પિતાનો પ્રેમ સંબંધ પુત્રને પસંદ ન હોય પ્રેમિકાને તળાવમાં ફેંકી દીધી

  • February 05, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના વેરી તળાવમાંથી યુવતિનો મૃતદેહ મળ્યાના બનાવમાં ચોંકાવનારી હકીકત પોલીસની તપાસમાં ખુલી છે, યુવતી જેની સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી તેના જ સગીરવયના પુત્રએ તળાવે લઇ જઈ લાત મારી તળાવના પાણીમાં નાખી દેતા મોત થયાનું ખુલ્યું હતું. પોલીસે સગીરને સકંજામાં લઇ વધુ પુછપરછ હાથ ધરતા યુવતી બગસરાની રહેવાસી હોવાનું અને તેના પિતા સાથે પ્રેમ સબંધ હોવાથી બે વર્ષથી સાથે રહેતી હતી જે પોતાને ગમતું ન હોવાથી પોતે જ એક્ટિવામાં બેસાડી તળાવે લઇ ગયો હતો અને ત્યાં ઝગડો થતા પાટુ મારી તળાવના પાણીમાં નાખી દઈ હત્યા નિપજાવી હોવાની કેફિયત આપી હતી. રાજકોટ એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ આજથી ચાર-પાંચ દિવસ પહેલા ગોંડલ વેરી તળાવમાં બિછવાવામાં આવેલી લાઈનમાંથી પાણીનો ફોર્સ ધીમો આવવાની ફરિયાદો ઉઠતા પાલિકાના વાલ્વમેન સહિતના કર્મચારી તળાવએ પહોંચ્યા હતા ત્યાં કોઠામાં જ્યાંથી પાઇપલાઇન દ્વારા પાણી સાત ટાંકીએ પહોચતું હોય છે તે કોઠામાં તપાસ કરતા પાઇપલાઇનનાં વાલ્વમાં માથું ફસાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરતા પોલીસ અને ફાયરની ટિમ સ્થળ પર પહોંચી ફાયરની ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ગોંડલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં રાજકોટ એલસીબીએ પણ ઝંપલાવ્યું હતું. એલસીબીની તપાસ દરમિયાન યુવતી બગસરાના જેતપુર રોડ ઉપર રહેતી દીપાબેન જેન્તીભાઇ સોલંકી (ઉ.વ.25)ની હોવાની અને છેલ્લા બે વર્ષથી મૂળ નિકાવાના અને ગોંડલના ભગવતપરા, કંટોલીયા રોડ, નદીના કાંઠે તેમજ રાજકોટ રૈયા ચોકડી પાસે રહેતા અને રિક્ષા હંકારતા હબીબશા હુશેનશા શાહમદાર સાથે મૈત્રી કરાર કરીને રહેતી હોવાની માહિતી મળતા પોલીસે હબીબશાના સગીર પુત્રને પુછપરછ માટે બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછતાછ કરતા પોલીસ સમક્ષ હકીકત જણાવી હતી કે, દિપા મૈત્રી કરાર કરીને બે વર્ષથી પિતા સાથે રહેતી હતી જે ગમતું નહતું આથી 15 દિવસ પહેલા એક્ટિવામાં બેસાડી વેરી તળાવે લઇ ગયો હતો ત્યાં પિતાને છોડી દેવા માટે સમજાવી હતી આ વાતમાં બંને વચ્ચે ઝગડો થતા લાત મારી વેરી તળાવમાં નાખી દીધી હતી. પોલીસે સગીરની કબૂલાતના આધારે સંકજામાં લઇ આગળની કાર્યવાહી માટે ગોંડલ બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

બંનેના દાંમ્પત્ય જીવન વેરવિખેર હોવાથી પ્રેમ પરિણમ્યો હતો

પોલીસની તપાસમાં બીજી કેટલીક હકીકત એવી ખુલી હતી કે, મૃતક દિપા આઠેક વર્ષ પહેલા રાજકોટના ભગવતીપરામાં રહેતા જગદીશ સોલંકી સાથે ભાગીને જતી રહી હતી. બાદમાં જગદીશ સાથે અણબનાવ બનતા હબીબશાના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સબધં બંધાતા છેલ્લા બે વર્ષથી મૈત્રી કરાર કરીને સાથે રહેતી હતી. જયારે હબીબશાને પણ પત્ની કસાનાબેન સાથે છેલ્લા પંદરેક વર્ષથી બનતું ન હોવાથી પત્ની કસાનાબેન ત્રણ સંતાનોને સાથે લઇ અલગ થઇ ગયા હતા. જેમાં સગીર પુત્રને પિતાની અન્ય યુવતી સાથેની પ્રેમ સબંધની જાણ થઇ હતી આથી પુત્રને પસદં નહતું ને ખેલ ખેલ્યો હતો.

ભેદ ઉકેલનાર એલસીબીની ટીમ

હત્યા કે આત્મહત્યાનો ભેદ ભરમ સર્જતાં બનાવનો ભેદ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પો.હેડ.કોન્સ. અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, પો.કોન્સ. મહિપાલસિંહ ચુડાસમાની બાતમીના આધારે પીએસઆઇ એચ.સી. ગોહિલની ટીમ દ્રારા કરવામાં આવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application