ચોટીલામાં જિનમીલ ધરાવતા રાજકોટના ચાર ભાગીદારો કરોડોનું ફુલેકુ ફેરવી પલાયન

  • March 22, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રહેતા અને ચોટીલા પાસે સિધ્ધનાથ કોટેક્ષ પ્રાઇવેટ લિ. નામનું જિનમીલ ધરાવતા પિતા પુત્ર સહિતના ભાગીદારોએ ખેડૂતો અને વેપારીઓનું કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી જિનમીલને તાળા મારી ફરાર થઇ જતા છેતરપિંડીનીનો ભોગ બનનારએ જુદા જુદા પોલીસ મથકમાં જિનમીલના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરાર થઇ ગયેલા જિનમીલના સંચાલકો પિતા-પુત્ર સહીત ચાર શખસોએ દામનગર-ઢસા રોડ ઉપર આવેલા માતંગી કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના જિનમીન માલીક સાથે પણ કોટનની ગાંસડીઓ મગાવી વિશ્વાસ કેળવી રૂ.40,38,651ની છેતરપીંડી આચરતા જિનમીલના માલિક ચિરાગભાઈ રાજેન્દ્રભાઇ ગાંગડીયા (ઉ.વ.40)એ દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ચોટીલા નજીક સિધ્ધનાથ કોટેક્ષ પ્રાઇવેટ લિ.નામનું જિનમીલ ધરાવતા વીરેન સુરેશભાઈ લુણાગરિયા તેના પિતા સુરેશભાઈ ગોવિંદભાઇ લુણાગરીયા (રહે-ક્રિષ્નાકુંજ બ્લોક નં.11/8, રાજ રેસીડેન્સી, બિગ બાઝાર પાછળ) દર્શન રમણીકભાઇ ભાલાળા (રહે-ઇન્દ્રપ્રસ્થ નગર, હેમુગઢવી હોલ પાછળ) તથા રમણીક ચકુભાઇ ભાલાળા (રહે-રાજકોટ ગ્રામ્ય)ના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું દામનગર-ઢસા રોડ પર માતંગી કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું જિનમીલ ધરાવું છું, અને અમારી કંપનીના દલાલ તરીકે ભરતભાઈ જાખણીયા કામ કરે છે તેના મારફતે ચોટીલા પાસે સિધ્ધનાથ કોટેક્ષ પ્રાઇવેટ લિ. નામનું જિનમિલ ધરાવતા વેપારી વિરેનભાઈ સુરેશભાઈ લુણાગરીયા સાથે સંપર્ક થતા તેના વિરેનભાઈ તેમજ ભાગીદારો સુરેશભાઈ ગોવિંદભાઇ લુણાગરીયા, દર્શન રમણીકભાઇ ભાલાળા,રમણીક ચકુભાઇ ભાલાળા સાથે વાતચીત થઇ હતી અને વેપાર કરવા માટે વિશ્વાસ આપ્યો હતો. આથી પ્રથમ 300 ગાંસડીનું વેંચાણ અમે કર્યું હતું જેનું કુલ રૂ.84,88,402નું બિલ બન્યું હતું. જેમાંથી 25.628ની ક્રેડિટ નોટ આપી હતી. અને બિલના 78 લાખ અમને ચૂકવી આપ્યા હતા. આ બિલ પૈકી 6,62,774 રૂપિયા બાકી હતા, બાદમાં 24-7-24ના બીજી વાર 300 ગાસડીનું વેંચાણ કર્યું હતું. જેનું બિલ 83,75,877 થયું હતું. જે 15 દિવસની લિમિટ ઉપર આપ્યું હતું. 15 દિવસની લિમિટ પુરી થઇ જતા ઉઘરાણી કરતા રૂ.50 લાખનું આરટીજીએસ કરાવી આપ્યું હતું. આમ અગાઉના બિલના 6,62,774 જમા લીધા બાદ કુલ બિલના 40,38,651 રૂપિયા બાકી લેવાના નીકળતા હોય આ પૈસા માટે અમારા દલાલ ભરતભાઈ રૂબરૂ ઉઘરાણી માટે જતા આ લોકોએ જણાવ્યું હતું કે, અમારી બેન્ક ઓફ ઇન્ડિયામાં 67.89 કરોડની સીસી મંજુર થઇ છે થોડા દિવસોમાં તમારું બાકીનું પેમેન્ટ ચૂકવી દઈશું થોડા દિવસ બાદ ફરી હું અને મારા દલાલ બંને સિધ્ધનાથ કોટેક્ષમાં રૂબરૂ ગયા હતા ત્યારે ચારેય ભાગીદારોને મળતા અમને એવું કીધું હતું કે, અમારે મોર્ગેજનો દસ્તાવેજ ટ્રાન્સફર કરવાના છે અને સામેવાળા બેન્કની એનઓસી સીસી ટેક ઓવર કરવા રજુ કરવાની છે જે પૂર્ણ થતા તમારી બિલની રકમ વ્યાજ સાથે આપી દઈશું. આ પછી પણ પૈસા ન આવતા થોડા થોડા દિવસે ફોન કરી પૈસાની ઉઘરાણી કરવા છતાં બહાના આપતા હતા અને બાદમાં ફોન બંધ કરી દેતા અમારા દલાલ ત્યાં રૂબરૂ જતા જિનમીલને તાળા મારી આ લોકો નાસી ગયા હતા. પોલીસે વેપારીની ફરિયાદ પરથી ચારેય શખસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે તપાસ કરતા ચારેય શખસોએ ખેડૂતોના બિલના પૈસા પણ આપ્યા નથી અને ચારેય વેપારી-ભાગીદારો સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશન, સાવરકુંડલા રૂરલ, પાળીયાદ, જસદણ, મહુવા, ચોટીલા, અમદાવાદ ડીસીબી પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application