રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાલે ઘરે ઘરે ફરી ડેન્ગ્યુનો કરાશે સર્વે

  • May 15, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં દર વર્ષે ૧૬ મેના રોજ 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધિકારીઓ કર્મચારીઓ અને આરોગ્ય વિશે એક કામગીરી સાથે જોડાયેલા સ્ટાફ દ્વારા કાલે ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરીને આ અંગેનો સર્વે કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરિયા અધિકારી જી. પી. ઉપાધ્‍યાય અને આરોગ્ય ટીમ દ્વારા હાલમાં ગામોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ગૃહ મુલાકાત લઇ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જો તાવના દર્દીઓ જોવા મળે તો તેના લોહીના નમુના લઇ સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવે છે. જરુરીયાત મુજબ પાણીના ટાંકામાં એબેટ નામની દવા નાખવામાં આવે છે. બંધિયાર ખાડા, નદી કે ખૂલ્લી પાણીની ટાંકીઓમાં પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવે છે. ડેન્ગ્યુ, મેલેરિયાના પોઝીટીવ કેસો ધરાવતા ગામોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

આ રોગ મચ્છરજન્ય છે. પાણીમાં મચ્છરની ઉત્પત્તિ થાય છે. તેથી, લોકોએ પાણી ભરવાના વાસણો, ટાંકીઓ નિયમિત સાફ કરી સુકવીને પછી ફરીથી ભરવા જોઇએ, તેને હવાચુસ્ત કપડાથી કે ઢાંકણાથી બંધ રાખવા જોઇએ. ટાયર, નકામા ડબ્બા, ખાલી વાસણોમાં પાણી ન ભરાવા દેવું, ખાડા-ખાબોચીયાનું પાણી વહેતુ કરી દેવું, મોટા ખાડામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવી, પુરુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, દવાવાળી મચ્છરદાનીમાં સૂવું, સાંજે દિવસ આથમે બારી બારણા બંધ રાખવા, લીમડાનો ધુમાડો કરવો - આ મુજબ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તાવ આવે ત્યારે આરોગ્ય કર્મચારી કે આશાનો સંપર્ક સાધી, તેમને લોહીનો નમૂનો આપી, તેમની સુચના મુજબ સારવાર કરાવવા જણાવવામાં આવે છે.

તાલુકા કક્ષાએ ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારોમાં ઇન્‍ટર સેકટોરલ મીટીંગ, એડવોકેસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્‍ય શિક્ષણ માટે વાહકજન્‍ય રોગો અંગે પ્રદર્શન તથા જાહેર સ્‍થળોમાં કાર્યક્રમો ગોઠવવામાં આવશે. તાલુકાઓમાં ક્ષેત્રીય કક્ષાએ ભવાઇ, ડાયરા, નાટક અથવા પપેટ શો જેવા કાર્યક્રમ યોજાશે. જાહેર સ્‍થળો પર રેલી, હોડિંગ્‍સ, બેનર, પોસ્‍ટર્સ, ભીંતચિત્રો અને ભીંતસુત્રોના માધ્‍યમથી જાગૃતિ ફેલાવાશે. શાળા અને કોલેજોમાં વાહકજન્‍ય રોગો સબંધિત પેઇન્‍ટીંગ, વકતૃત્વ સ્‍પર્ધા વગેરે યોજાશે. પત્ર‍િકા વિતરણ, હાઉસ ટુ હાઉસ આઇ.ઇ.સી. કામગીરી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application