શાપર–વેરાવળમાં બાળકનું અપહરણ, ખંડણીની માગણી

  • April 30, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર–વેરાવળમાં રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમીક પરિવારના ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરી એક લાખ રૂપિયાની ખંડણી મંગાઈ અને જો ખંડણી નહીં આપે તો બાળકને જાનથી મારી નાખશે તેવી ધમકી અપાતા અપહરણકાર બેલડીને પકડવા રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમે દોડધામ આદરી હતી. કલાકોમાં બન્ને શખસોને ગોંડલના ઉમરાળા ગામની સીમમાંથી પકડી લઈ બાળકને મુકત કરાવ્યો હતો. બાળકના પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરાઈ છે.

બનાવ સંદર્ભે પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શાપર–વેરાવળમાં મામાદેવના મંદિર પાસે નાળા નજીક શ્રમીક વસાહતમાં મધ્યપ્રદેશના જાંબુઆના કાગરાદરા બડા ગામનો વતની મુકેશ ભુદર મસાર નામનો આદિવાસી યુવાન પત્ની બાળક સહિતના પરિવાર સાથે રહે છે અને શાપરમાં મજુરી કામ કરે છે. આદિવાસી શ્રમીક મુકેશે પોતાના ૧૧ વર્ષના પુત્ર રાજુનું અપહરણ થયાની તથા ખંડણી માંગી ધમકી અપાયાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી.

ગતરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પુત્ર રાજુને બાઈક પર આવેલા બે શખસો ઉઠાવી ગયા હતા. અપહરણ કરી લઈ ગયા બાદ મુકેશને અલગ અલગ મોબાઈલ નંબર પરથી ધમકી આવવા લાગી હતી. આરોપી દ્રારા એક લાખ રૂપિયાની માગણી કરાતી હતી. મુકેશ તથા પરિવાર રૂપિયાની ખંડણીની માગણી થતાં આવડી રકમ કયાંથી કાઢવી તેવી વાતો સાથે ચિંતામાં પડી ગયા હતા.


થોડા થોડા સમયે દિવસભર ધમકીઓ આવતી રહી કે, જો તારે તારા પુત્ર રાજુને છોડાવવો હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે. જો રૂપિયા નહીં આપે તો તારા પુત્રને જાનથી મારી નાખશું. ખંડણી અને ખુનની ધમકીથી ગભરાયેલા મુકેશે તેના પરિચીતોને વાત સંપર્ક કરી શાપર–વેરાવળ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં તેણે પુત્રનું બાઈકસ્વાર બે અજાણ્યા શખસોએ અપહરણ કયુ અને ત્યાર બાદ નાણા માટે ધમકીઓ આવતી હોવાની વાત કરી હતી.


બાળકનું અપહરણ અને ખંડણીની ફરિયાદના પગલે ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલાની રાહબરી હેઠળ એલસીબી અને ગોંડલ સીટી–તાલુકા પોલીસની ટીમો બાળકની શોધમાં પડી હતી. જે નંબર પરથી ફોન આવતા હતા તેને ટ્રેસ કરાયો હતો. ટેકનીકલ અને હૃયુમન સોર્સના મારફતે પોલીસને માહિતી મળતા વેશપલ્ટો કરીને ગોંડલના ઉમવાળા ગામે વીડી વિસ્તારમાં પોલીસ પહોંચી હતી. જયાંથી વીરપુરના ભુનેશ્ર્વર ચોક પાસે રહેતા માળીયાહાટીના ગામના વતની શાંતિલાલ ઉર્ફે સન્ની ઉર્ફે ગુંજન સુધીરભાઈ ધોળકીયા ઉ.વ.૨૯ તથા ગોંડલના વેજા ગામના અલ્પેશ ભગાભાઈ મહીડા ઉ.વ.૨૨ને પકડી લીધા હતા. બાળકને મુકત કરાવ્યો હતો. બન્નેને નાણાકીય જરૂરીયાત ઉભી થતાં બાળકને ઉઠાવવાનો પ્લાન બનાવ્યો હતો. ઘર પાસે રમતા બાળકને ચોકલેટ–નાસ્તો આપવાની લાલચમાં ભોળવી લઈ ગયા હતા. ત્યાર બાદ બાળકને ધમકાવી તેની પાસેથી તેના પિતાના નંબર લઈને ખંડણી માગતા હતા. અપહરણ ખંડણીનો ભેદ ઉકેલવામાં એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ આર.કે.ગોહીલ, યુ.બી.જાડેજા, જે.એમ.ઝાલા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application