"છોટી કાશી" ના વિશ્વવિક્રમી બાલા હનુમાન મંદિરનો તા. ૧ ના ઉજવાશે ષષ્ઠી-પૂર્તિ પાટોત્સવ

  • July 31, 2024 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગમે તેવા કપરા સંજોગોમાં પણ રામ નામનો યજ્ઞ અવિરત: અખંડ રામધુન, મંત્રોચ્ચાર સાથે સતત 60 વર્ષથી શહેરીજનોની શ્રધ્ધાના પ્રતિકરૂપ આ ધર્મસ્થાનમાં તા.૧ ઓગષ્ટે દિવ્ય દર્શનનો તેમજ સંધ્યા મહાઆરતીનો ભાવિકોને મળશે લાભ


"છોટી કાશી" ની ઉપમા ધરાવતાં જામનગર શહેરના તળાવની પાળ પર આવેલા વિશ્વ પ્રસિધ્ધ અને વિશ્વ વિક્રમી બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધુનનો ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ તા.૧ ઓગષ્ટના રોજ ઉજવાશે.


નગરના આંગણે તળાવની પાળ પર નયનરમ્ય વાતાવરણમાં સતત ૬૦ વર્ષથી રામ-નામનો મંત્ર જાપ ગુંજી રહયો છે. આ ધર્મસ્થાનમાં પૂ.પ્રેમભિક્ષુજી મહારાજે તા. ૦૧ ઓગષ્ટ ૧૯૬૪ થી અખંડ રામધુનની ધુણી ઘખાવી હતી, જેને ભકતજનોનો અભૂતપૂર્વ સહયોગ સાંપડતાં આજ સતત ૬૦ વર્ષથી આ ધર્મયજ્ઞ અવિરત અને ઉત્સાહભેર પ્રજવલ્લિત બની રહ્યો છે.


આ મંદિર પર પરમાત્માની એવી અસીમ કૃપા વરસી રહી છે કે, યુધ્ધ-અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ-વાવાઝોડું-ભૂકંપ કે મહામારીના કપરા સંજોગોના દિવસોમાં પણ અહિં રામ-નામ મંત્ર-જાપ કદી બંધ રહ્યો નથી અને એ કારણોસર જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જામનગરના આ બાલા હનુમાન સંકિર્તન મંદિરને બબ્બેવાર સ્થાન સાંપડયું છે.


આ મંદિરની ખ્યાતિ દેશ-દેશાવરમાં ફેલાયેલી છે અને તેથી જ ગુજરાત સહિત દેશના અન્ય રાજયો તેમજ વિદેશથી પણ ભાવિકો દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવે છે.

આ મંદિરના ષષ્ઠી-પૂર્તિ પાટોત્સવના દિવસે તા. 1 ઓગષ્ટના રોજ દિવસભર વિશેષ શણગાર સાથે ઝાંખીના દર્શન થશે અને સાંજે ૭-૩૦ વાગ્યે મહાઆરતી થશે, જેનો લાભ લેવા ભાવિક ભાઈ-બહેનોને મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ ઉજવણી પ્રસંગે બાલા હનુમાન મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application