બલૂચ આર્મીએ પાકિસ્તાની સેનાનું વાહન ઉડાવી દેતા 12 સૈનિકના મોત, લશ્કરી કાર્યવાહી માટે જતા હતા ત્યારે રિમોટ-કંટ્રોલ્ડ IED વિસ્ફોટ કરાયો

  • May 08, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાન અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ હુમલા પછી ભારતે કડક કાર્યવાહી કરી અને તેના પર ઘણા પ્રતિબંધો લાદ્યા. ત્યારબાદ બુધવારે ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. આટલું ઓછું હોય તેમ હવે બલોચે પણ પાકિસ્તાન પર ઊંડો ઘા કર્યો છે. બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના વાહન પર આઈઈડીથી હુમલો કર્યો જેમાં 12 સૈનિકો માર્યા ગયા.


બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ એ બોલાનના માચ કુંડ વિસ્તારમાં રિમોટ-કંટ્રોલ્ડ આઈઈડી વડે એક મોટો વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ દ્વારા તેઓએ પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવ્યું, જેમાં 12 સૈનિકોના મોત થયા. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે સૈનિકો લશ્કરી કાર્યવાહી માટે જઈ રહ્યા હતા.


વિસ્ફોટ બાદ સેનાના જવાનો ફુગ્ગાની જેમ હવામાં ફંગોળાયા

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનના કાચી જિલ્લાના માચ વિસ્તારમાં સુરક્ષા દળોના વાહન પર આઈઈડી થી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો મંગળવારે કરવામાં આવ્યો હતો. પરંતુ હુમલાના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. બ્લાસ્ટથી વાહનમાં સવાર સૈનિકો હવામાં ઘણા મીટર ઉપર સુધી ફુગ્ગાની જેમ ફંગોળાયા હતા અને શરીરોના ટુકડે ટુકડા થઈ ગયા હતા. હુમલા બાદ, પાકિસ્તાની સેનાએ કહ્યું કે બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ માચ વિસ્તારમાં વિસ્ફોટકોથી સુરક્ષા દળના વાહનને નિશાન બનાવ્યું. સેનાએ કહ્યું હતું કે આ હુમલામાં તેના સાત સૈનિકો માર્યા ગયા છે. આતંકવાદીઓને મારવા માટે આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે.


બલુચિસ્તાનમાં અશાંતિ અને હુમલાઓનો દૌર

પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે તેના સુરક્ષા દળોએ દેશના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ ઘટનાઓમાં 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.જોકે, બલૂચ લિબરેશન આર્મી સતત પાકિસ્તાની સેના પર હુમલો કરી રહી છે અને તેને ઘણું નુકસાન પહોંચાડી રહી છે. માર્ચમાં, ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બલૂચ લિબરેશન આર્મી (BLA) ના સભ્યો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. આમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.સ્થાનિક બલૂચ લોકો અને પક્ષો દ્વારા સતત હુમલાઓને કારણે બલૂચિસ્તાન લાંબા સમયથી અશાંતિમાં છે. છેલ્લા બે દાયકાથી ત્યાં અશાંતિ છે અને સતત હુમલાઓ થઈ રહ્યા છે. સ્થાનિક બલૂચ નેતાઓનો આરોપ છે કે દેશની સંઘીય સરકાર બલૂચિસ્તાનની કિંમતી ખનિજ સંપત્તિનું શોષણ કરી રહી છે અને તેને બીજા વર્ગના દેશ તરીકે ગણી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application