ઇએસએ દિવસની મેચ ખેલાડીઓ, સ્ટાફ અને કોચની ફેવરિટ છે: નીતા અંબાણી

  • April 09, 2024 09:46 AM 

નીતા અંબાણી અને મુંબઈ ઇન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકર બાળકોની જિંદગીમાં રમત-ગમતના મહત્વ વિશે વાત કરી


સમગ્ર મુંબઈની વિવિધ એનજીઓના 18,000 બાળકોની હાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો એ સાથે મુંબઈ ઈન્ડિયન્સના માલિક શ્રીમતી નીતા એમ અંબાણી અને મુંબઈ ઈન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે શા માટે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ઇએસએ) દિવસ આટલો ખાસ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ઈકોસિસ્ટમમાં દરેક માટે તે કેમ અનોખો છે તે વિશે વાત કરી હતી.


શ્રીમતી અંબાણીએ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના અનુભવો અંગે તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ પહેલના મહત્વ વિશે બોલતા શ્રીમતી અંબાણીએ કહ્યું કે “બાળકોના કારણે સ્ટેડિયમમાં ઘણી હકારાત્મકતા અને આનંદ આવ્યો છે. પ્રેક્ષકોમાં હાજર 18000 બાળકો વિવિધ એનજીઓ તરફથી આવ્યા છે. હું માનું છું કે રમત ક્યાંય ભેદભાવ કરતી નથી અને પ્રતિભા ગમે ત્યાંથી આવી શકે છે. કદાચ આમાંથી એક બાળક રમત-ગમતના શિખરે પહોંચશે અને હું આશા રાખું છું કે તેઓ આ અનુભવમાંથી ઘણી આનંદપ્રદ યાદો લઈને જશે અને તેઓ પોતાના સપનામાં વિશ્વાસ મૂકવાની શક્તિ અને હિંમત મેળવશે."


તેંડુલકરે પોતાની સ્ટેડિયમની પ્રથમ મુલાકાત કેવી હતી તે વિશે અને તેને એ મુલાકાત હજુ પણ બરાબર કેવી રીતે યાદ છે તે વિશે વાત કરી હતી. તેમણે બાળકોને જીવન બદલી શકે તેવા અનુભવો પૂરા પાડવાના શ્રીમતી અંબાણીના વિઝનને પણ શ્રેય આપ્યો હતો અને કહ્યું કે “ખેલાડીઓ આ જ ઈચ્છે છે: સકારાત્મકતા. આ એવું જ છે જે મેં વર્ષો વર્ષ અનુભવ્યું છે અને તે ઉત્તરોત્તર સારું બની રહ્યું છે. મારા માટે બાળકો ભવિષ્ય છે. જો આપણે આવતીકાલ સારી ઈચ્છીએ છીએ તો આપણે આજે તેના પર કામ કરવાની જરૂર છે. શ્રીમતી અંબાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વભરના અનેક બાળકોને તકો પૂરી પાડી છે. મને આશા છે કે શિક્ષણની સાથે સાથે રમત-ગમતના ક્ષેત્રે પણ તેઓ પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.


બાળકો રમતના ક્ષેત્રમાંથી લઈ શકે અને જે તેમને આગળ વધવામાં અને તેમના વિકાસમાં મદદ કરી શકે તેવા વિવિધ બોધપાઠો અંગે પણ શ્રીમતી અંબાણીએ વાત કરી હતી. “અમે 14 વર્ષ પહેલા ઇએસએની શરૂઆત કરી હતી અને આ પહેલ સમગ્ર ભારતમાં 22 મિલિયન બાળકો સુધી પહોંચી છે. જેમ સચિન કહે છે તેમ હું માનું છું કે દરેક બાળકને રમવાનો અધિકાર અને શિક્ષણનો અધિકાર હોવો જોઈએ. બાળકો જેટલું વર્ગખંડમાં શીખે છે તેટલું જ રમતના મેદાનમાં પણ શીખે છે. રમતગમત તેમને ઘણી બધી બાબતો શીખવે છે જેમ કે શિસ્ત અને સખત પરિશ્રમ અને સૌથી વધારે તો તેમના પ્રગતિપથમાં જીત અને હારને કઈ રીતે લેવી. ઇએસએ ભારતના છેવાડાના ગામડાં અને શહેરોના નાના બાળકો માટે લાખો તકોના દરવાજા ખોલે છે,” તેમ શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું.


શ્રીમતી અંબાણીએ એમ પણ કહ્યું હતું કે આ મેચ એક એવી મેચ છે જેની દરેક વ્યક્તિ સૌથી વધુ રાહ જોવે છે અને ખેલાડીઓએ પણ આ ઉત્સાહી બાળકોની સામે રમવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. “આ મેચ ખેલાડીઓ, સ્ટાફ અને કોચની સૌથી મનગમતી મેચ છે. અમે આ દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે રાહ જોઈ રહ્યા છીએ," તેમ અંતે તેમણે કહ્યું હતું.


એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સનો સમન્વય, ઇએસએ (એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ)ના સંદેશને એમઆઇ ગર્વથી તેની તમામ ટીમોની સ્લીવ્ઝ પર ધારણ છે, આ સંદેશ તમામ પૃષ્ઠભૂમિના બાળકો માટે શૈક્ષણિક તકો અને રમતગમતના અનુભવોને સુલભ બનાવવાનો પ્રયાસ કરે છે અને તે બાળકોને સપનાં સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વર્ષ 2010માં તેની શરૂઆત થઈ ત્યારથી ઇએસએ પહેલ મુંબઈ ઈન્ડિયન્સની યુવાનોને મનોરંજન અને પ્રેરણા આપવાની પ્રતિબદ્ધતાના મૂળમાં રહી છે અને તે હજારો બાળકોને જીવનને પરિવર્તિત કરી શકે તેવી તકો પૂરી પાડે છે.


રિલાયન્સ ફાઉન્ડેશન તેની સર્વગ્રાહી ‘વી કેર’ ફિલસૂફી મુજબ વર્ષ દરમિયાન ઇએસએ દ્વારા શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશનની રમતગમતની પહેલ સમગ્ર ભારતમાં 22 મિલિયનથી વધુ બાળકોના જીવનને સ્પર્શી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application