રાજકોટ સહિત ગુજરાતમાં આવતીકાલથી CBSEની પરીક્ષા, પરીક્ષામાં ગેરરીતિ રોકવા ન્યૂ સીસીટીવી પોલિસી લાગુ, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું

  • February 14, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી દેશભરમાં CBSE બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં  44 લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપવાના છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ અને 2 એપ્રિલ સુધી ચાલશે. જેનો સમય સવારે 10.30થી 1.30 વાગ્યાનો છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા નવી સીસીટીવી પોલિસી અમલમાં લાવવામાં આવી છે.


પરીક્ષામાં કઈ વસ્તુઓ લઈ જઈ શકાશે

  • રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ અને સ્કૂલ ઓળખપત્ર
  • રિપીટર વિદ્યાર્થીઓ માટે એડમીટ કાર્ડ અને ફોટો ઓળખ પત્ર
  • સ્ટેશનરીમાં ટ્રાન્સપરન્ટ પાઉચ, પેન્સિલ બોક્સ, બ્લૂ પેન, સ્કેલ, રાઇટિંગ પેડ, ઇરેઝર
  • એનાલોગ વોચ, ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, મેટ્રો કાર્ડ, બસ પાસ, રૂપિયા


પરીક્ષામાં આ વસ્તુઓ લઈ જવાની મનાઇ

  • મોબાઈલ, બ્લૂ ટૂથ, ઇયર ફોન, માઇક્રોફોન, પેજર, હેલ્થ બેન્ડ, સ્માર્ટ વોચ, કેમેરા
  • પાકીટ, ગોગલ્સ, હેન્ડ બેગ, પાઉચ
  • ડાયાબિટીસ ધરાવતા વિદ્યાર્થીઓ સિવાયના ખુલ્લું કે પેક ફૂડ નહીં લઈ જઈ શકે


આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી તો ફરજિયાત છે, પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. આ ઓફિસર ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખશે. આ ઉપરાંત તેના પર દિલ્હી ખાતેના કંટ્રોલરૂમની પણ નજર રહેશે. પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી એટલે કે, અંદાજે બે મહિનાથી વધુ સમય સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રોએ ફરજિયાત રાખવું પડશે.


રાજકોટ રીજનમાં, એટલે કે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્ર પરથી આવતીકાલથી સીબીએસઈની પરીક્ષા શરૂ થશે, જેમાં ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ એમ બન્ને મળીને 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવે તે માટે સીસીટીવી પોલિસીમાં ચેન્જ કર્યો છે.


10 ક્લાસરૂમ વચ્ચે 1 CCTV મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપાશે
જેમાં આ વખતે નવો નિયમ એ છે કે, સીબીએસઈની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે, તેમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવાની રહેશે. જેમને ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખવાની રહેશે. તેમના મોનિટરિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાશે તો તુરંત CBSE બોર્ડને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત CBSE બોર્ડને જરૂર લાગે તો સીસીટીવીના ક્લિપિંગ સાથે સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને બોલાવી ખુલાસો પણ પૂછી શકે છે.


પરિણામ જાહેર થાય ત્યાં સુધી સીસીટીવી સાચવીને રખાશે
મળતી વિગત પ્રમાણે દિલ્હીથી કંટ્રોલરૂમ ખાતેથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના CCTVનુ મોનિટરિંગ કરશે. પરીક્ષા કેન્દ્રોમાં જે CCTVનુ રેકોર્ડિંગ કરવામાં આવે છે તે સાચવવાનું રહે છે. CBSE બોર્ડનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી એટલે કે, 2 મહિના સુધી CCTVનું બેકઅપ સાચવીને રાખવાનો નિયમ છે. જેથી પરિણામ બાદ પણ કોઈ વિદ્યાર્થી કે સ્કૂલની સમસ્યા હોય તો તેનુ ક્લિપિંગ મારફત નિરાકરણ લાવી શકાશે.


વિદ્યાર્થીઓની સાથે સ્થળ સંચાલક સહિતના એલર્ટ રહેશે
ગત વર્ષે સીબીએસઈની પરીક્ષા જ્યાં ચાલી રહી હતી, ત્યાંની કેટલીક સ્કૂલોમાં સીસીટીવી ન હતા. જેને ધ્યાનમાં રાખીને આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી તો રાખવામાં આવ્યા જ છે, પરંતુ આ સાથે જ તેનો કડક અમલ પણ કરવામાં આવશે, જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સાથે સ્થળ સંચાલક સહિતના એલર્ટ રહેશે અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application