બરડા ડુંગરમાં ૩ કીમી ચાલીને બાળાનેશ શાળામાં બાળકો ભણવા જાય છે

  • February 17, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વન વગડાની વિદ્યાલયમાં ૩નો સ્ટાફ, ૩૦ બાળકો અભ્યાસ કરે છે : દુર્ગમ-જંગલ વિસ્તારમાં રહેતા પરિવારના બાળકોને શિક્ષણ મળે તે માટે કર્મયોગી શિક્ષકો કટીબઘ્ધ

પ્રકૃતિના ખોળે બરડા ડુંગરની હારમાળાઓ ભાણવડથી લઇને પોરબંદર જીલ્લાના રાણાવાવ સુધી ફેલાયેલી છે, અહીં બરડા ડુંગર વિસ્તારમાં અભ્યારણ અને ફોરેસ્ટની અંદરમાં બાળાનેશ શાળા આવેલી છે, જંગલ અને દુર્ગમ વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકો અહીં પ્રાથમિક શિક્ષણ લેવા માટે આશરે ૩ કીમી ચાલીને આવે છે, બીજી બાજુ અહીંના શિક્ષક પણ બાળકોને શિક્ષણ આપવા કટીબઘ્ધ છે, નવી શાળા બને એ માટે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એવો આશાવાદ શિક્ષકો દ્વારા વ્યકત કરાયો છે.
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને ભણવું હોય એ ગમે તેવી અગવડતાઓ વચ્ચે પણ અભ્યાસમાં રુચી કેળવીને આગળ વધતા હોય છે, આવો જ કંઇક નજારો બરડા ડુંગરના ગાઢ જંગલ વિસ્તારમાં કિલ્લોલ કરતા બાળકોનો જોવા અને સાંભળી શકાય છે. વન વગડામાં વિદ્યાનું ધામ ધમધમી રહયું છે, પ્રકૃતિના ખોળે બાળકો કલાકો સુધી ચાલીને અહીં ભણવા માટે આવે છે.
ફોરેસ્ટ વિસ્તારના બિલ્ડીંગ અને બરડા ડુંગરમાં આવેલ બાળાનેશ શાળાના આચાર્ય જાવીયા પ્રજ્ઞેશભાઇએ વાતચીતમાં કહયું હતું કે આ શાળાની સ્થાપના ૧૪-૯-૧૯૮૭ના રોજ થઇ છે, અહીં બાલવાટીકાથી ધો. ૮ સુધીના વર્ગો ચાલે છે, શાળામાં ૩નો સ્ટાફ છે અને ૩૦ બાળકો અભ્યાસ માટે આવે છે, આ શાળામાં ગુલાબસાગરનેશ, તાળીવાળોનેશ, થારનેશ અને બાળાનેશ વિસ્તારના નેસડાના પરિવારના બાળકો અભ્યાસ અર્થે આવે છે.
ગુલાબસાગર, તાળીવાળો અને થારનેશ આ ત્રણેય વિસ્તારના બાળકો અભ્યાસ માટે અહીં આવે તે માટે અન્ય કોઇ વાહનની સુવિધા નથી, દુર્ગમ અને જંગલ વિસ્તાર હોય આ બાળકો ચાલીને કેળી માર્ગે અહીં પહોચે છે, આશરે એકાદ કલાક જેવો સમય ચાલવામાં લાગે છે.
આગળ કહયુ હતું કે, હું અહીં ૨૦૦૪થી ભણાવું છું, આ શાળા દેવભુમી દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીના હેઠળ આવે છે અને સંચાલન થાય છે, રાજય સરકારની બધી સુવિધાઓ મળે છે, જેમ કે મઘ્યાહન ભોજન, ગણવેશ સહાય, શિષયવૃતી મળે છે, દુર્ગમ અને જંગલ વિસ્તારમાં રહેતા પરિવારના બાળકોને સારુ શિક્ષણ મળે એ માટે અમે કટીબઘ્ધ છીએ, સરળતાથી જ્ઞાન મળે અને નવી શાળા બને એ માટેની મંજુરી મળે તો વધુ સારુ કહેવાય બાકી હાલના તકે સરકારી સહાય પ્રાપ્ત થાય છે.
બાળાનેશ શાળાના ધો. ૫માં અભ્યાસ કરતા વિધાર્થી કરણએ કહયુ હતું કે હું અહી તાળીવાળાનેશથી આવું છું, આશરે ૩ કીમી જેટલી શાળા દુર થાય છે, અમે અહીં ૧૦ વિધાર્થીઓ ત્યાંથી અભ્યાસ માટે આવીએ છીએ શાળાના સમય પહેલા એક કલાક પહેલા ચાલીને નીકળીએ છીએ જેથી સમયસર પહોંચી શકીએ. ધો. ૬માં અભ્યાસ કરતા વિધાર્થીએ જણાવ્યુ હતું કે હું થારનેશ વિસ્તારમાં રહું છું અહીં ચાલીને બાળાનેશ શાળાએ આવું છું, અહીં અમને યુનિફોર્મ, દફતર, ભોજન, બોટલ જેવી સુવિધાઓ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application