કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી ફરી વધુ મોંઘા થયા

  • August 01, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારીનો વધુ એક ડોઝ લઈને આવી છે. સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપ્નીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકારી ઓઈલ કંપ્નીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 8-9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 1,646 રૂપિયા થઈ ગયો હતો. કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,764.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈના લોકોએ હવે આ મોટા સિલિન્ડર માટે 1,605 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નઈમાં તેની કિંમત હવે 1,817 રૂપિયા હશે.

અગાઉ સતત 4 મહિનાથી ભાવ ઘટતા હતા
અગાઉ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સતત ચાર મહિના સુધી ઘટાડવામાં આવી રહી હતી. ગયા મહિને એટલે કે 1 જુલાઈથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.

ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ માર્ચ પછી બદલાયા નથી
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર માર્ચમાં થયો હતો, જ્યારે વડાપ્રધાન મોદીએ મહિલા દિવસ (8 માર્ચ 2024)ના અવસર પર એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પહેલા એટલે કે 7 માર્ચે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના મામલે સામાન્ય લોકોને રાહત આપી હતી. ત્યારબાદ કેબિનેટે 31 માર્ચ 2025 સુધી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application