ખંભાળિયાના લુંટેરી દુલ્હન પ્રકરણમાં આરોપીઓના જામીન મંજૂર

  • July 25, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરમાં રહેતા રવિ સુભાષભાઈ આયા દ્વારા પોતાની સગાઈ કરવા માટે જામનગર ખાતે રહેતા રેણુકાબેન ઉર્ફે આરતીબેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેણુકા તથા તેના પતિ રમેશ દ્વારા રવિભાઈને રોલી અનિલ સોનવણે નામની યુવતી સાથે સગાઈ કરવાની વાત કરવામાં આવી હતી. રવિભાઈને આ યુવતી પસંદ આવતા રેણુકાબેને રવિ તથા રોલીના લગ્ન અંગે નોટરી લખાણ કરાવ્યું હતું. તેના બદલામાં રેણુકાબેન રવિભાઈ પાસેથી રૂપિયા એક લાખ મેળવ્યા હતા.


રોલી રવિભાઈ સાથે તેના ઘરે ગયા બાદ બીજા દિવસે રવિના માતા રોલી સાથે બજારમાં ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી રોલી કોઈને જાણ કર્યા વગર જતી રહી હતી અને પોતાની સાથે રવિભાઈ આપેલો રૂપિયા 85,000 ની કિંમતનો સોનાનો ચેન તથા રૂપિયા 1,500 ની કિંમતના સદરાની જોડી સાથે લઈ ગયા બાદ રવિએ સંપર્ક કરતા કોઈ આરોપીઓએ યોગ્ય પ્રત્યુતર આપ્યા ન હતા. આ અંગેની ફરિયાદ રવિભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે રોલી, રેણુકાબેન અને તેણીના પતિ રમેશભાઈ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


આ પ્રકરણમાં પોલીસ દ્વારા તાજેતરમાં રેણુકાબેન તથા તેણીના પતિ રમેશની ધરપકડ કરી, રકમ રીકવર કરવા તેમજ અન્ય કારણો રજૂ કરી, અહીંની અદાલતમાં રિમાન્ડની માંગણી કરી હતી. જે સંદર્ભે કોર્ટ દ્વારા આરોપીઓના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને રિમાન્ડની માંગણી નામંજૂર કરી, આરોપીઓને જામીન પર મુક્ત કરવા માટેનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે અહીંના વિદ્વાન વકીલ વિજયભાઈ કાનાબાર, દીપભાઈ કાનાબાર તેમજ અબ્દુલકાદિર સુહરાવર્દી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application