ઇન્કમટેક્સની વેબસાઈટમાં ફરી વિઘ્ન: કરદાતાઓને પડી મુશ્કેલી

  • July 10, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



31 જુલાઈ નજીક આવતાની સાથે જ આવકવેરાના રિટર્ન ભરવાની પરેશાની પણ વધી રહી છે. નવી ટેકનોલોજી હોવા છતાં પણ વેબસાઈટમાં ધાંધિયા સર્જાતા કરદાતાઓ અને ટેકસપ્રોફેશનલ મુશ્કેલી માં મુકાઈ ગયા છે .આ બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી સીબીડીટી ચેરમેન સુધી ફરિયાદો ઉઠી છે.
ઓડિટ લાગુ ના હોય તેવા કરદાતાઓ એટલે કે નોન ઓડિટેડ તેમાં નોકરિયાત વર્ગ, નાના વેપારીઓ અને સામાન્ય કરદાતાઓ પોતાનું રિટર્ન 31 જુલાઈ સુધી ભરતા હોય છે. હવે વીસ દિવસ બાકી છે ત્યારે રિટર્ન ફાઇલ કરવા માટે ઘસારો જોવા મળ્યો છે. તાજેતરમાં જ ઇન્કમટેક્સની વેબસાઈટ પર બે કરોડથી વધુ કરતા હોય એ રિટર્ન ફાઇલ કર્યા એની માહિતી મૂકવામાં આવી હતી.
એપ્રિલ મહિનાથી જ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેની કામગીરી ચાલુ થઈ જાય છે 31 જુલાઈ અંતિમ દિવસ હોવાથી હાલના તબક્કામાં કરદાતાઓની સાથે ટેક્સ પ્રેક્ટિસનરો પણ રિટર્ન ફાઇલની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે. પરંતુ નવો સોફ્ટવેર હોવા છતાં પણ ખાટલે મોટી ખોટ એ સર્જાય છે કે, સિસ્ટમ સાથ આપતી નથી. ટેક્સ પ્રેક્ટિસનરો જણાવી રહ્યા છે કે વેબસાઈટમાં અડચણ આવી રહી છે.
એ આઈ એસ અને ટી આઈ એસ જેવી વિગતો ઓનલાઇન બતાવતા લગભગ 31 મે જેવો સમય થઈ જતો હોય છે. આ વિગતોને ધ્યાનમાં લીધા સિવાય ઇન્કમટેક્સ રીટર્ન ભરી શકાય નહીં આમ કરદાતાઓને ઇન્કમટેક્સ રિટર્ન ભરવા જૂન અને જુલાઈ એમ બે મહિના મળતા હોય છે પરંતુ મોટા ભાગના કરદાતાઓ માટે ઓડિટ લાગુ પડતું ના હોય ઇન્કમટેક્સ રિટર્ન 31 જુલાઈ સુધી ભરવા માટે ભારે ઘસારો થતો હોય છે.
આ અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે હજુ તો આઈડી રિટર્ન ભરવાનું શરૂ થયું છે ત્યારે રિટર્ન ફાઇલ કરવા માટેનો આ ટ્રાફિક એક ફિલ્મનું ટ્રેલર જ ગણી શકાય જ્યારે 31 જુલાઈ નજીક આવશે ત્યારે અંતિમ તબક્કામાં કરદાતાઓનો ઘસારો વધુ જોવા મળશે ત્યારે પોર્ટલને શું પરિસ્થિતિ થશે તે વિચારવું જરૂરી બની રહ્યું છે. અમે ફેડરેશન વતી નાણામંત્રીને અપીલ કરી છે કે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદત બજેટ દ્વારા 31 જુલાઈ થી વધારી 31 ઓગસ્ટ કરી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
દર વર્ષે રિટર્ન ફાઇલ કરવા વખતે આ વ્યથા કરદાતાઓ અને ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે આવે છે ત્યારે સરકાર આ બાબતે ધ્યાન આપે અને પોર્ટલમાં જરૂરી સુધારા વધારા કરી આપે તેવી માંગણી પણ ઊભી થઈ છે. સમયસર ઇન્કમટેક્સ પોર્ટલના ચાલવાને કારણે કરવેરા સલાહકારો પણ રિટર્ન ફાઇલ કરી શકતા નથી અને જો 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ નહીં થાય તો કરદાતાઓને પેનલ્ટી સાથે રિટર્ન ફાઇલ કરવું પડશે તેવી પરિસ્થિતિ ઉભી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application