Puppet CM of Delhi, આતિશીને દિલ્હીનો તાજ  મળતા  ભાજપે માર્યો ટોણો

  • September 17, 2024 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.


ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી CM ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. કેજરીવાલે ખુદ મુખ્યમંત્રી પદ માટે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૂત્રોનું કહેવું છે કે દિલ્હી સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય. આતિશી વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિધાનસભાનું વિશેષ સત્ર 26 થી 27 સપ્ટેમ્બરના રોજ યોજાશે.


આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તે અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સૌથી હેવીવેઇટ મંત્રી રહી ચુક્યા છે. તેનું નામ સૌથી આગળ રહ્યું હતું. આ પહેલા આજે સવારે AAP સંયોજક કેજરીવાલના સિવિલ લાઈન્સ આવાસ પર વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગૃહના નવા નેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આતિશી પંજાબી રાજપૂત પરિવારની છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે.


આતિશી 2020ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2023માં પ્રથમ વખત કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતા. હવે માત્ર એક વર્ષ બાદ 2024માં તે મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. અગાઉ  તેણીએ 2019માં પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતોથી હારી હતી અને ત્રીજા સ્થાને રહી હતી.


કોણ છે આતિશી?


આતિશી વર્ષ 2020માં પ્રથમ વખત કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર ધરમવીર સિંહને 11 હજાર 393 મતોથી હરાવ્યા હતા. આતિશીનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ વિજયસિંહ છે. જે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આતિશીએ સ્પ્રિંગડેલ સ્કૂલ, નવી દિલ્હીમાંથી સ્કૂલિંગ કર્યું હતું. તેણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસનો અભ્યાસ કર્યો અને ચેવેનિંગ સ્કોલરશિપ પર ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. થોડા વર્ષો પછી તેમણે શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફોર્ડમાંથી તેમની બીજી માસ્ટર ડિગ્રી મેળવી.


તેમણે મધ્યપ્રદેશના એક નાના ગામમાં સાત વર્ષ વિતાવ્યા.  જ્યાં તે કાર્બનિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષણ પ્રણાલીમાં સામેલ થયા. તેમણે ત્યાં બિન-લાભકારી સંસ્થાઓ સાથે કામ કર્યું, જ્યાં તે પ્રથમ વખત કેટલાક AAP સભ્યોને મળ્યા અને પાર્ટીની સ્થાપના સમયે જ તેમાં જોડાયા.


કેજરીવાલને ગયા અઠવાડિયે દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ પછી તેમણે 15 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application