જામનગરમાં ત્રણ દિ માં ચાર લોકોના હાર્ટએટેકથી મૃત્યુ: બાયપાસ કરીને ઘરે આવ્યા બાદ વેપારીને કાર્ડીયાકએરેસ્ટ

  • February 05, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિવારે પંચવટી વિસ્તારમાં ૪પ વર્ષના ઇલેકટ્રીકના ધંધાર્થીનું હ્યદય બંધ પડી ગયું: રવિવારે રાજેન્દ્ર રોડ પર દુકાન ધરાવતા વણિક વેપારીનું હાર્ટએટેકથી નિધન: આજે સવારે ચાંદીબજાર બુગદામાં પ૪ વર્ષના સોની વેપારીનું મૃત્યુ: ખીમલીયા નદી પાસે આઘેડનો હાર્ટએટેકથી ભોગ લેવાયો

જામનગર શહેર-જિલ્લામાં અને ગુજરાત સહિત દેશભરમાં હ્યદયરોગના હુમલાઓનું પ્રમાણ અનેકગણું વઘ્યું છે, તેમાં પણ છેલ્લા છએક માસથી તો નાની વયે કાર્ડીયાકએરેસ્ટના બનાવ ચિંતાજનક કક્ષાએ પહોંચ્યા છે ત્યારે શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસ દરમ્યાન જામનગર શહેરમાં જુદા જુદા સ્થળે ચાર લોકોના અને તેમાં ત્રણ વેપારીઓના હ્યદયરોગના તીવ્ર હુમલાથી મૃત્યુ થયાની ઘટનાઓ નોંધાઇ છે, તેમાં એક વેપારીનું તો બાયપાસ કરીને ઘરે પહોંચ્યા બાદ બે કલાક પછી હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા ભારે આશ્ર્ચર્ય ફેલાયું છે અને હવે બાયપાસ પણ સેફ નથી એવું સામે આવ્યું છે.
શનિવારે પંચવટી ગૌશાળા વિસ્તારમાં ભાનુશાળી બોર્ડીંગ પાસેની ગલીમાં રહેતા ૪પ વર્ષના જીતેન્દ્રભાઇ બાબુલાલ કછેટીયાનું હ્યદયરોગના પ્રાણઘાતક હુમલાથી નિધન થયું હતું, ઇલેકટ્રોનીકસના પાર્ટની દુકાન ધરાવતા આ વેપારીને થોડા દિવસ પહેલા હ્યદયરોગનો હુમલો આવ્યો હતો અને તેના કારણે એમણે બાયપાસ સર્જરી કરાવી હતી.
બાયપાસ કરાવીને હોસ્પિટલથી ઘરે પહોંચ્યા પછી બે કલાક બાદ જ આ વેપારીને ફરી હ્યદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તેમનું નિધન થઇ જતાં પંચવટી ગૌશાળા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી, સાથે સાથે એવો પણ સવાલ ઉઠ્યો છે કે શું હવે બાયપાસ કરાવી લીધા બાદ પણ હ્યદય સુરક્ષિત નથી ?
રવિવારે રાજેન્દ્ર રોડ ઉપર દુકાન ધરાવતા ૪૭ વર્ષના હીરલભાઇ જગદીશચંદ્ર મહેતાનું હ્યદયરોગના હુમલાથી ક‚ણ મૃત્યુ નિપજ્યું હતું, સદ્દગતનું ઉઠમણું સોમવારે એટલે કે આજે સવારે ૯ કલાકે ચાંદીબજાર ખાતે મોટા ઉપાશ્રય ખાતે રાખવામાં આવ્યું હતું.
આજે સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ ચાંદીબજારમાં બુગદામાં સોની કામ કરતા અને નગરસેવક ધીરેનભાઇ મોનાણીના પિતરાઇ ભાઇ મનીષભાઇ પી. મોનાણીને એકાએક હ્યદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો, પ૪ વર્ષના મનીષભાઇને તાત્કાલિક અસરથી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું, તેમના અવસાનના કારણે સોની બજારમાં સોપો પડી ગયો હતો.
ખીમલીયા ગામ પાસે નદીના પટ્ટમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને આ અંગે તપાસ કરતા મરનાર શહેરના ગોકુલનગર વૃંદાવન સોસાયટી શેરી નં. ૪માં રહેતા બટુકભાઇ હમીરભાઇ સોલંકી (ઉ.વ.૪૮) હોવાનું ખુલ્યુ હતું, દરમ્યાનમાં પંચ-બી પોલીસ દ્વારા પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તપાસ દરમ્યાન મૃતકને હાર્ટ એટેક આવી જતા મૃત્યુ થયાનું જાણવા મળ્યુ હતું. ગોકુલનગર વિસ્તારમાં રહેતા બટુકભાઇ ખીમલીયા નજીક આવેલ નાગમતી નદી વિસ્તારમાં ગયા હતા, અને ત્યાં આ બનાવ બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application