બર્ધનચોકથી માંડવી ટાવર સુધીના પથારા ચાલું કરાવવા મ્યુ.કમિશ્નરને આવેદન

  • August 13, 2024 11:00 AM 

કોર્પોરેટર અસ્લમ ખીલજી, જેનબ ખફી સહિતના અગ્રણીઓએ કરી રજૂઆત


હાલ આશરે એકાદ માસથી સતત જામનગર મહાનગર પાલિકા દ્વારા બર્ધનચોકથી માંડવી ટાવર વિસ્તારના પથારાઓ સંપૂર્ણપણે બંધ કરાવેલ છે. આ પથારાઓ બંધ થઇ જવાથી આશરે 2000 જેટલા નાના વર્ગના માણસોની રોજીરોટી છીનવાતી હોય, ગરીબી અને ભૂખને કોઈ ધર્મ કે નાત જાત હોતુ નથી. વાસ્તવિકતામાં ધર્મ અને રાજકારણનું ભોગ શહેરની ગરીબ જનતા બને છે. પથારાઓ બંધ કરાવવામાં ખુલ્લો પક્ષપાતી વલણ રાખવામાં આવતું હોય તેવું સ્પષ્ટ જાહેર થાય છે. અગાઉ પણ બર્ધનચોક થી માંડવી ટાવર સુધી પથારાઓવાળા દ્વારા સાઈડ માર્કિંગ કરી ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. રોજનું રોજ કમાય ત્યારે તેના ઘરનું ચુલ્લો બળે તેવા ગરીબ માણસો વેપાર ધંધો કરે છે તેમને ધંધો કરવા માટે પરવાનગી આપવા કોર્પોરેટર અસ્લમ ખીલજી, જેનબ ખફી અને સામાજીક કાર્યકર હાજી રિઝવાન જુણેજા સહિતના અગ્રણીઓએ ગઇકાલે મ્યુ.કમિશ્નરને એક આવેદનપત્ર આપ્યું હતું.


આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, માત્ર નો-હોકિંગ ઝોન અને લેભાગુ તત્વોના ઈશારે કોઈને બેરોજગાર કરવાનું બંધ કરો. આવી મહા મોંઘવારીમાં ગરીબ માણસો ક્યાં રોજગાર મેળવવા જાય...? રાજાશાહી વખતથી પથારાવાળા તેમનું ગુજરાન ચલાવે છે. અહીં સસ્તા ભાવમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મળતી હોય. જામનગર શહેરના જ નહિ પરંતુ જામનગર જીલ્લાના તમામ વર્ગના લોકો ખરીદી કરવા માટે આવે છે. વેપારીઓ દ્વારા જ્યાં પથારાવાળાઓને બંધ કરાવવાની રજુઆતો કરવામાં આવે છે. જ્યાં વેપારીઓની માત્ર 50 ફૂટની દુકાન હોય અને 200 ફૂટ રોડ ઉપર સામાન રાખી દબાણ કરે છે તેનું શું...?


વાસ્તવિકતામાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે કે, નો-હોકિંગ ઝોનના નિયમમાં પથારાવાળાઓને સૌપ્રથમ વૈકલ્પિક જગ્યા ફાળવવી જોઈએ તે પછી ત્યાંથી ખસેડવા જોઈએ. અમુક લેભાગુ તત્વો પોતાના રાજકીય રોટલા શેકવા ખાતર અને માત્ર ચોક્કસ વ્યક્તિઓને ફાયદો કરાવવાના હેતુથી બર્ધનચોકથી માંડવી ટાવર સુધીના પથારાઓ બંધ કરાવેલ છે, તે વ્યાજબી બાબત નથી માટે બર્ધનચોકથી માંડવીટાવર સુધી સાઈડ માર્કિંગ કરી પથારાવાળાઓને પુન: રોજીરોટી મેળવતા કરવા માંગણી કરી આવેદનપત્ર પાઠવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application