રાજકોટ શહેર-જિલ્લામાં જંત્રી સામેના 850 વાંધા અંગે જિલ્લા કલેકટર તા.1 માર્ચથી હિયરિંગ કરશે

  • February 27, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આગામી તા.1 માર્ચથી જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જંત્રી સામેના વાંધાનું હિયરિંગ શરૂ કરાશે. તા.1 માર્ચના રોજ યોજાનારી મિટિંગમાં પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારોના વાંધાઓનું હિયરિંગ થશે. આગામી નવા નાણાંકીય વર્ષ 2025-20256ના પ્રારંભે એપ્રિલથી જ સરકાર નવી જંત્રીનો અમલ શરૂ કરે તેવી સંભાવના છે ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને મળનારી કમિટિ વાંધા-રજૂઆતો સાંભળીને સરકારમાં અભિપ્રાય મોકલશે.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સૂચિત નવા જંત્રીદર સામે રાજકોટ જિલ્લામાંથી 850 જેટલી વાંધા અરજીઓ કલેકટર તંત્ર સમક્ષ ઇનવર્ડ થઇ છે.જેમાં રાજકોટ શહેરની 193 જેટલી વાંધા અરજીઓનો સમાવેશ થાય છે.નવા જંત્રીદર સામે રાજકોટ જિલ્લામાંથી વધુ વાંધા અરજીઓ આવેલ હોય આગામી તા.1 માર્ચને શનિવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાનારી પ્રથમ તબકકાની બેઠકમાં જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલી નવા જંત્રીદર સામેની વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરી આ ખાસ કમીટી રાજય સરકારને રિમાર્કસ સાથે અભિપ્રાય મોકલશે. ત્યારબાદ આ અંગેનો અંતિમ નિર્ણય રાજય સરકાર લેશે.
રાજકોટમાં સુચીત નવા જંત્રીદરના વિરોધમાં વાંધા અરજીઓ રજુ થવાની સાથે શહેરના કેટલાંક વિસ્તારોમાંથી જંત્રીદર વધારાની માંગણી સાથે પણ કલેકટર તંત્ર સમક્ષ રજુઆતો થવા પામેલ છે.કલેકટર તંત્ર દ્વારા જંત્રી વાંધા નિકાલની પ્રક્રિયા હાથ પર લેવાતા આ અંગે તા.1 માર્ચને શનિવારે પ્રથમ હિયરીંગ મિટિંગ યોજવામાં આવી છે.
અહી એ નોંધનીય છે કે, રાજય સરકારનાં સુચિત નવા જંત્રીદર સામે અગાઉ રાજકોટ સહિત રાજયભરમાંથી જબ્બર વિરોધ ઉઠયો હતો જેમાં રાજકોટ બિલ્ડર્સ એસોએશિન અને ક્રેડાઇ દ્વારા 200 થી 2000 ટકાનો જંત્રીમાં વધારો ઝીંકાયાનું જણાવી આ મામલે રાજયના દરેક કલેકટરની સાથે રાજય સરકારને રજુઆત કરી હતી.જેમાં સુચિત નવા જંત્રી દરમાં અનેક ટેકનીકલ ક્ષતિ અને વિસંગતતા રહેલી હોવાનું જણાવાયું હતું. આ નવા જંત્રીદરનાં વધારાની અસર ગરીબ અને સામાન્ય નાગરીકો દ્વારા ખરીદ કરવામાં આવતા ફલેટ અને ટેનામેન્ટની કિંમત પર સીધી પડનાર હોય મકાનની કિંમતમાં ઉછાળો આવવાની શકયતા છે.
આ સુચિત નવા જંત્રી દર સામે ઉઠેલા જબ્બર વિરોધ બાદ રાજય સરકાર દ્વારા રાજકોટ સહીત રાજયભરમાં વાંધા અરજીઓ સ્વીકારવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર-જીલ્લામાંથી 850 જેટલી સુચિત નવા જંત્રી દર સામેથી વાંધા અરજીઓ ઓનલાઈન અને ઓફલાઈન વહીવટીતંત્રમા સબમીટ થવા પામી છે. જેના નિકાલ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હવે પ્રક્રિયા શરૂ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application