સાબરમતી એકસપ્રેસ ઉથલાવવાનું ષડયંત્ર

  • August 17, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુપીના કાનપુરમાં આજે સવારે ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ટ્રેનના ૨૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મોડી રાતે લગભગ ૨:૩૦ વાગ્યે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ગાડી નંબર ૧૯૧૬૮ સાબરમતી એકસપ્રેસના ૨૨ ડબા પાટા પરથી ખડી પડતાં હાહાકાર મચી ગયો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સાબરમતી એકસપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે ૨.૩૫ વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર રાખેલા ભારે પથ્થરો સાથે અથડાયું હતું. ત્યારબાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટના બાદ ટક્કરના કેટલાક નિશાન જોવા મળ્યા છે. ૧૬મા કોચ પાસે કેટલાક લોકોના નિશાન જોવા મળ્યા હતા.

ટ્રેન દુર્ઘટના અંગે રેલવેએ ષડયંત્રનો સંકેત આપ્યો છે. અકસ્માતની તપાસ આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ મુદ્દે માહિતી આપી છે. તેમનું કહેવું છે કે ટ્રેક પર રાખવામાં આવેલા બોલ્સ્ટર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રેનના ડ્રાઈવરે પણ ટ્રેનનું એન્જિન પથ્થર સાથે અથડાવાની શકયતા વ્યકત કરી છે. તેમનું કહેવું છે કે બોલ્સ્ટર સાથે અથડાયા બાદ એન્જીનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ.


રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના કોઈ મોટા ષડયંત્રના ભાગપે કરવામાં આવી છે. રેલવે ટ્રેક પર પથ્થર જેવી વસ્તુ મૂકવામાં આવી હતી, જેના કારણે સાબરમતી એકસપ્રેસ ટ્રેનનું એન્જિન અથડાયું હતું અને ટ્રેનના ૨૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલ્વે સૂત્રોએ જણાવ્યું કે એન્જિન ટ્રેક પર રાખવામાં આવેલી કોઈ વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું, એન્જિન પર નિશાન જોવા મળ્યા. પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જે લોકોના ૧૬મા કોચની નજીકથી મળી આવ્યા છે.

આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.
રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એકસ પર જણાવ્યું હતું કે આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર–જવરને અસર થઈ છે. સાબરમતી એકસપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના ટમાં આવતી ટ્રેનોની અવર–જવરને અસર થશે.

કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહે કહ્યું કે આશરે ૨૨ જેટલાં કોચ પાટા પરથી ખડી પડા હતા. અમે ઘટનાસ્થળે હાજર જ છીએ. કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. અમુક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે પરંતુ અત્યાર સુધી કોઈને ગંભીર ઈજા થયાની માહિતી સામે આવી નથી. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે અને મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોની મદદ માટે રેલવે દ્રારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application