ભાવનગરમાં પિતાએ પુત્રીનું ગળું દાબી હત્યા કરી, ચૂપચાપ સ્મશાનમાં લાશ બાળી પણ નાખી, જાણો શું કારણ બહાર આવ્યું

  • March 12, 2025 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુત્રીના અન્ય સાથે પ્રેમ સંબંધ હોય પિતાએ પુત્રીનું ગળું દબાવી હત્યા કર્યાનું તેમજ પોતાના ભાઈની મદદથી હત્યા બાદ પુત્રીના મૃતદેહને કોઈને પણ જાણ કર્યા વિના ગામના મોક્ષ  મંદિરે જઈ અગ્નિદાહ આપી પુરાવાઓનો નાશ કરી સાહેદને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાતા પાલીતાણા રૂરલ પોલીસે ગુનો દાખલ કરી બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.


બોલાચાલી કરી ઝાપટ મારી

પાલીતાણા રૂરલ પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ, ગારિયાધાર તાલુકાના સાંઢખાખરા ગામે રહેતા પોપટભાઈ મનજીભાઈ ગોહિલ(ઉં. વ. ૬૩)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની ભાણેજ જલ્પાબેન(ઉં.વ. ૧૯)ને અન્ય સમાજના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેના પિતા દિપક ધીરૂભાઈ રાઠોડે  ગત તા. ૭-૦૩ના રોજ  સવારના સમયે તેના પ્રેમસંબંધ અંગે બોલાચાલી કરી ઝાપટ મારી એકદમથી ઉશકેરાઈને જલ્પાબેનનું ગળું દાબી હત્યા કરી નાખી હતી.


સાહેદ ધ્રુવાંશીબેનને પણ ધમકી આપી

હત્યા બાદ દિપક રાઠોડ અને  તેના ભાઈ ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડે સગા-સંબંધીઓને જાણ કર્યા વીના જ જલ્પાબેનના મૃતદેહને ગામના મોક્ષ મંદિરે લઈ જઈ તેને અગ્નિદાહ આપી દઈ પૂરાવાઓનો નાશ કરી સાહેદ ધ્રુવાંશીબેનને પણ ધમકી આપી હતી.


પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
પોપટભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પાલીતાણા રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રબારીએ દિપક ધીરૂભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડ સામે હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application