રાજકોટમાં સમૂહલગ્નમાં સોનાના બદલે બગસરાના દાગીના ધાબડી દીધા! સોનીને દેખાડતા આયોજકોનો ભાંડો ફૂટ્યો

  • May 13, 2025 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગત ફેબ્રુઆરી માસમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા રેલનગરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખરા ટાંકણે જ આયોજકો પલાયન થઇ જતા લગ્ન માટે આવેલા જાનૈયાઓની સ્થિતિ ફફોડી થઈ હતી. જે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. દરમિયાન વધુ એક આવી ઘટના સામે આવી છે. શહેરની ભાગોળે હિરાસર એરપોર્ટ સામે ગત તા. 27/4 ના શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું આયોજન થયું હતું. સમૂહલગ્નમાં આ આયોજનમાં દીકરીઓને કરિયાવરમાં આપેલા સોનાના દાગીનાના બદલે બગસરાના દાગીના ધાબડી દેવામાં આવ્યા હોાવનું સામે આવ્યું છે. જે અંગે નવોઢા દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેને લઇ પોલીસે દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


જાણવા મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગરના લખતરમાં રહેતા સોનલ વસંતભાઈ વોરા દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના પિતા વસંત ખેંગારભાઈ વોરાની આર્થિક સ્થિતિ નબળી હોય જેથી સમૂહ લગ્નમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. દરમિયાન શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વ જ્ઞાતિ દીકરીઓનો 26 મો જાજરમાન સમૂહ લગ્ન તા. 27/4/2025 ના રાજકોટની ભાગોળે એરપોર્ટ સામે યોજાનાર હોય તે માટે તેમના પિતાએ ફોર્મ ભર્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં આયોજકમાં વિક્રમભાઈ સોરાણી, પિન્ટુભાઈ પટેલ, અક્ષયભાઈ ધાડવી સહિતનાઓ હતા.


દીકરીને કરીયાવરમાં સોનાનું તેમજ ચાંદીનું દાન આપવાનું નક્કી થયું હતું. તેવી પત્રિકામાં જાહેરાત કરવામાં આવી હતી. જે વિનામૂલ્ય આપવાનું નક્કી થયું હતું. વર પક્ષ તરફથી રૂ. 21,000 લેવામાં આવ્યા હતા.


આ સમૂહ લગ્નમાં અરજદારે ગત તા. 27/4/2025 ને રવિવારના લગ્ન કર્યા બાદ કરિયાવરમાં આપેલી વસ્તુઓ સોની વેપારી પાસે ચકાસવામાં આવતા કરિયાવરમાં જે વસ્તુઓ આપી હતી તેમાં સોનાનો દાણો, વીંટી બગસરાની હોવાનું માલુમ પડ્યું હતું. પગનો કોયડો આપેલ હતો તે પણ નકલી છે. એકમાત્ર સોનાની ચૂક આપવામાં આવી છે. જેથી સમૂહ લગ્નના આયોજકોએ કરિયાવરમાં આ તમામ નકલી વસ્તુ આપી છેતરપિંડી કરી હતી.


જેથી આ અંગે અરજદાર દ્વારા શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વ જ્ઞાતિ દીકરીઓના 26 માં જાજરમાન સમૂહ લગ્નોત્સવના આયોજક વિક્રમભાઈ સોરાણી, પીન્ટુભાઇ પટેલ, અક્ષયભાઈ ધાડવી, રોશનીબેન પ્રજાપતિ, રાહુલભાઈ સીસા, જયંતીભાઈ, પ્રિયંકાબેન વિરુદ્ધ છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરવા માટે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં વધુ એક સમૂહ લગ્નના આયોજકો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરી છેતરપિંડી કરવામાં આવી હોવાના બનાવે ભારે ચકચાર જગાવી છે.


કરીયાવરમાં દાગીના દાતાઓ તફરથી અપાયા હતાં: આયોજક

સમૂહલગ્નમાં કરીયાવરમાં સોનાના બદલે બગસરાના દાગીના ધાબડી દઈ છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે અંગે શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના આયોજક વિક્રમ સોરાણીએ આ સમગ્ર મામલે એવું જણાવ્યું હતું કે, દીકરીઓને કરિયાવરમાં જે વસ્તુ આપવામાં આવી છે તે દાતાઓ તરફથી આપવામાં આવી છે. છતાં અમારા આયોજનમાં કોઈ કમી રહી ગઈ હોય તો ભોગ બનનાર અમારી પાસે આવે તેમને યોગ્ય કરી આપીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application