અગ્નિકાંડમાં અધિકારીઓને પણ છોડાશે નહીં: હાઈકોર્ટ

  • June 13, 2024 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આજે સૂઓ મોટો અરજીની ત્રીજી સુનાવણી હાઈકોર્ટમાં શરૂ થઈ હતી જેમાં હાઈકોર્ટ અગાઉની બે સુનાવણી માફક આજે પણ સરકાર અને ઉચ્ચ અધિકારીઓના રોલ બાબતે આક્રમક દેખાઈ હતી. હાઈકોર્ટે કહ્યું કે, અત્યાર સુધી નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, ઓફિસરનો રોલ તપાસવો જરૂરી છે. મ્યુનિસિપલ કમિશનર એમ ન કહી શકે કે તેઓ કશું જાણતા ન હતા. ગેમઝોન ઉદઘાટનમાં રાજકોટના ઉચ્ચ અધિકારીઓ ગયા હતા. તેમની સામે પણ શિસ્ત સંબંધી તપાસ થવી જોઈએ. અગ્નિકાંડમાં મૃતકોના પરિવારોને આરોપીઓના ખિસ્સામાંથી વળતર આપે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી અરજદાર એડવોકેટ દ્રારા પણ હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી.

ગત મહિને તા.૨૫ના રોજ ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં ૨૭ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે તૂર્ત જ એક સૂઓમોટો અરજી હાઈકોર્ટમાં ફાઈલ થઈ હતી. હાઈકોર્ટમાં બીજા દિવસે જ સુનાવણી હાથ ધરી હતી. ત્યારબાદ ગત સાહે ગુરુવારના રોજ સુનાવણી હાથ પર લેવાઈ હતી. ત્યારે હાઈકોર્ટના ન્યાયધીશો દ્રારા સરકાર પર પસ્તાળ પાળીને ઉચ્ચ અધિકારીઓને કેમ સસ્પેન્ડ કરાયા નથી? હત્યા જેવી કલમ હેઠળ ગુનો બને છે. જેવા વેધક સવાલો સાથે સરકારી તંત્રની બરાબરની ઝાટકણી કાઢી હતી. વધુ સુનાવણી તા.૧૩ એટલે કે, આજે રાખવામાં આવી હતી. આજે બપોરબાદ હાઈકોર્ટ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદી દ્રારા સૂઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.

આજે સુઓમોટોની અરજીની સુનાવણીમાં અરજદારના વકીલ અમીત પંચાલ તેમજ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.ના પ્રમુખ દ્રારા કોર્ટ સમક્ષ એવી રજુઆત કરાઈ હતી કે, કોર્ટના નિર્દેશનો અને નિયમોનું પાલન થતું નથી. આવા કારણોસર આવી ઘટનાઓ બને છે. આ ઘટનામાં મૃતકના પરીવારને આરોપીના ખીસ્સામાંથી વળતર ચુકવવામાં આવે તેવી માગણી કરાઈ હતી. સાથે બિલ્ડીંગ યુઝ પરમીશન ન હોય તો પણ કોઈ પગલા લેવાતા નથી. બીયુ પરમીશન વગરના બિલ્ડીંગો ઈલેકટ્રીક જોડાણ આપવું ન જોઈએ. હાઈકોર્ટે રજુઆતકર્તા એડવોકેટના મુદ્દાઓ ધ્યાન પર લીધા હતા.

કોર્ટે એવું કહ્યું હતું કે, ગેમઝોનમાં ઉચ્ચ અધિકારીઓ પણ ગયા હતા તેની સામે શિસ્ત સંબંધી તપાસ થવી જોઈએ. મ્યુનિ. કમિશનર કઈં નથી જાણતા તેવું માની ન શકાય. જયારથી આ ગેમઝોનની શરૂઆતનો પાયો મુકાયો હતો ત્યારથી જ અત્યાર સુધીની આ ઘટનાની શકયતાથી તપાસ થવી જોઈએ. કોર્ટ કોઈ ઓફિસરની એફીડેવીટ જોવા માગતી નથી. ૧૫ દિવસમાં તપાસ પુર્ણ કરી રીપોર્ટ આપવા કહ્યું હતું. અર્બન હાઉસીંગ અને અર્બ ડેવલપમેન્ટ વિભાગના સેક્રેટરી તપાસ કરે તેવી પણ ટકોર કરી હતી.
સાથે એવું પણ કહ્યંું હતું કે, મોરબીની દુર્ઘટના ત્યાર બાદ હરણી બોટ દુર્ઘટના અને હવે રાજકોટની આ દુર્ઘટનાથી તેવું સ્પષ્ટ્ર થાય છે કે, મહાપાલિકાની ઓથોરીટીઓ યોગ્ય કામ કરતી નથી. અગ્નિકાંડ ખુબ જ દુ:ખદ છે. અરજદાર પક્ષે કોર્ટ સમક્ષ તપાસમાં ઢીલાશ મુકાતી હોવાનું પણ જણાવ્યું હતું. ફાયર સેટી એકટનો ગુજરાતમાં અમલ થતો નથી. નવનિમિન બિલ્ડીંગોમાં પણ નિયમો જોવાતા નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application