્તિમાં વૃક્ષારોપણ માટે વૃક્ષોના રોપાના વિતરણની પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય કે.ડી. ગોકાણી તેમજ વૃક્ષારોપણ પ્રવૃત્તિના કન્વીનર કનુભાઈ કણજારીયા, અશોકભાઈ ભટ્ટ, વિગેરે દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ટ્રેક્ટર ભરીને વૃક્ષોના રોપા લાવી, શાળાના છાત્રોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ સાથે વૃક્ષોના ઉછેરનું પણ મહત્વ સમજાવી અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થવા અંગે શિક્ષકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application