કાશીથી કેદારનાથ, ઉજ્જૈનથી અયોધ્યા, જાણો મોદી સરકારે આ મંદિરોની કરી કાયાપલટ

  • January 23, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામલલ્લા અયોધ્યામાં પોતાના મહેલમાં બિરાજમાન થયા છે. આશરે 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે રળિયામણી ઘડી નિહાળી સૌ કોઇ ભાવવિભોર થઇ ગયા હતા. ગઇકાલે રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉલ્લાસભેર યોજાયો હતો. ત્યારે અયોધ્યામાં માત્ર રામમંદિર જ નથી બન્યું પરંતુ અહીંના સમગ્ર વિસ્તારની કાયાકલ્પ થઇ છે. વાસ્તવમાં દેશના અનેક પ્રાચીન મંદિરોના કાયાકલ્પ પાછળ વડાપ્રધાન મોદીની સંકલ્પશક્તિનો જ હાથ છે. પીએમ મોદી 10 વર્ષથી દેશના વડાપ્રધાન છે. આ 10 વર્ષોમાં અયોધ્યાથી ઉજ્જૈન, કાશીથી કેદારનાથ સુધી ઓછામાં ઓછા 10 પ્રાચીન મંદિરોની કાયાપલટ કરવામાં આવી છે.


1780માં ઈન્દોરની રાણી દેવી અહિલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યાર બાદ લગભગ 300 વર્ષ સુધી કાશી વિશ્વનાથ મંદિરમાં કોઈ મોટું રિનોવેશન કાર્ય થયું ન હતું. જ્યારે પીએમ મોદી 2014માં વારાણસીથી સાંસદ બન્યા ત્યારે તેમણે કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
​​​​​​​

2019માં વડાપ્રધાન મોદીએ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 13 ડિસેમ્બર 2021ના ​​રોજ, શિલાન્યાસ થયાના લગભગ 2 વર્ષ અને 8 મહિના પછી, વડાપ્રધાને 5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા ભવ્ય કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું.

11 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથની જેમ દેશના 12 જ્યોતિર્લિંગોમાંના એક ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં લગભગ 946 મીટર લાંબા શ્રી મહાકાલ લોક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના સોમનાથ મંદિરને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ સોમનાથમાં અનેક વખત ગર્ભગૃહ સાધના કરી છે. પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. 2021માં પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં 3 મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પાર્વતી માતા મંદિર, દર્શન પથ અને પ્રદર્શન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.


ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર 2013ના વિનાશક પૂર બાદ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. 2014માં જ્યારે પહેલીવાર કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારે પીએમએ કેદારનાથ મંદિર રિનોવેશન પ્રોજેક્ટ લોંચ કર્યો. 5 નવેમ્બર 2021ના ​​રોજ વડાપ્રધાન મોદીએ કેદારનાથ કોરિડોર અને આદિ શંકરાચાર્યની પ્રતિમાનું લોકાર્પણ કર્યું.


જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા જેવો સાહસિક નિર્ણય લેનારા વડાપ્રધાન મોદીએ કાશ્મીર ઘાટીમાં મંદિર સંકુલના પુનરોદ્ધાર પ્રોજેક્ટ શરૂ કર્યો. તેની અસર એ થઈ કે 31 વર્ષમાં પહેલીવાર ફેબ્રુઆરી 2021માં કાશ્મીરના શિતલનાથ મંદિરના દરવાજા ખુલી શક્યા. એટલું જ નહીં કાશ્મીરમાં શ્રીનગરનું રઘુનાથ મંદિર, અનંતનાગનું માર્તંડ મંદિર, પાટણનું ગૌરીશંકર મંદિર, શ્રીનગરનું પંદ્રેથન મંદિર સહિતના મંદિરોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.


વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીને જોડવા માટે ઓલ વેધર રોડનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. રોડ નેટવર્કની સાથે રેલ લાઇન પણ નાખવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ વિકાસને આધ્યાત્મિકતા સાથે જોડ્યો છે. તેની અસર એ છે કે આજે અયોધ્યાથી અબુધાબી સુધી ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application