સીદસરમાં ભાજપના પ્રચાર માટેના વાહનમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડ્યાની ફરિયાદ

  • April 30, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકી ધાકધમકી આપવા અંગે સ્થાનિક ૧૧ શખ્સો સામે ગુનો નોંધાવાતાં ભારે ચકચાર


જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરતાં રોકવામાં આવ્યા હોવાના કિસ્સો સામે આવ્યો છે. પ્રચાર પ્રસાર માટેના વાહનને અટકાવી તેમાં રહેલા પોસ્ટર વગેરેને ફાડી નાખી નુકસાનની પહોંચાડવા અંગે, તેમજ પ્રચાર કરતાં રોકી સ્પીકર બંધ કરાવી ધાક ધમકી આપવા અંગે ૧૧ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ના પ્રચાર માટેનું જી.જે.૧૦ ટી.એક્સ. ૫૧૫૦ નંબરનું વાહન પ્રચાર પ્રસાર માટે નીકળ્યું હતું, દરમિયાન સવારે ૯.૦૦ વાગ્યા ના અરસામાં ગામના પાદરમાં ૧૧ જેટલા શખ્સોએ વાહનને રોક્યું હતું, અને પ્રચાર કરતાં અટકાવી તેમાં હાજર રહેલા કાર્યકર્તાઓને ધાકધમકીઓ અપાઇ હતી, અને સ્પીકર બંધ કરાવ્યું હતું, તેમજ તેમાં રહેલા બેનર-પોસ્ટર વગેરે પણ ફાડી નાખી નુકસાની પહોંચાડવામાં આવી હતી. અને વાહનને ફરીથી જામજોધપુર તરફ જવા દેવાયું હતું.


આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મેઘપર આંબરડી ગામના વતની અને તાલુકા ભાજપના મહામંત્રી ભાયાભાઈ દેવાણંદભાઈ બંધીયા ની ફરિયાદના આધારે ઘનશ્યામસિંહ મનુભા વાળા, હરદેવસિંહ વિક્રમસિંહ, રવિરાજસિંહ દિલુભા, જીતેન્દ્રસિંહ રતુભા, તેમજ અન્ય સાત જેટલા અજાણ્યા માણસો સહિત કુલ ૧૧ શખ્સો સામે આઇપીસી કલમ ૩૪૧,૪૨૭,૧૧૪ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application