ગધેથળના પ.પૂ. લાલબાપુના આશીર્વાદ થકી દાતા ગામે બે ક્ષત્રિય પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતા મનદુ:ખનું સમાધાન

  • February 07, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના દાતા ગામે બે રાજપુત પરિવારો વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ બાબતે મનદુ:ખ ચાલ્યું આવતું હતું. પરંતુ બંને પક્ષે હકારાત્મક અભિગમ દાખવી, અને ગધેથળના પૂજ્ય મહંત શ્રી લાલબાપુના આશ્રમ ખાતે આ બંને પરિવારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાતા ગામમાં બે રાજપૂત પરિવારો કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા પરિવાર તથા શ્રી ભાવસંગ હેમુભા જાડેજા પરિવાર વચ્ચે છેલ્લા છ વર્ષથી વૈમનસ્ય ચાલતું હતું. જે અંગે અગાઉ કાયદાકીય પ્રક્રિયાઓ પણ થવા પામી હતી. જેને અનુલક્ષીને દાતા ગામના દિકરીબા નંદકુંવરબા (નંદુબા) નટુભા ચુડાસમા તેમજ તેમના પુત્રો કે જેવો દાતા ગામના ભાણેજ થાય છે, તેવા નવઘણસિંહ નટુભા ચુડાસમા, મહિપતસિંહ નટુભા અને દેવેન્દ્રસિંહ નટુભા ચુડાસમાના અથાગ પ્રયાસોથી બંને પરિવાર વચ્ચે સુખદ સમાધાન શક્ય બન્યું હતું.
આ તકે ગધેથળના પૂજ્ય શ્રી લાલબાપુના આશ્રમ ખાતે તાજેતરમાં બંને પરિવારના સભ્યો તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપુત અગ્રણીઓ, વડીલો હિતેચ્છુ મિત્રો તેમજ દાતા ગામના ગ્રામજનોએ મળીને આશરે ૪૦૦ થી વધારે લોકોએ આ સ્થળે ભોજન પ્રસાદ લીધો હતો. જેમાં તમામએ પૂજ્ય શ્રી લાલબાપુના આશીર્વાદનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે બંને પરિવારના સભ્યોએ ભવિષ્યમાં કાયમી હળી-મળીને રહેવું તેવું સહર્ષ વચન પૂજ્ય લાલબાપુને આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લા માટે આ સમાધાનએ સુખદ અને મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ તકે બંને પરિવારના સભ્યોએ પૂજ્ય શ્રી લાલબાપુના આશીર્વાદ સાથે ઉપસ્થિત અગ્રણી નવઘણસિંહ, મહિપતસિંહ અને દેવેન્દ્રસિંહ કે જેઓ દાતા ગામના ભાણેજ થાય છે, તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application