સગીર છાત્ર સહિતની ત્રિપુટીએ માત્ર 20 મીનિટમાં લૂંટના બનાવને અંજામ આપ્યો

  • February 14, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પાસે આવેલા વાવડીમાં મોડી રાત્રિના પેટ્રોલ પંપમાં ત્રિપુટીએ કર્મચારી પર ધોકા અને હથોડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી લૂંટ ચલાવી હતી. જે ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સગીર વિદ્યાર્થી સહિત ત્રણ શખસોને ઝડપી લઇ આ બનાવવાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સગીરના પિતા અહીં પંપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય જેથી સગીર અહીંની તમામ બાબતોથી વાકેફ હોય તેણે ટીપ આપ્યા બાદ અહીં આ ત્રિપુટીએ માત્ર 20 મિનિટમાં લૂંટના આ બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે ટોળકી પાસેથી બાઈક બેઝ બોલના ધોકો હથોડી મોબાઈલ રોકડ સહિત કુલ રૂપિયા 1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ વાવડી ગામમાં આવેલા વાવડી ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપમાં ગઇ તા. 5 મોડીરાત્રીના મોઢે કપડું બાંધી આવેલા ત્રણ શખસોએ અહીં ફિલરમેન પર હથોડી અને બેઝબોલના ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. બાદમાં ટેબલના ખાનામાંથી રોકડ રૂપિયા 13,000 લૂંટી લીધા હતા જ્યારે બીજા રૂમમાં સૂતેલા અન્ય ફિલરમેન વચ્ચે ન આવે તે માટે તેમને રૂમમાં પૂરી દીધા હતા. જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
લૂંટના આ બનાવને લઈ એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોરની રાહબરીમાં અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન પીએસઆઇ એ.એન.પરમાર તથા એમ.કે.મોબાઇલિયા અને તેમની ટીમ આ બનાવનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, હરસુખભાઈ સબાડ તથા કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ લૂંટના બનાવવામાં સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં પ્રતિક પિયુષભાઈ દત્તા (ઉ.વ 20 રહે. ગીતાનગર મેઇન રોડ ગોંડલ રોડ), રાહુલ નવઘણભાઈ મીર (ઉ.વ 20 રહે. ખોડીયારનગર શેરી નંબર 11 150 ફૂટ રીંગ રોડ) તથા એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓ પૈકી સગીરના પિતા પેટ્રોલ પંપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય જેથી સગીર પેટ્રોલ પંપ્ની તમામ બાબતોથી વાકેફ હોવાથી તેને પોતાના બંને મિત્રોને લૂંટ માટેની ટીપ આપી હતી. બાદમાં આ ત્રણેય મોડી રાત્રિના રીક્ષા લઇ અહીં પેટ્રોલ પંપે ગયા હતા અને માત્ર 20 મિનિટમાં લૂંટના આ બનાવને અંજામ આપી નીકળી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સગીર બારમા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. જ્યારે અન્ય બંને આરોપીઓ રીક્ષાચાલક હોવાનું માલુમ પડ્યું છે.ત્રણેયએ કડકાઇ દુર કરવા લુંટના બનાવને અંજામ આપ્યો હતો.


લૂંટ જેવી ગંભીર ઘટનામાં 48 કલાકે ગુનો નોંધાયો
વાવડી પાસે ગઇ તા. 5 ના ફીલરમેનના માથામાં બેઝબોલનો ધોકો અને હથોડી ફટકારી ગંભીર ઈજા પહોંચાડી લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે, આવી ગંભીર ઘટનામાં પણ છેક તારીખ 7 ના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આવી ગંભીર ઘટનામાં પણ ફરિયાદ લેવામાં આટલી હદે થતો વિલંબ કેટલા અંશે યોગ્ય કહેવાય? તે ચચર્નિો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application