અટલ સરોવર ખુલશે, એમ્યુઝમેન્ટ પાર્કનું નક્કી નહીં

  • April 19, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 2,93,457 ચોરસ મીટર જમીન વિસ્તારમાં અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કનું રૂ.136 કરોડના ખર્ચે નિમર્ણિ કરાયું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ અગાઉ મુખ્યમંત્રીના હસ્તે થઇ ગયું છે પરંતુ અમુક કામ બાકી રહ્યા હોય નાગરિકો માટે તા.1-મે ગુજરાત સ્થાપ્ના દિવસે મતલબ કે બરાબર આજથી 11 દિવસ પછી ખુલું મૂકીને રાજકોટવાસીઓને હરવા ફરવા માટેના નવા નજરાણાની ભેટ અપાશે. અટલ સરોવર તો નાગરિકો માટે ખુલું મુકાશે પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કનું હજુ નક્કી નહીં તેમ કહીં શકાય ! એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ્સના અનેક કામ અધૂરા છે તો અમુક હજુ શરૂ પણ થયા નથી.


અટલ સરોવર આગામી તા.1-મેથી ખુલું મુકવા તડામાર તૈયારી ચાલી રહી છે અને બાકી રહેતું કામ આગામી 11 દિવસમાં પૂર્ણ થશે તેવો મહાપાલિકા તંત્રનો દાવો છે. દરમિયાન સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બોન્સાઇ પાર્ક, પોન્ડ ગાર્ડન, હીલ ગાર્ડન, સુપર ટ્રી, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ટોય ટ્રેન સહિતના અનેક કામ હજુ અધુરા છે જે 11 દિવસમાં પૂર્ણ કરવા મુશ્કેલ છે. એકંદરે એવું થશે કે લાખો રાજકોટવાસીઓ જે પ્રોજેક્ટ ખુલો મુકાવાની રાહ જોઇ રહ્યા છે તે પ્રોજેક્ટ ખુલો તો મુકાશે પરંતુ નાગરિકો ત્યાં જઇને મનોરંજિત ન થઇ શકે તેવું બનવા સંભવ છે. દરમિયાન મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એજન્સીને સમયસર કામ પૂર્ણ કરવા માટે વધુ એક નોટિસ ફટકારી પેનલ્ટી કરાઇ છે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ પ્રોગ્રેસ સંદર્ભે રિવ્યુ મિટિંગ તેમજ સાઇટ વિઝીટ કરવામાં આવનાર છે.


ટોય ટ્રેનનો ટ્રેક નાખવાનું શ પણ થયું નથી ઇલેક્ટ્રિકના બદલે ડીઝલ ટ્રેનના મુદ્દે વિવાદ
અટલ સરોવર પાસેના એમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકો માટે ટોય ટ્રેઇન દોડાવાશે તેવી જાહેરાત કરાઇ હતી પરંતુ આજ દિવસ સુધીમાં ટોય ટ્રેઇનનો ટ્રેક પણ નખાયો નથી. અહીં નિયમ મુજબ ઇલેક્ટ્રિક ટ્રેઇન દોડાવવાની છે પરંતુ ડીઝલ ટ્રેઇન માટેની પ્રપોઝલ રજૂ કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ઇલેક્ટ્રિકના વિકલ્પે બેટરી ઓપરેટેડ ટ્રેઇન માટેનો વિકલ્પ અપાયો છે પરંતુ આ મુદ્દે પણ હજુ કંઇ ફાઇનલ થયું નથી.

બોટિંગ શરૂ નહીં થાય: જીએમબીની નવી ગાઇડલાઇન મુજબની મંજૂરી ફરજિયાત
અટલ સરોવરમાં બોટિંગ શરૂ કરાશે તેવી જાહેરાત કરાઇ હતી પરંતુ વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાની દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14ના કરૂણ મોત નિપજ્યા બાદ બોટિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નવી કડક ગાઇડલાઇન અમલી બનાવાઇ છે અને હવે તે નવી ગાઇડલાઇન મુજબ મંજૂરી મેળવવાની પ્રક્રિયા કરવાની રહે. હજુ આ મામલે પણ કોઇ કાર્યવાહી કરાઇ નહીં હોવાનું મ્યુનિ.સૂત્રોમાંથી જાણવા મળે છે.


ચકડોળ સહિતની તમામ રાઇડ્સની મંજૂરી બાકી; ટિકિટના દર નક્કી નથી
અટલ સરોવરના એમ્યુઝમેન્ટ પાર્કમાં બોટિંગ, ટોય ટ્રેન અને ફેરિસ વ્હિલ (ચકડોળ) સહિતની મનોરંજન સુવિધાઓ નિમર્ણિ કરવાની છે જેમાં આજ દિવસ સુધીમાં એક માત્ર ચકડોળનું ફિટિંગ થયું છે, ચકડોળ સિવાયની અન્ય રાઇડ્સ પણ રહેશે તેવી વાતો કરાઇ હતી પરંતુ આજ દિવસ સુધીમાં અન્ય કોઇ રાઇડ્સનું કામ શરૂ થયું નથી. અત્રે એ પણ નોંધનીય છે કે ચકડોળ સહિતની તમામ રાઇડ્સની જરૂરી મંજુરીઓ લેવાની પણ હજુ બાકી છે અને તેનાથી પણ મહત્વનું કે રાઇડ્સના ટિકિટ દર પણ હજુ નિયત કરાયા નથી.

અટલ સરોવર-એમ્યુઝમેન્ટ પાર્કમાં આટલી સુવિધા જાહેર કરાઇ’તી
ગાર્ડન, સ્પેશ્યલ ચિલ્ડ્રન ગાર્ડન, ફેરિસ વ્હીલ (30 મીટર એટલેકે 100 ફૂટ ડાયામીટર), બોટિંગ, ટોય ટ્રેન, વોકવે, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, બે એમ્ફીથીયેટર, એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ, પાર્ટી પ્લોટ, બે ફૂડ કોર્ટ, શોપિંગ સેન્ટર શોપ્સ, ફ્લેગ માસ્ટ (70 તથા 40 મીટર ઊંચા), લાઇટ એન્ડ સાઉન્ડ શો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application