કલેકટર સમુહ લગ્ન માટે કડક નિયમો સાથેનું જાહેરનામું પ્રસિધ્ધ કરીને ચુસ્ત અમલ કરાવે

  • February 26, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યા બાદ લગ્નના દિવસે જ આયોજકો ફરાર થઇ જતા ૨૮ જેટલા યુગલ અને જાનૈયાઓની હાલત માઠી થઇ ગઇ હતી. દરમિયાન કુલ ૨૮માંથી છ યુગલના લગ્ન પોલીસે સંપન્ન કરાવ્યા હતા અને અન્ય યુગલો અને જાનૈયાઓએ લગ્ન કર્યા વિના જ લગ્ન સ્થળેથી પરત ફરવું પડ્યું હતું. દરમિયાન આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ શહેર અને જિલ્લામાં ભવિષ્યમાં ક્યારેય આવી ઘટના ન બને તે માટે સમૂહ લગ્ન અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન માટે કડક નિયમો સાથેનું જાહેરનામું પ્રસિધ્ધ કરી તેનો કડક અમલ કરાવવા માંગણી કરી છે.

વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીને પાઠવેલા આવેદનપત્રમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી, ડો.હેમાંગ વસાવડા, ધરમભાઇ કાંબલીયા, વશરામભાઇ સાગઠિયા, મહેશભાઇ રાજપૂત સહિતના કોંગી આગેવાનોએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં ત્રણ દિવસ પહેલા રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં ૨૮ નવ દંપતીના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેના મળતીયાઓ દ્વારા નવદંપતી અને તેના પરિવારો પાસેથી ૧૫ હજારથી ૪૦ હજારની ફી કટકટાવી લીધા પછી લગ્નના દિવસે કોઇ દેખાયા નહીં અને અફડાતફડીનો માહોલ થતાં લગ્નોત્સવના સમારંભમાં પોલીસે આવી જવું પડ્યું. આયોજકો દ્વારા દૂર દૂરના ગામો સાથે દોઢેક વર્ષ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી ફી ઉઘરાવી હતી અને કરિયાવર પણ આપ્યો નથી. જો કે પોલીસે આયોજકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ ગુનો દાખલ કરી ધરપકડો કરી છે પરંતુ અમારી માંગ એ છે કે જે લોકોના રૂપિયા ૧૫ હજાર થી ૪૦ હજાર લેવામાં આવ્યા છે તે તમામને આયોજકો પાસેથી એ નાણાંની રિકવરી કરી અને પરત અપાવવા જોઈએ. અને અમારી માંગ છે કે ભવિષ્યમાં સમૂહ લગ્નમાં આ પ્રકારની છેતરપિંડીનો કોઈ ભોગ ન બને અને તેના માટે જિલ્લા કલેકટર દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તથા સમૂહ લગ્નોત્સવ કરનાર સામાજિક સંસ્થાઓ કે સમાજના મંડળો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવાની અમારી માંગ છે.

હિન્દુ સમાજમાં પવિત્ર બંધન એટલે લગ્ન કે આપણી ભારતીય સંસ્કૃતિ નુ એક અભિન્ન અંગ છે. આવા નકલી આયોજકો ને કારણે તેમને ખૂબ નુકસાન પહોંચે છે. પવિત્ર વિધિથી બંધન થવા જઈ રહેલ લગ્ન જોડા પરિવાર સાથે પાછું ફરવું પડે, તે અપશુકન કહેવાય હિન્દુ વિધિ પ્રમાણે ભવિષ્યમાં આવી સંસ્કૃતિને નુકસાન ન પહોંચાડે અને ધર્મ અપમાન ન કરે.તેમજ ગરીબ લોકોની મશ્કરી તે માટે ઉપર બનાવીને જાહેરનામું તાત્કાલિક પાડવા આવે તેવી અમારી અપીલ છે.


સમૂહલગ્ન માટે આવા નિયમો રાખવા સુચન

(૧) સમૂહ લગ્નના આયોજકો ક્રિમિનલ રેકોર્ડ ન ધરાવતા હોવા જોઇએ

(૨) સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવા જોઇએ

(૩) પાંચ વર્ષ જૂનું ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન હોવું જોઇએ

(૪) જો રજિસ્ટ્રેશન ન હોય તો તેવી સામાજિક સંસ્થાઓને કે મંડળોને કલેકટર કચેરીમાં તમામ ખર્ચનો હિસાબ આપવાનો રહેશે

(૫) તમામ ખર્ચ કાઢતા જે રકમ જમા હોય તે કન્યા કેળવણી માટે ઉપયોગમાં લેવામાં આવે

(૬) આયોજકો પાસે સંપૂર્ણ વ્યવસ્થા ફંડ રહેવા જમવાની સગવડ સરકારના નિયમ મુજબની વ્યવસ્થાઓનો રેકોર્ડ કલેકટરને જણાવે ત્યાર પછી જ આયોજકોને મંજૂરી મળવી જોઇએ.

(૭) કરિયાવરની તમામ વસ્તુઓ જે બતાવવામાં આવે છે તે આપવામાં આવે છે કે કેમ તેની ખરાઈ થવી જોઇએ.

(૮) દાતાઓએ આપેલ ફંડ કલેકટરની વેબસાઈટમાં તમામ લોકો જોઈ શકે તે પ્રકારે વ્યવસ્થા હોવી જોઈએ.

(૯) સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તથા સમૂહલગ્ન કરનાર સામાજિક સંસ્થાઓ અને મંડળોને ઉપરોક્ત તમામ નિયમોનું પાલન કરનાર હોય અને કલેક્ટરનું સર્ટિફિકેટ મળે તો સમાજ કલ્યાણ વિભાગ તથા સરકારની વિવિધ યોજનાઓમાંથી ગ્રાન્ટ મળવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application