આણંદપર ખાતે ૪૦ કરોડની જમીન ખુલ્લી કરાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશન
આણંદપર ખાતે ૪૦ કરોડની જમીન ખુલ્લી કરાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશન
May 22, 2026 08:11 PM
રાજકોટના આણંદ પર ખાતે કલેકટર તંત્ર દ્વારા આજે સવારથી જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દબાણ યુક્ત જમીન પરથી કાચા પાકા મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્રના અંદાજ મુજબ આશરે રૂપિયા ૪૦ કરોડ રૂપિયાની જમીન આજે સાંજ સુધીમાં ખુલ્લી થઈ જશે.ચૂંટણી પર્વ આવી જતા છેલ્લા લાંબા સમયથી કલેકટર તંત્રના બુલડોઝર શાંત પડી ગયા હતા. વહીવટી તંત્રના અનેક વિભાગના કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હતા. જેથી દબાણ હટાવવાની કામગીરી સાવ ઠપ્પ થઈ ગઈ હતી. જોકે હવે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે રાજકોટ કલેકટર તંત્રએ દબાણ યુક્ત જમીનને ખાલી કરાવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેમાં આજે સવારે રાજકોટ ગ્રામ્યના મામલતદાર કે.એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ આણંદપર ગામ ખાતે દબાણ યુક્ત જમીનને ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આણંદપર ગામ ખાતે સર્વે નંબર ૨૦૭ પૈકીની આશરે ૭ એકર જેટલી જમીન પર ૩૫ જેટલા કાચા પાકા મકાનો બંધાઈ ગયાનું રાજકોટ કલેક્ટરના ધ્યાને ચઢયું હતું. જે બાદ તંત્રએ ગત ૧૩ તારીખના રોજ ડિમોલિશન સંદર્ભેની નોટિસ પાઠવી હતી. જેની અમલવારીના ભાગ રૂપે તંત્રએ આજ સવારથી કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ એક અંદાજ મુજબ આજે સાંજ સુધીમાં તમામ કામગીરી | પૂર્ણ થઈ શકે તેમ છે. આ કાર્યવાહી બાદ આશરે રૂપિયા ૪૦ કરોડની જમીન ખુલી થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કલેક્ટર તંત્ર દ્વારા દબાણ યુક્ત જમીનને ખુલ્લી કરવા માટે ડિમોલિશનની પ્રક્રિયા રાજકોટના અનેક વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી.