રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલા સિટી બસકાંડ મામલે આજે રાજકોટ મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ તથા રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ સમયે આગેવાનો અને કાર્યકરો સાથે ધસી આવીને હલ્લાબોલ કરવામાં આવ્યું હતું તેમજ સિટી બસકાંડ મામલે સંચાલક એજન્સીને બ્લેક લિસ્ટ કરવા તેમજ કોન્ટ્રાકટર અને ભાજપના મળતીયાઓ સામે ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. તદઉપરાંત મૃતક દીઠ રૂ.૫૦ લાખ અને ઇજાગ્રસ્ત દીઠ રૂ.પાંચ લાખની સહાય આપવા મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આપ દ્વારા રજુઆત અલગ અલગ કરાઇ હતી પરંતુ બન્નેની રજુઆત અને માંગણી એક્સમાન હતી.
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીના લેટર પેડ ઉપર પ્રભારી ભીખુભાઇ વારોતરિયા, પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા તેમજ ડો.હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, મ્યુનિ.વિપક્ષીનેતા વશરામ સાગઠિયા સહિતના નામોલ્લેખ સાથે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાને જનરલ રજીસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં નં.૪૩૯ તા.૧૭-૪-૨૦૨૫થી ઇનવર્ડ કરાવી પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મહાપાલિકા સંચાલિત સીટી બસની રાજકોટના શહેરીજનો અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વખતોવખત રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા ગઇકાલે ઇન્દિરા સર્કલ પાસે જે ઘટના બને છે તેમાં ચાર વ્યક્તિના મોત થયા છે અને ત્રણને ઇજા થાય છે તે અંગે જવાબદાર ઇલેક્ટ્રીક બસ દિલ્હીની કંપનીનો કરાર વિશ્વમ સીટી બસ ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિટેડના જવાબદાર કોન્ટ્રાકટર અને પેટા કોન્ટ્રાકટ નિયમ મુજબ ન આપી શકાય તેમ છતાં જો આપવામાં આવેલ હોય તો તેવા ભાજપના પૂર્વ મહામંત્રી વિક્રમ ડાંગર અને મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી જસ્મીન રાઠોડ સંચાલન કરતા હોય તો આ તમામ સામે નિયમ મુજબ ગુનો દાખલ કરી કોન્ટ્રાકટરની ડિપોઝિટ જપ્ત કરી તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવા અમારી અપીલ છે.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમારી જાણ મુજબ ડ્રાઇવરની લાઇસન્સને અવધિ તારીખ ૧૭-૨-૨૦૨૫ના પૂર્ણ થઇ હોવા છતાં સીટી બસનું ડ્રાઇવિગ પોતે કરતો હોય તો આ અંગે પણ રાજકોટ મહાનગરપાલિકાના ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટના જવાબદાર અધિકારીની બેદરકારી ફલિત થાય છે જે કોઈ જવાબદાર હોય તેની સામે ગુનો દાખલ કરવો અને સસ્પેન્ડ કરવા અમારી માંગ છે. તાત્કાલિક અસરથી આ રાજકોટ શહેરમાં યમરાજની જેમ નીકળતી સીટી બસોનું સંચાલન કરતી દિલ્હીની કંપનીને બ્લેકલિસ્ટ કરી રાજકોટ મહાનગરપાલિકા પોતે જ સંચાલન કરે ભારતના અન્ય શહેરોમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સીટી બસોનું સંચાલન કરી રહી છે. સીટી બસનું સંચાલન કરવાની દાનત જો રાજકોટ મહાનગરપાલિકાની ન હોય તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) જે અગાઉ બે દાયકા પહેલા વ્યવસ્થિત સંચાલન એસટી દ્વારા કરવામાં આવતું હતું તો ફરીથી સરકારમાંથી આ અંગે મંજૂરી લઈ એસ.ટી ને સંચાલન કરવા અપીલ કરવી જોઈએ.
આવેદનપત્રના અંતમાં ઉમેર્યું છે કે હાલ મોંઘવારીના કપરા કાળમાં મૃતકોને ફક્ત ૧૫ લાખની સહાય કરી છે તે રકમ પર્યાપ્ત નથી તેને બદલે પ૦ લાખની સહાય કરો અને ઈજાગ્રસ્તોને ૨ લાખને બદલે પ લાખની સહાય આપવા અમારી માંગ છે. અને સહાયની જે રકમ ચૂકવવામાં આવે તે રાજકોટના પ્રજાજનોના પરસેવાના કમાણીમાંથી ભરેલા ટેક્સમાંથી નહીં પરંતુ દિલ્હી સ્થિત સીટી બસના કોન્ટ્રાક્ટ ની ડિપોઝિટની રકમ માંથી સહાયની રકમ ચૂકવવામાં આવે હાલ મૃતકોને ૧૫ લાખ જ્યારે ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ જે સીટી બસની ઠોકરે આવી અને મૃત્યુ પામ્યા હોય તેવા પરિવારોને પણ નિયમ મુજબ સહાયની રકમ ચૂકવવામાં આવે તેવી માંગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech