જૂનાગઢ PGVCL દ્વારા દૈનિક સરેરાશ 93 વીજ મીટરનુ ચેકિંગ

  • September 23, 2024 09:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વીજ વપરાશની ગણતરી કરવા લગાવેલા વીજ મીટરમાં કોઈ ક્ષતિ આવે તો તેને રિપેર કરવા માટે ટેસ્ટિંગ કરવામાં આવે છે.જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ ચાર મીટર ટેસ્ટિંગ લેબ કાર્યરત છે.સિનિયર ટેકનીશીયન હેઠળ મીટર ટેસ્ટર દ્વારા વીજ મીટરની ચકાસણી કરવામાં આવે છે.
જેમાં દરરોજ સરેરાશ 93 વીજ મીટર ટેસ્ટિંગ માટે આવે છે.આઠ મહિનાના સમયગાળા દરમિયાન 22503 વીજમીટરની ચકાસણી કરવામાં આવી છે.તપાસ બાદ રિપોર્ટમાં 76 મીટરમાં વીજ ચોરી થયાનું ખુલ્યું છે અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પીજીવીસીએલ દ્વારા વીજ વપરાશની ગણતરી માટે લગાવેલ મીટરમાં ક્ષતી હોવાની પણ ફરિયાદો ઊઠે છે. ઘણીવાર વીજ મીટરમાં રીડિંગ વધારે, રીડિંગ ઓછું બતાવવું સર્કિટમાં ખામી, ટેકનિકલ ખામી સર્જાય તેને સુધારવા મીટર ટેસ્ટિંગ લેબ કાર્યરત છે.જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ જૂનાગઢ સીટી, ગ્રામ્યમાં ડિવિઝન-1, ડિવિઝન-2, વેરાવળ મળી કુલ ચાર મીટર ટેસ્ટિંગ લેબ કાર્યરત છે. જેમાં સિનિયર ટેકનિશિયન હેઠળ મીટર ટેસ્ટરોના સ્ટાફ દ્વારા ખામીયુક્ત મીટરઓ ચકાસવામાં આવે છે અને તેને પુન ઉપયોગમાં લઈ શકાય તે માટે રીપેર કરવામાં આવે છે. વિભાગીય કચેરીઓમાં વિવિધ કારણોસર મીટર ટેસ્ટિંગ માટે આવતા હોય છે.જ્યારે કોઈ કનેક્શન રદ કરવામાં આવ્યા હોય, કોર્પોરેશન દ્વારા નોટિસ,વીજ કનેક્શન કાપ્યા હોય તેવી ઇમારતોના મીટરો, મીટરની ડિસ્પ્લે ઓફ થઈ જવી, ડિસ્પ્લેમાં આંકડા કપાતા હોય, સર્કિટમાં ખામી,રીડિંગમાં ફેરફાર,ગ્રાહકોની ફરિયાદ, રીડરને મીટરમાં કોઈ ખામી દેખાય અથવા મીટર નું સ્થાન રિપ્લેસ કરવાનું હોય તેવી સ્થિતિમાં વીજ મીટર અને લેબમાં ચકાસણી અર્થે લાવવામાં આવે છે. ગ્રાહકોને મીટરમાં ખામી જણાય તો સબ ડિવિઝન કચેરીમાં નિયત ફી અને ફોર્મ ભરી મીટર ટેસ્ટ કરાવે છે.
જૂનાગઢ વિભાગીય કચેરી હેઠળની લેબમાં વીજ અધિક્ષક ઇજનેર રાઠોડના માર્ગદર્શન હેઠળ થઈ રહેલા મીટરના ચેકિંગમાં જાન્યુઆરીથી ઓગસ્ટ આઠ મહિનામાં સિંગલ ફેઝના 17100, થ્રી ફેઝના 5403 મળી કુલ 22503 વીજ મીટર ટેસ્ટિંગ લેબમાં આવ્યા છે. જેમાં દરરોજ સરેરાશ 93 વીજ મીટર ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.સૌથી વધુ મે મહિનામાં 3227 અને સૌથી ઓછા જાન્યુઆરી માસમાં 2770 મીટર ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. ચકાસણી દરમિયાન શહેરી વિસ્તારમાં18, રૂરલ એકમાં 18, રૂરલ બેમાં 2, વેરાવળમાં 38 મળી 76 વિજમીટરમાં ચેડચાડ થયાનું ખુલ્યું હતું. અને ગ્રાહકને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે 720 મીટરમા ક્ષતિ હોવાથી બદલવામાં આવ્યા હતા. પીજીવીસીએલના જણાવ્યા મુજબ જૂનાગઢ વર્તુળ કચેરીમાં  વીજચોરીનો ગ્રાફ ઓછો થયો છે.


ડિવિઝન એક અને બેમાં સમાવિષ્ટ ગામ
પીજીવીસીએલ દ્વારા કાર્યરત મીટર લેબમાં જુનાગઢ ડિવિઝન એકમાં ભેસાણ, વિસાવદર, બિલખા, જૂનાગઢ ગ્રામ્ય, ડિવિઝન-2માં મેંદરડા વંથલી અને માણાવદર ગ્રામ્યના વીજમીટરની ચકાસણી કરવામાં આવે છે.
જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીની મીટર ચકાસણીની વિગત
પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરીથી ઓગસ્ટ આઠ મહિના દરમિયાન સિંગલ ફેસ અને થ્રી ફેઝ મીટરની કરાયેલ ચકાસણીમાં જાન્યુઆરી મહિનામાં 2770, ફેબ્રુઆરી 3135, માર્ચ 2557, એપ્રિલ 2795, મે 3227, જુન 2180, જુલાઈ 3123 અને ઓગસ્ટ 2816 મળી 22603 મીટરની ચકાસણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application