મોટો બદલાવ : ખાદ્ય તેલ થયું મોંઘુ, કસ્ટમ ડ્યૂટીમાં ઝીંકાયો 20 %નો વધારો

  • September 14, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટો બદલાવ : ખાદ્ય તેલની કસ્ટમ ડ્યૂટીમાં થયો વધારો, કેન્દ્ર સરકારે કરી જાહેરાત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી શૂન્યથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી હવે વધારીને 32.5 ટકા કરવામાં આવી છે.


કસ્ટમ ડ્યુટીમાં સીધો 20%નો વધારો



પીટીઆઈ અનુસાર, નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ક્રૂડ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે. તેને વધારીને 20 ટકા અને 32.5 ટકા કરવામાં આવ્યો છે. કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવ્યા છે. ક્રૂડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0-20% છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર તે હવે 12.5-32.5% છે.


બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારા બાદ હવે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ ઓઈલ પરની અસરકારક ડ્યુટી અનુક્રમે 5.5 ટકાથી વધીને 27.5 ટકા અને 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.


ડુંગળીના વધતા ભાવ વચ્ચે લેવાયો આ નિર્ણય


ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે સરકારે વધુ એક મોટો નિર્ણય લઈને ડુંગળીના ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. મોદી સરકારે ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ સિવાય ડુંગળી પર નિકાસ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવી છે. સરકારના આ પગલાની અસર ડુંગળીના ભાવ પર પણ જોવા મળી શકે છે જે છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી છે.


આ સંદર્ભમાં ડીજીએફટીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે ડુંગળીની નિકાસ પરના MEPને આગામી આદેશો સુધી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડુંગળી ઉપરાંત સરકારે બાસમતી ચોખાની નિકાસ પર લઘુત્તમ નિકાસ કિંમત પણ હટાવી દીધી છે.


ખેડૂતોને થશે ફાયદો


રિપોર્ટમાં એક સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારવાના સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, કારણ કે તેનાથી તેમની આવકમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે બાસમતી ચોખા અને ડુંગળીમાંથી લઘુત્તમ નિકાસ કિંમત હટાવવાનો નિર્ણય પણ ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે અને તેનાથી દેશના ખેડૂતોને પણ મદદ મળશે.

                      



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application