જામનગર શહેરમાં વર્ષોથી આરટીઓ કચેરીથી સાતરસ્તા સુધીનો રસ્તો બનાવવા માટેની દરખાસ્ત મંજુર થઇ હતી, પરંતુ કોઇના કોઇ ભોગે આ રસ્તો થતો ન હતો, સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલી આરટીઓ કચેરીનો અડધો ભાગ પણ તોડી નખાશે, ગઇકાલે અધિકારીઓના કાફલા સાથે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ નકશા સાથે સ્થળનું નિરીક્ષણ કરીને લાંબી ચર્ચા કરી હતી અને આખરે જે સરકારી કચેરીઓ તોડવામાં આવશે તે કર્મચારીઓ માટે વૈકલ્પીક જગ્યા આપવા આપવા પણ રજૂઆત કરવામાં આવી છે, ગઇકાલે શરૂ કરાયેલા ઓપરેશનમાં લગભગ ૧૦ હજાર ફુટ જમીન ખુલી કરવામાં આવી છે.
ગઇકાલે બપોર બાદ એસ્ટેટ શાખાના નીતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી અને પોલીસના કાફલાને સાથે રાખીને આરટીઓ કચેરીથી સાતરસ્તા સુધીનો ૧૮ મીટરનો રસ્તો પહોળો બનાવવા માટે બુલડોઝર ફેરવવાની કામગીરી શ કરવામાં આવી હતી, પહેલા આ બંને ઉચ્ચ અધિકારીઓએ તમામ કચેરી અને જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ પાડતોડની કામગીરી શરૂ કરાઇ હતી, સીટી-એ ડીવીઝનવાળુ બિલ્ડીંગ, ગ્રામીણ બેંક, ક્ષાર નિવારણ કચેરી, એલસીબી કચેરી, એસઓજી કચેરી, આરટીઓ કચેરીનો કેટલોક ભાગ અને એક ધાર્મિક સ્થળ આ માર્ગની વચ્ચે આવે છે તે તમામ તોડી પાડવામાં આવશે.
જુના આરટીઓ કચેરી પાસે હાથથી ચાલતી બેટરી અને ઇલેકટ્રીક વાહન, બાળકોની રાઇડઝ પણ ગઇકાલથી બંધ કરાવી દેવામાં આવી છે અને તમામ રાઇડઝ બંધ કરીને આ રસ્તો પણ ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે, લાંબા સમય બાદ જામ્યુકોની એસ્ટેટ શાખા અને પોલીસ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે, આ રસ્તો ૧૮ મીટરનો થશે જેનાથી ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે, એટલે કે જુની આરટીઓ કચેરથી સીધા સાતરસ્તા પાસે આ રસ્તો નિકળવાનો હોય લગભગ દોઢેક કીલોમીટર અંતર ઘટી જશે.
જિલ્લા પોલીસ વડા અને મ્યુ.કમિશ્નર એકાએક આરટીઓ કચેરીએ પહોંચતા લોકોને પણ આશ્ર્ચર્ય થયું હતું, પરંતુ આ પહેલા આ બંને અધિકારીઓએ ખાનગી મીટીંગ પણ કરી હતી અને કોઇપણ ભોગે ૧૮ મીટરનો આ રસ્તો કે જેની વર્ષોથી માંગ છે તેને બનાવવા માટે તમામ ગેરકાયદેસર બિલ્ડીંગ અને સરકારી કચેરીઓને તોડી પાડવા નિર્ણય લેવાયો હતો, જો કે આ અંગે જિલ્લા કલેકટર સાથે પણ વાતચીત પણ કરવામાં આવી હતી અને તોડી પડાયેલી કચેરીઓના કર્મચારીઓને તાત્કાલીક અસરથી અન્યત્ર જગ્યાએ ખસેડવા નિર્ણય કરાયો છે.