અકળ કારણસર ગળાફાંસો ખાઈ લેતા સલાયાના તરુણનું મૃત્યુ

  • February 29, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા કરીમભાઈ હારૂનભાઈ ભાયા નામના ૫૦ વર્ષના મુસ્લિમ વાઘેર આધેડના બાર વર્ષના પુત્ર યાસીનએ ગઈકાલે બુધવારે કોઈ અકળ કારણોસર તેના ઘરે રૂમમાં રહેલા પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતક યાસીનના પિતા કરીમભાઈ ભાયાએ સલાયા મરીન પોલીસને કરી છે. આશાસ્પદ બાળકના અકાળે અવસાનથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
***
ખંભાળિયાના યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં આવેલા વણકર વાસ ખાતે રહેતા ધવલ જેઠાભાઈ ડોરૂ નામના ૨૧ વર્ષના યુવાને સોમવારે મોડી રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના મોટાભાઈ જીતુભાઈ જેઠાભાઈ ડોરૂએ અહીંની પોલીસને કરી છે.
***
વડત્રાના યુવાનનું મૂર્છિત અવસ્થામાં મૃત્યુ
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા જુવાનસંગ દાજીભાઈ ચુડાસમા નામના ૪૪ વર્ષના યુવાન બુધવારે તેમના ઘરે સુતા હતા, ત્યાર બાદ તેમના પરિવારજનો તેમને જગાડવા જતા તેઓ જાગ્યા ન હતા અને મૂર્છિત અવસ્થામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ બ્રિજરાજસિંહ રામસંગજી ચુડાસમા (ઉ.વ. ૨૨, રહે. વડત્રા) એ ખંભાળિયા પોલીસને કરી છે.
***
ટ્રેનની ઠોકરે સુરજકરાડીના યુવાનનું અપમૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અજીતસિંહ રણજીતસિંહ રાઠોડ નામના ૩૩ વર્ષના યુવાન બુધવારે મીઠાપુર નજીકના સુરજકરાડી ગામના રેલવે ફાટક તરફના રેલ્વે ટ્રેક ઉપર કોઈ કારણોસર ટ્રેનની અડફેટે આવી જતા તેમનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ દાનસિંહ હમીરજી રાઠોડ (ઉ.વ. ૬૫, રહે. ઉદ્યોગનગર) એ મીઠાપુર પોલીસને કરી છે.
***
વનાણા ગામમાં તાવ ચડી જતા ખેડુત વૃઘ્ધનું મૃત્યુ: નવા મોખાણાના વૃઘ્ધનું તબિયત લથડતા પ્રાણપંખેરુ ઉડયું

જામજોધપુરના વનાણા ગામમાં વાડીએ કામ કરતા પ્રૌઢને તાવ ચડી જતા બેભાન અવસ્થામાં જી.જી. હોસ્પીટલ ખાતે લાવતા જયાં તેમનું મૃત્યુ થયુ હતું જયારે બીજા બનાવમાં નવા મોખાણા ગામમાં રહેતા વૃઘ્ધની તબિયત લથડતા  મૃત્યુ થયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતા પોપટભાઇ રામાભાઇ વશરા (ઉ.વ.૫૦) ગત તા. ૨૭ના રોજ ગામમાં આવેલી પોતાની વાડીમાં કામ કરતા હતા ત્યારે તાવ ચડી જતા બેભાન થઇ ગયા હતા આથી તેઓને સારવારમાં જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જતા જયાં તેમનું મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે જામનગરના પટેલપાર્કમાં રહેતા લક્ષ્મીબેન નયનભાઇ પીંડરીયાએ શેઠવડાળા પોલીસમાં જાહેર કર્યુ હતું.
બીજા બનાવમાં જામનગરના નવા મોખાણા ગામમાં રહેતા હમીરભાઇ ડાયાભાઇ ધ્રુવ (ઉ.વ.૫૬) નામના વૃઘ્ધ તા. ૨૬ના બપોરના સુમારે રણજીતસાગર બગીચા ખાતે હતા ત્યારે અચાનક તબિયત લથડતા ૧૦૮ મારફતે જી.જી. હોસ્પીટલમાં સારવારમાં લઇ જતા જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવની જાણ કિશોર હમીરભાઇ દ્વારા પંચ-બીમાં કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application