તેને ફાંસી ન આપો, સજા તો કરો : પોર્શ કાર અકસ્માતમાં જીવ ગુમાવનાર અનીશની માતા

  • June 26, 2024 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પુણે હિટ એન્ડ રન કેસના મુખ્ય સગીર આરોપીને બોમ્બે હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યો છે. પરંતુ મૃતક અનીશ અવધિયાની માતા આ નિર્ણયથી ખુશ નથી. તેમણે કહ્યું કે ન્યાયાધીશ અને સમગ્ર તંત્ર માત્ર સગીર આરોપીની સમસ્યાઓ જ જોઈ રહ્યા છે. પણ અમારી પીડા કેમ દેખાતી નથી? અકસ્માતમાં જીવ ગુમાવનાર સોફ્ટવેર એન્જિનિયર અનીશની માતાએ કહ્યું કે અમે કોર્ટના આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છીએ. અમે નથી ઈચ્છતા કે સગીર આરોપીને ફાંસી આપવામાં આવે. પરંતુ તેને ચોક્કસપણે એટલી સજા મળવી જોઈએ કે તે ફરીથી આવી ભૂલ ન કરે.


મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સગીર આરોપીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ પછી સગીર આરોપીને છોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે રિમાન્ડનો હુકમ ગેરકાયદેસર ગણાવી રદ કર્યો હતો. સગીરના માતા-પિતા અને દાદા હાલ જેલમાં છે. તેથી સગીર આરોપીની કસ્ટડી તેની માસીને સોંપવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ સગીર આરોપીને ઓબ્ઝર્વેશન હોમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.


બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણય બાદ અનિશ અવધિયાની માતા સવિતા અવધિયાએ કહ્યું કે સગીર આરોપીને છોડવો જોઈતો ન હતો. તેની સમસ્યા જોઈને કોર્ટે તેને છોડી દીધો છે, પણ અમારું શું? સગીર આરોપીના કારણે બે ઘરના દીવા ઓલવાઈ ગયા હતા. તમે મને કહો શું કોઈ માતા આ નિર્ણયથી ખુશ થશે જેનો 24 વર્ષનો યુવાન પુત્ર તેની પાસેથી હંમેશ માટે છીનવાઈ ગયો છે. તે પણ બીજાની બેદરકારીને કારણે. અમે માત્ર ન્યાયની આશા રાખીએ છીએ. અમને આશા છે કે અમને અને અશ્વિની કોસ્થાના પરિવારને ચોક્કસ ન્યાય મળશે.


18મી મેની મધરાતથી 19મી મેની સવારે 2.30 વાગ્યાની વચ્ચે પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં એક ભયાનક કાર અકસ્માત થયો હતો. પ્રખ્યાત બિલ્ડર વિશાલ અગ્રવાલના પુત્રએ બે બાઇક સવાર સોફ્ટવેર એન્જિનિયરો અનિશ આવડિયા અને અશ્નીની કોષ્ટાને ઝડપી પોર્શ કારથી કચડી નાખ્યા હતા. જેમાં બાઇક સવાર બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ પોર્શ કાર ચાલકને પકડી લીધો હતો. તેને માર માર્યો અને પોલીસને હવાલે કર્યો. તે નશાની હાલતમાં હતો. બાદમાં ઘટનાના થોડા કલાકો પછી આ કેસના આરોપીને બાળ અધિકાર ન્યાય બોર્ડ દ્વારા સગીર હોવાના આધારે જામીન આપવામાં આવ્યા હતા. તેમને માત્ર 300 શબ્દોનો નિબંધ લખવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા.


33 દિવસ પછી આવ્યો બહાર


આ કેસમાં લોકોની આકરી ટીકા બાદ પોલીસ અને સરકાર પર દબાણ વધી ગયું હતું. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ અનેક ચોંકાવનારી બાબતો સામે આવી. આરોપી સગીર પબમાં ગયો હતો અને 12મા ધોરણમાં પાસ થયાની ઉજવણી કરવા માટે તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી. આ માટે તેણે રૂ.48 હજારનું બિલ પણ ભર્યું હતું. 42 હજારનું બાકીનું બિલ સગીરના મિત્રોએ ચૂકવી દીધું હતું. તે નશાની હાલતમાં પબમાંથી બહાર નીકળ્યો કે તરત જ તેની ઝડપે આવતી પોર્શ કારે બાઇક સવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા અને માર્યા ગયા. આ કેસમાં આરોપીના માતા-પિતા અને દાદા હાલ જેલમાં છે. દરમિયાન હવે હાઈકોર્ટે સગીર આરોપીને મુક્ત કર્યો છે. અકસ્માતના 33 દિવસ બાદ આરોપીને બાળ ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application