જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ

  • October 04, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા મહોત્સવનું આયોજન: ૩૦૦થી વધુ પ્રાચીન ગરબીઓ અને ૧૫ સ્થળોએ અર્વાચીન દાંડિયારાસ ગરબા શરૂ થયા


જામનગર શહેરમાં નવરાત્રીના પર્વની ઉજવણીમાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ૩૦૦થી વધુ સ્થળોએ પ્રાચીન અને ૧૫ સ્થળોએ અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચેશ્વર ટાવર, રણજીતનગર, પટેલ કોલોની, લીમડાલાઈન જેવા વિસ્તારોમાં ગરબા માણવા માટે લોકો ઉમટી રહ્યા છે. શહેરમાં પરંપરાગત ગરબીઓની દિવસોથી પ્રેક્ટિસ ચાલી રહી હતી, અને ગઈકાલથી બાળાઓ તેમજ અમુક સ્થળોએ કુમારોની ગરબીઓનો આરંભ થયો છે. લીમડાલાઈનમાં ૬૫ વર્ષથી વધુ સમયથી એક વિશેષતા સભર ગરબી યોજાય છે. ભારત માતા ગરબી મંડળ દ્વારા યોજાતી આ ગરબીમાં રાત્રે ૧૧ વાગ્યા બાદ ગરબીમાં ગણપતિ, શિવજી, પાર્વતિજી, બ્રહ્માજી, કૃષ્ણ, રામ-સીતા સહિતના દેવી દેવતાઓના પાત્રો, ઋષિમુનિઓ, હનુમાનના પાત્રો ઉપરાંત શિવાજી, મહારાણા પ્રતાપ, ગાંધીજી જેવા ઐતિહાસિક પાત્રો સ્ટેજ ઉપર દાંડીયા રમવા આવે છે.


આ જ રીતે હાથી કોલોનીમાં બાળાઓની ગરબી સાથે સાથે દેશભક્તિની એક વિશેષ નૃત્ય નાટિકા સાથેની પ્રસ્તુતિ હોય છે. જેમાં દર વર્ષે એક એક ઐતિહાસિક કે મહિષાસુર વધ જેવા પ્રસંગની પ્રસ્તુતિ થાય છે. રણજીતનગરમાં પટેલ સમાજની કુમારોની ગરબી નિહાળવા અને ખાસ કરીને તેઓના અંગાર રાસને નિહાળવા લોકો કલાકો સુધી રાહ જોતા રહે છે. આ જ રીતે પંચેશ્વર ટાવર પાસેની કુમારોની અને બાળાઓની ગરબી નિહાળવા લોકો ઉમટે છે. હંસબાઈની મસ્જીદ પાસે કોઈપણ સમાજની નાની બાળાઓ માટે ચોંસઠ જોગણીની ગરબી પણ પ્રખ્યાત છે. અહીં આવનાર તમામ બાળાઓને સીધી એન્ટ્રી મળે છે. બાળાઓની મરજી પડે તેટલું રમી શકે છે.


આવા જ આયોજનો પટેલકોલોની, ખોડીયાર કોલોની, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, દિગ્વિજય પ્લોટની ૧ થી ૬૪ ગલીઓના વિશાળ વિસ્તારમાં ઠેક-ઠેકાણે, કૃષ્ણનગરમાં, રણજીતસાગર રોડ ઉપર સાધના કોલોની, નંદનવન સોસાયટી તેમજ પટેલ પાર્ક સહિતના નવા વિકસેલા વિસ્તારોમાં થાય છે. અર્વાચીનમાં બીનધંધાદારી આયોજનોની વાત કરીએ તો પટેલ સમાજના ભાઈઓ-બહેનો માટેની ગરબી લાલપુર બાયપાસ રોડ ઉપર, પટેલ પાર્ક પાસે વૈશ્ણવ પરંપરા મુજબના કિર્તનો સાથે નવ વિલાસ સાર્વજનિક વૈષ્ણવ રાસ, બ્રહ્મ સમાજના લોકો માટે ખોડીયાર કોલોની રાજ ચેમ્બર સામેના પ્લોટમાં અને ધંધાદારી રીતે શહેરના પ્રદર્શન મેદાન સામે, ખંભાળીયા બાયપાસ પાસે આવેલી સંખ્યાબંધ રીસોર્ટ ટાઈપ હોટેલોમાં કરવામાં આવ્યા છે. અને યુવક યુવતીઓ મન ભરીને રાસની રમઝટ બોલાવે છે ગઈકાલે પ્રથમ દિવસે જ અનેક સ્થળોએ અર્વાચીન ગરબા મહોત્સવમાં મોટાભાગે અર્બન રાસ મહોત્સવ જોવા મળ્યા હતા.


નવરાત્રી દરમિયાન લોખંડી સુરક્ષા વ્યવસ્થા: ૯૩૪ પોલીસ અને ૩૫૦ હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

શહેરમાં નવરાત્રીના પર્વની ઉજવણી માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસ.પી. પ્રેમસુખ ડેલુ ની નિગરાનીમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત ૯૩૪ પોલીસ જવાનો અને ૩૫૦ જેટલા હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસ.પી. પ્રેમસુખ ડેલુની રાહબરીમાં ૪ ડીવાયએસપી ૯ પીઆઈ, ર૯ પીએસઆઈ સહિત ૯૩૪ પોલીસ અને ૩૫૦ જેટલા હોમગાર્ડ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવવામાં આવ્યો છે.


સંચાલકો નશો કરેલા પકડાશે તો ગરબીની મંજૂરી રદ કરાશે: શહેરમાં પોલીસની 'સી' ટીમની રચના...

શહેરના ગરબી સંચાલકો સાથે પણ બેઠક યોજીને ગરબીના ચોકને સીસી ટીવી કેમેરામાં રાખવા ઉપરાંત કોઈ અનિચ્છનિય બનાવ બને તો પોલીસને જાણ કરવા સહિતની સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં પોલીસની 'સી' ટીમની રચના કરવામાં આવી છે. જે ટપોરીઓ સામે કડક કાર્યવાહી કરશે. તેમજ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરીને અવાવરુ જગ્યાઓનું પણ ચેકીંગ કરશે. પોલીસ તંત્ર દ્વારા જામનગર શહેરમાં ગરબીમાં નશો કરીને આવતા હશે તેવા નસેડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમાં પણ જો કોઈ ગરબી સંચાલક પીધેલી હાલતમાં કે, અન્ય કોઈ પદાર્થનો નશો કરેલી હાલતમાં પકડાશે તો તેમના ગરબીની મંજૂરી પણ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમ એસ.પી. પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application