જામનગરમાં કુતરાઓનો હાહાકાર: એક દિવસમાં ૪૦ને બચકા

  • January 19, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં હડકાયા કુતરાએ મચાવ્યો આતંક: એક જ દિવસમાં ૧૨ને કરડી ખાધા: ધ્રોલથી પણ જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓ આવ્યા: શહેરના જુદા-જુદા વિસ્તારમાં અનેક લોકો ભોગ બન્યા: ત્રણ મહીલાઓનો પણ સમાવેશ: ઢોરથી પણ અનેકગણો કુતરાઓનો ત્રાસ હોવા છતાં નપાણીયા સાબીત થતાં જામ્યુકોના સતાધીશો: લોકોના હવે નાકે દમ આવી ગયો છે

જામનગર શહેર અને ધ્રોલ વિસ્તારમાં કુતરાએ આતંક કર્યો છે, માત્ર ૧૧ મહીનામાં ૮૫૭૪ કુતરાએ લોકોને બચકા ભર્યા બાદ ગઇકાલે જી.જી.હોસ્પિટલમાં ૩૪, ખાનગી હોસ્પિટલમાં ૬ અને ધ્રોલમાં હડકાયા કુતરાએ ૩ મહીલા સહિત ૧૨ને બચકા ભરતા લોકોમાં ભારે પરેશાની થઇ છે, કુતરાની ખસીકરણની કામગીરીમાં જામ્યુકોના સતાધીશો નપાણીયા થયા છે, રુા.૫૦ લાખનો ખર્ચ કરવાનું જાહેર કર્યા બાદ પણ કુતરાની કોઇ સમસ્યા હળવી થઇ નથી, ઉલ્ટાનું સરેરાશ દરરોજ ૩૫ થી ૪૦ લોકોને કુતરા બચકા ભરે છે, જામનગરની ગલીઓમાં નિકળી શકાતું નથી, ઠેર-ઠેર કુતરા અને પશુ જોવા મળે છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં લોકોને કુતરા વધુ કરડશે તેમ લાગે છે.
ધ્રોલની વાત લઇએ તો એક હડકાયો શ્ર્વાન બેકાબુ થઇ જતાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો છે, ત્રણ મહીલા સહિત ૧૨ને કુતરાએ બચકા ભર્યા છે, ગઇકાલે બપોર બાદ આ કુતરાએ શહેરમાં દોડધામ મચાવી હતી, જામનગર રોડ ઉપર આવેલી નગરપાલિકા વિસ્તાર કચેરી પાસે કુતરાએ બચકા ભરવાનું શરુ કર્યુ હતું જેમાં ૯ પુરુષો અને ૩ મહીલાનો સમાવેશ થાય છે, આ તમામ ઇજાગ્રસ્તને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ રસી લેવા માટે ઇજાગ્રસ્તનોે જામનગરમાં લવાયા હોવાનું જાણવા મળે છે.
શહેરમાં પંચવટી, પટેલકોલોની, ગાંધીનગર, મચ્છરનગર, નવાગામ ઘેડ, સાધનાકોલોની, ગુલાબનગર, યુવા પાર્ક, રણજીત રોડ, સેતાવાડ, દિગ્વિજય પ્લોટ, મોહનનગર અને હાપા સહિતના વિસ્તારોમાં દરરોજ કુતરા આતંક મચાવે છે, રાત્રે બાઇક લઇને નિકળે તો પણ બાઇકની પાછળ દોડે છે અને કુદીને બચકા ભરી લે છે, કેટલાકને તો લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવા પડે છે.
છેલ્લા ૧૧ મહીનામાં ૮૫૭૪ લોકોને કુતરા કરડયા છે, લગભગ ૯૦૦થી વધુ લોકોને કુતરાએ બચકા ભરીને લોહી લોહાણ કર્યા છે તેવું જાણવા મળે છે, આમા ખાનગી હોસ્પિટલના આંકડાનો સમાવેશ થતો નથી, જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના દર્દીના આંકડાઓ મળે તો લગભગ ૧૧ મહીનામાં ૧૫ હજારથી વધુ લોકોને કુતરાઓએ લોકોને બચકા ભર્યા હોવાનું ડોકટરોએ જણાવ્યું છે.
જાન્યુઆરી મહીનામાં જી.જી.હોસ્પિટલમાં ૮૩૭, ફેબ્રુઆરીમાં ૮૩૪,  માર્ચ ૮૧૭, એપ્રિલ ૭૯૧, મે ૮૦૪, જુન ૬૮૯, જુલાઇ ૩૫૪, ઓગષ્ટ ૮૩૭, સપ્ટેમ્બર ૮૬૧, ઓકટોબર ૮૪૬, નવેમ્બર ૯૦૪ અને ડીસેમ્બરમાં લગભગ ૯૦૦થી વધુ લોકોને કુતરાએ બચકા ભર્યા છે.
**
કોર્પોરેશનની ખસીકરણની કામગીરીનો ફીયાસ્કો: જામ્યુકોના સતાધીશો શરમ કરો
જામનગરમાં દરરોજ ૩૫ થી ૪૦ લોકોને એવરેજ કુતરા બચકા ભરે છે અને આ આંકડા જી.જી.હોસ્પિટલના છે, મહાપાલિકાના સતાધીશો શું કરવા માગે છે તે સમજાતું નથી, લોકોની આટલી-આટલી ફરિયાદ છતાં પણ જાણે કે કોઇ શરમ જેવું ન હોય એવું લાગે છે, રુા.૫૦ લાખ કુતરાના ખસીકરણ માટે વાપરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઇ નકકર કામગીરી કરવામાં આવી નથી, જાહેરાત કરવામાં જામ્યુકોના સતાધીશો પાવરધા છે, એક તરફ કુતરાઓ લોકોને વધુને વધુ પરેશાન કરી રહ્યા છે, લોકો મુંઝવણ ભરી સ્થિતિમાં છે, અમુક લોકો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જાય છે ત્યારે જો બધો આંકડો ભેગો કરીએ તો એવરેજ ૭૦ થી ૮૦ કુતરાના બચકાનો લોકો ભોગ બને છે અને લોહી લોહાણ લોકો થઇ જાય છે ત્યારે આ અંગે કોઇ નકકર પગલાલેવાનો સમય આવી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application